અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

શિક્ષણમાં બદલાવ લાવી બાળકનો સર્વાંગી વિકાસ કરીએ, -મંત્રીશ્રી વાસણભાઇ આહિર માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવ યોજાયો.

માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવમાં પછાતવર્ગ કલ્‍યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્‍યુ હતું કે, પ્રાથમિક શિક્ષણમાં રાજ્ય સરકારે અનેકવિધ સુધારાત્‍મક પગલા લીધા છે. શિક્ષણમાં બદલાવ લાવી બાળકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્‍ધ છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જુથળ ગામની પ્રાથમિક શાળાનુ સુંદર વાતાવરણ અને શિક્ષકો દ્વારા બાળકના ઘડતર માટે કરાતી તૈયારીઓ અને મહેનતથી પ્રભાવિત થઇ જુથળ ગામના શિક્ષકો અને વાલીઓને જાગૃતિ પ્રેરક છે, તેમ જણાવ્‍યુ હતું. જુથળ પ્રા.શાળામાં કુલ ૭૪ બાળકોને મંત્રીશ્રીએ કુમ-કુમ તિલક કરી દફતર આપી પ્રવેશ આપ્‍યો હતો.
જૂથળ ગામની ધો.-૯ની બાળા મેઘનાથી ભગવતીએ સૌને પ્રભાવિત કરતું શોર્યગીત રજુ કરતા મંત્રીશ્રીએ પ્રોત્‍સાહક રકમનું ઇનામ આપ્‍યુ હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયાએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકના શિક્ષણમાં બાળાઓને પણ જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. જુથળ પ્રા.શાળાના પ્રવેશોત્‍સવ કાર્યક્રમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિમાવત, તાલુકા વિકાસ અધિકારીશ્રી યાજ્ઞિક, અગ્રણીશ્રી બાલુભાઇ, દેવશીભાઇ, સરપંચશ્રી સેજીબેન સેવરા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે આચાર્ય મોહનભાઇ ડઢાણીયા અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત લોએજ ગામની પ્રાથમિક શાળામાં પણ મંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૧૬ કન્‍યા અને ૧૯ કુમાર એમ ૩૫ બાળકોને કુમ-કુમ તિલક કરી દફતર કીટ અર્પણ કરી પ્રવેશ આપ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી કરગઠીયા તેમજ અગ્રણીઓ શરદભાઇ મહેતા, માનસિંગભાઇ ડોડીયા, ભગવાનભાઇ મોરી, દેવાભાઇ માલમ તેમજ લખમણભાઇ નંદાણીયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: