અનુયાયીઓ

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

બોલો લ્યો, રાજકોટમાં હવે ટ્રાન્સપોર્ટ વાટે દારૂ મંગાવતા બુટલેગરો !!

રાજકોટની ભાગોળે નવાગામમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસે તપાસ કરતા ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળ્યા : મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી ભાવનગર, જામનગર અને રાજકોટના શખ્શનું પાર્સલ આવ્યું'તું
રાજકોટ તા.૩૦
શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ઘોંસ બોલાવી છે ત્યારે બુટલેગરોએ દારૂની હેરફેર માટે નવો પેંતરો શોધી કાઢ્યો હોય તેમ હવે પાર્સલમાં દારૂ મંગાવવામાં આવતો હોવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટની ભાગોળે નવાગામમાં બી-ડીવીઝન પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તપાસ કરતા પાર્સલમાંથી ૧૦૩ બોટલ દારૂ-૯૬ ચપલા, ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે તપાસ કરતા મુંબઈના સોનું ટ્રેડીંગમાંથી આ પાર્સલ રાજકોટ, જામનગર અને ભાવનગરના શખ્શો દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું માલુમ પડતા પોલીસે આ આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે છકડો રીક્ષામાંથી ૫૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બાદમાં આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી વિગતો મળી હતી કે બુટલેગરો દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત દારૂનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ.ડામોર તથા સ્ટાફે નવાગામમાં આવેલ એચ.એચ.રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટની  ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે અહી રહેલા પાર્સલો કે જેમની ડીલીવરી લેવા કોઈ આવ્યું ના હોય, તેવા પાર્સલો ખોલી તપાસ કરતા આવા અલગ અલગ ચાર પાર્સલોમાંથી વિદેશી દારૂની ૧૦૩ બોટલ, ૯૬ દારૂના ચપલા તેમજ ૧૬૪ બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા ૭૯૫૦૦/- નો દારૂનો આ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે એચ.એચ.રોડવેઝના ટ્રાન્સપોર્ટર યુસુફભાઈની પૂછપરછ કરતા મુંબઈની સોનું ટ્રેડીંગ નામની પેઢી દ્વારા આ પાર્સલો અહી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ પાર્સલો જામનગરના ધર્મેશ, ભાવનગરના ઉમર, ધવલ તમજ રાજકોટના સુનીલ નામના વ્યક્તિના હોવાનું માલુમ પડતા પોલીસે મુંબઈની સોનું ટ્રેડીંગ પેઢીના સંચાલક તેમજ જેમના નામના પાર્સલ આવ્યા હતા તે તમામ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાપરમાં એસીડ પી ગયેલી યુવતીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત


રાજકોટ તા.૩૦
રાપર(કચ્છ)માં રેહતી એક યુવતીએ અગ્મ્યો કારણોસર એસીડ પી ગયા બાદ ૧૫ દિવસની સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત થયાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ રાપર(કચ્છ)માં રહેતી મનીષાબેન નરશીભાઈ ચૌધરી(ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઈ તા.૧૫-૧૧ ના રોજ કોઈ અગમ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ થયું હતું. પોલીસે જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

ધ્રોલ નજીક બેફામ રીક્ષા ચલાવતો શખ્સ પકડાયો


 
રાજકોટના એક શખ્શને
ગઈકાલે ધ્રોલ પોલીસે
બેફામ રીક્ષા ચલાવવા
બદલ પકડી પડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી.
    મળતી વિગતો
મુજબ  માધવ હોટલ સામે,
જામનગર-રાજકોટ હાઇવે
પરથી ઓટો રિક્ષા રજી નં.
જીજે-૦૩ એઝેડ-૦૯૩૮
ની હાઇવે પર બેફામ રીતે
સર્પાકારે ચલાવતા નીકળતા
તેમને તેમને અટકાવી ધ્રોલ
પોલીસના જમાદાર એન.એમ.
ભીમાણીએ પકડી પાડી તેમની
સામે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી. 

રાજકોટમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી 8 વર્ષની બાળકી પૂજાનું ભેદી સંજોગોમાં અપહરણ : પોલીસ તપાસ શરુ



બાલાશ્રમ સંચાલકો ચિંતિત : છેલ્લા છ મહિના થયા જુનાગઢથી ટ્રાન્સફર થઈને પૂજા રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમમાં આવી હતી : પૂજા ત્રીજું ધોરણ ભણતી હતી : માલવિયાનગર  પોલીસ દ્વારા તપાસ શરુ

રાજકોટ તા.૩૦
ગઈકાલે રાજકોટમાંથી જસાણી સ્કુલ (બાલાશ્રમ)ના વિદ્યાર્થી એવા 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સાંજે સ્કુલ ખાતેથી જ ભેદી સંજોગોમાં અપહરણ થઇ ગયાની ઘટના બની જતા બાલાશ્રમ સંચાલકોમાં દોડધામ સાથે ચિંતા પ્રસરી છે. સૌ પ્રથમ પોલીસમાં પૂજા ગુમ થયાની જાણ કરાયા બાદ માલવિયાનગર પોલીસે આ બનાવમાં બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમ( એ.વી.જસાણી સ્કુલ)માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી પુજાબેન રતનભાઈ બાદી નામની 8 વર્ષની બાળકી ગઈકાલે બપોરના ૧૨-૩૦ થી સાંજના ૬-00 વાગ્યા દરમિયાન ભેદી સંજોગોમાં ગુમ થતા બાલાશ્રમ સંચાલકો સધન શોધખોળ કરી હતી. પણ પૂજા ક્યાય જોવા નાં મળતા માલવિયા નગર
પોલીસ સ્ટેશનમાં પૂજા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

દરમિયાન રાત્રી સુધી પૂજાની તપાસમાં લાગેલા બાલાશ્રમ સંચાલકોની શોધખોળ બાદ પણ પૂજાનો પત્તો નહિ લાગતા બનાવની ગંભીરતા સમજીને કાઠીયાવાડ બાલાશ્રમના ભાનુબેન નામના મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં પુજાના અપહરણની ફરિયાદ નોંધાવતા માલવિયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.ચુડાસમાના જણાવ્યા અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા એ.વી.જસાણી સ્કુલ(કાઠીયાવાડ બાલાશ્રમ)માંથી ગુમ થયેલી પૂજાએ બ્લુ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.

બોયકટ વાળ ધરાવતી પૂજે પગમાં સફેદ મોજા અને બંને કાનમાં ત્રિકોણાકાર પીળી ધાતુની બુટ્ટી પહેરેલી છે. કોઈને ભાળ મળે તો માલવિયા નગર પોલીસનો સંપર્ક સાધવા આ બનાવના તપાસનીસ પીએસઆઈ જે.એ.ખાચરે લોકોને અનુરોધ કર્યો છે.

માલવિયા નગર પોલીસને પૂજા ગુમ થઇ હોય અને તેણીનું અપહરણ થઇ ગયાની ફરિયાદ નોંધાવનાર ભાનુબેને જણાવેલ કે, સાંજે બાળકોના છૂટવાના સમયે કોઈ પૂજાને ભોળવીને લઇ ગયું હોય તેવું જણાય છે. તેઓએ એવું પણ જણાવેલ કે, ૬ મહિના પહેલા જ જુનાગઢ બાલાશ્રમ ખાતેથી ટ્રાન્સફર કરીને પૂજાને રાજકોટ લવાઈ હતી. જે ગઈકાલ સાંજથી ગુમ થયેલી જોવા મળતા તેના અપહરણની ફરિયાદ માલવિયા પોલીસમાં નોંધાવાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે આ જ બાલાશ્રમમાંથી અગાઉ પણ ધોળેદિવસે બાળકો વંડી ટપી બાલાશ્રમમાંથી ભાગી જવાની ઘટના બની હતી. ત્યારે સંબંધિત સંચાલકોએ બનાવની વિગતો આપવામાં રીતસરની સંતાકુકડી રમી હતી. આજે ફરી એક ધોરણ ૩ ની વિદ્યાર્થીની એવી પૂજા નામની 8 વર્ષની બાળકીનું અપહરણ થઇ જતા બાલાશ્રમ સંચાલકોએ બાળકોની સાર-સંભાળમાં થોડી વધુ જાગૃતતા અને તકેદારી રાખવી જોઈએ તેવું જાગૃત માણસો કહે છે.

બનાવની ફરિયાદ બાબતે માલવિયા નગર પોલીસના પીઆઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂજા નામની બાળકીનું કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરીને લઇ ગયો હોવાનો ગુનો નોંધ્યા બાદ પોલીસ તંત્રે બાલાશ્રમ ખાતે પહોચી જરૂરી વિગતો મેળવી છે. આજુબાજુના અને બાલાશ્રમના સીસી કેમેરા ચેક કરવા કવાયત આદરવામાં આવી છે. આ સિવાય ગોંડલ રોડ પર પોલીસે મુકેલા સીસી કેમના ફૂટેજો પણ તપાસાઈ રહ્યા છે. આ બાબતે જે હોય તે પણ રાજકોટમાંથી 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સમીસાંજે અપહરણ થઇ ગયાની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.

ગાયકવાડીમાં રાજન આણી મંડળીનો આતંક સિંધી પરિવારનાં 4 સભ્યો પર કર્યો હુમલો



સિંધી પરિવારે પ્ર.નગર પોલીસમાં અરજી કરી : રાજનનાં ત્રાસ વિરૂઘ્ધ પોલીસને આવેદનપત્ર આપવાની થતી તૈયારીઓ


શહેરનાં ગાયકવાડી વિસ્તારમાં પોતાના ઘરેથી મંદિર તરફ જઇ રહેલા સિંધી પરિવારનાં એક મહિલા સહિત 4 સભ્યો ઉપર હુમલો કરનાર રાજન અને તેમના સાગ્રીતો વિરૂઘ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં અરજી કરી છે. આ સિવાય સિંધી સમાજના આગેવાનો આગામી દિવસોમાં રાજન આણી મંડળીનાં ત્રાસ સામે પોલીસ કમિશ્નર સહિતનાં પોલીસ તંત્રને આવેદનો આપવા તૈયારીઓ કરતાં હોવાની વિગતો મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગાયકવાડી વિસ્તારની શેરી નં.પમાં રહેતા અંજનાબેન હરીદાસભાઇ વાઘવાણી ગઇકાલે પોતાના ઘરેથી પોતાના પરિવારજનો પતિ હરીદાસ જવાહરભાઇ વાઘવાણી, પુત્ર વિનિતભાઇ, ભાઇ સચ્ચાનંદભાઇ વિ. સાથે મંદિર તરફ જતા હતા. ત્યારે ગેબનશા પીરની દરગાહ પાસે, કોલસાવાડી વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યાએ આ વિસ્તારનાં રાજન, સિકંદર અને બે અજાણ્યા મળી કુલ 4 શખ્સોએ તેઓને આંતરી ખોટી વાતો ઉપજાવી, ઝગડો કરી હુમલો કર્યો હતો.


બનાવ બાબતે અંજનાબેને જણાવેલ કે રાજન નામનો શખ્સ ખોટી રીતે તેમની પાછળ પડયો હોય, તેમજ તેમના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાલતા ચાલતા આતંક મચાવે છે. અંજનાબેને જણાવ્યું હોય કે ભૂતકાળનાં કોઇ વેરઝેર કે મનદુ:ખ વગર રાજન સહિતનાં શખ્સો તેઓના પરિવારજનોને ત્રાસ આપી રહ્યા હોય સંબંધીત પોલીસે તપાસ કરવી જોઇએ. બીજી બાજુ રાજન સહિતનાં સાગરીતોના ખોટા આતંક/ત્રાસ સામે સિંધી સમાજનાં આગેવાનોએ એકઝૂટ થવાનો નિર્ણય કરી, ગુરૂ ગુલરાઝ કુટીયા સાહેબ, શ્રી ઝુલેલાલ મંદિર પાસે એકત્ર થઇને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ કમિશ્નરને આવેદન આપવાની તૈયારીઓ આરંભી હોવાનું સિંધી સમાજનાં આગેવાનો જણાવે છે. ત્યારે પોલીસ આ બાબતે સિંધી પરિવારે કરેલી અરજી અંગે ગુનો નોંધશે કે કેમ? તે સમય જ બતાવશે.

કાલથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ



4 પ્રકારની કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ એનાયત
 વન્ડર ચેસ કલબ રાજકોટ તથા મીનાસ મેરિડેન બેંક વેટ અને દેવ મોટર્સના સંયુકત ઉપક્રમે તા.1 અને તા.2 ડીસેમ્બરનાં રોજ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ મેરિડેન બેંક વેટ, યુનિક આર્કેડ, પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે અન્ડર 9, 13, 17 અને ઓપન કેટેગરીની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

 આ ટુર્નામેન્ટમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્ર્નર બંછાનીધી પાની, પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 4 કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોને રૂા.38 હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાશે.

 આ ટુર્નામેન્ટમાં સ્પર્ધકો માટે ડીનર-લંચની વ્યવસ્થા રાખેલ છે. સ્પર્ધકે ચેસ એટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઈ ભગત, જીમ્મી દક્ષિણી, મુકેશભાઈ ભટ્ટ, નટુભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, જય ડોડીયા, વલ્લભભાઈ પીપડીયા, દીપકભાઈ જાની, પ્રિયંક કાટકોરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટના અધિક સેસન્સ જજ બાબીની બઢતી સાથે બદલી : અન્ય આઠ અધિક સેસન્સ જજ આંતરીક બદલાયા

રાજકોટના એડીશ્નલ જજને ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી આપી બદલીનો હુકમ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે મોડી સાંજે કરવામાં આવ્યો હતો.જયારે રાજકોટ શહેર અને જીલ્લાના આઠ જજોની બદલીનો હુકમ થયો છે.
રાજકોટ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ તરીકે ફરજ બજાવતાં એમ.એમ.બાબીને બઢતી આપી ગીર સોમનાથ વેરાવળ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.

જયારે ગીર સોમનાથ વેરાવળ ડીસ્ટ્રીકટ જજ એ.ટી.મોગલ નિવૃત થતા તેમના સ્થાને એમ.એમ.બાબીને બઢતી ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવ્યા છે.રાજકોટ જીલ્લાનાં ધોરાજીનાં બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ એચ.એ.દવેને એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ જે.એન.વ્યાસને એડીશન જજ તરીકે સાતમાં એડીશન જજ એમ.પી.પુરોહીત છઠ્ઠા એડીશન જજ તરીકે જેતપુરમાં નવમાં એડીશ્નલ જજ જે.એ.ઠકકરને આઠમાં એડીશ્નલ જજ તરીકે, રાજકોટ શહેરના આર.એલ.ઠકકર, ડી.ડી.ઠકકર, એચ.બી. ત્રીવેદી અને ટી.એસ.બ્રહ્મભટ્ટની કોર્ટ દ્વારા બદલી કરવામાં આવી છે

સ્વામિનારાયણ નગરમાં નારી-બાળ ઉત્કર્ષનો અમૂલ્ય સમન્વય




પ.પુ. પ્રમુખસ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ નિમિતે

અબાલ વૃદ્ધ સૌ કોઈમાં મહોત્સવ ઉજવણીનો અનેરો થનગનાટ

સ્વયંસેવકો-હરિભકતોનો ઉદગાર: પુ.બાપાને રાજી કરવા દેહ ઘસી નાંખીશું

1800 મહિલાઓ, 275 યુવતીઓ, 100 બાળકીઓની 15 કલાકની અનન્ય સેવા


પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ માટે શહેરનાં માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે ઉભા કરાયેલ વિશાળ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અમુલ્ય સમન્વય થતો જોવા મળી રહ્યો છે.

તા.5/12 થી 15/12 દરમિયાન યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીનાં 98માં જન્મ જયંતિ મહોત્સવ પુર્વે સ્વામીનારાયણનગરમાં સંતો સાથે અબાલ-વૃદ્ધ સૌ કોઈ સ્વયંસેવકો શ્રદ્ધાથી સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે.
ઉમંગ અને ઉત્સાહથી ઉજવાનાર આ મહોત્સવમાં 400થી વધુ સંતો અને 4000થી વધુ સ્વયંસેવકો મહોત્સવની આગવી તૈયારીઓમાં જોડાઈને રાત-દિવસ શ્રમદાન સેવાથી અભિભૂત થઈ રહ્યા છે.




















મહોત્સવ દરમિયાન અનેકવિધ નાટક, નૃત્ય, પ્રદર્શન ખંડ, વ્યસન મુક્તિ સંદેશા માટેના કાર્યક્રમો યોજાનાર હોય, બાળકોથી લઈને યુવાનો-મહિલાઓ સહીતનાં હરિભકતોમાં મહોત્સવને ઉજવવા અનેરો સેવાભાવ જોવા મળી રહ્યો છે.

બીએસએનએલના અધિકારીઓ-કર્મચારીઓ તા.3 થી અચોક્કસ મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાલ પર

નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો નહીં ઉકેલાતા લડત : ગુજરાતના 20 હજાર સહિત 
દેશના 2 લાખ કર્મચારીઓ જોડાશે : બીએસએનએલની સેવા ઠપ્પ થવાની સંભાવના


બીએસએનએલના કર્મચારીએ અને અધિકારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલ પર ઉતરનાર છે. જેમાં રાજકોટ સહિત ગુજરાતના 20 હજાર સહિત દેશભરના બે લાખથી વધુ કર્મચારીઓ  અને અધિકારીઓ જોડાનાર છે.
બીએસએનએલના કર્મચારીઓના તમામ યુનિયનો દ્વારા આ અનિશ્ર્ચિત મુદતનું હડતાલનું એલાન આપવામાં આવેલ છે.  આ સંદર્ભે બીએસએનએલના કર્મચારીઓના યુનિયન લીડરોએ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવા પગારપંચ સહિતના અનેક પ્રશ્ર્નો લાંબા સમયથી અઘ્ધરતાલ અટકી રહ્યા છે. આ બાબતે બીએસએનએલ મેનેજમેન્ટને અગાઉ વારંવારની રજૂઆત કરી મેમોરન્ડમ આપવામાં આવેલ હતું.

તેમ છતાં બીએસએનએલ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા તેના પરત્વે કોઇપણ જાતનું લક્ષ નહી અપાતા અંતે આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલું છે. યુનિયન લીડરોએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને નવુ પગાર પંચ નહી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામેલ છે.
આ ઉપરાંત બીએસએનએલને ફોરજી સ્પેકટ્રમ એલોટમેન્ટ કરવામાં આવતા નથી. જયારે ખાનગી કંપનીઓ પાસે ફોરજીની ટેકનોલોજી આવી ગયેલ છે. જયારે બીએસએનએલે હાલ માત્ર ફોરજીના સીમકાર્ડથી જ કામ ચલાવી રહ્યું છે. ફોરજીની જે નવી ટેકનોલોજી ગ્રાહકોને મળવી જોઇએ તે કોઇ કારણોસર અપાતી નથી. આ ઉપરાંત પેન્શનરોનું પેન્શન પણ રીવાઇઝ કરવામાં આવતું નથી. આ સહિતના અનેક મહત્વના પ્રશ્ર્નો છેલ્લા લાંબા સમયથી અણઉકેલ હોય, આ પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે બીએસએનએલના યુનિયનો દ્વારા આગામી તા.3 ડિસેમ્બરથી રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. આ હડતાલના પગલે તા.3 ડિસેમ્બરથી બીએસએનએલની તમામ સેવાઓ ઠપ્પ બની જવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશ્નર


યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઇ દવેને રીડર શાખામાં અને તેમના સ્થાને આર.વાય.રાવલની બદલી : લાયસન્સ બ્રાંચના બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ

શહેરમાં ત્રણ પીઆઇની આંતરીક બદલીના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇની રીડર શાખામાં અને તેમના સ્થાને મહિલા પોલીસ મથકના પીઆઇની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના ત્રણ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ડી.વી.દવેની રીડર શાખામાં બદલી કરવામાં આવી છે. તેમજ તેમના સ્થાને મહિલા પોલીસ મથકમાંથી પીઆઇ રાવલની બદલી કરવામાં આવી છે. જયારે લાયસન્સ બ્રાંચના પીઆઇ બી.એમ.જાડેજાને મહિલા પોલીસ મથકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટ ભાજપમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલુ: બેઠક યોજાઈ: માર્ગદર્શન આપતા ભંડેરી

કમલેશ મીરાણી, પુષ્પદાન ગઢવી, બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડેલીવાળા સહીતના ઉપસ્થિત રહ્યા: ભાજપના કાર્યકર્તા માટે લોકોના કામ એ જ સર્વોપરી છે: કમલેશ મીરાણી
 

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા વિસ્તારક છે: ભરત ડેલીવાળા રાજકોટ ભાજપનો કાર્યકર્તા ગુજરાતના સંગઠનનું રોલમોડલ છે: પુષ્પદાન ગઢવી



 ગઈકાલે લોકસભા ચુંટણીની તૈયારીઓ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય પર શહેર ભાજપ દ્વારા કાર્યકરો, આગેવાનો અને પ્રભારીઓએ બેઠક બોલાવી હતી.
 આ તકે રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ અને ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ રાજકોટ લોકસભાની સમિક્ષા કરતા જણાવ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં લીડમાં સૌથી પ્રથમ ક્રમાંકે ભાજપનો ભવ્ય વિજય થાય તે દિશામાં હવે કાર્યકર્તાએ સક્રિય થવુ પડશે અને બુથથી લઈ બુથ સમિતિઓ, શકિત કેન્દ્રો અને વોર્ડમાં આવતા તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર બને અને તેના આપણે સૌ સાક્ષી બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.