અનુયાયીઓ

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસના ઉપલક્ષમાં
આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન


શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના અનુજ ,યુવા વૈષ્ણવાચાર્ય પુ જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનો જન્મ દિવસ આગામી પોષ સુદએકમ ને રવિવાર તારીખ 6.1.2019ના રોજ આવી રહ્યો છે.આ દિવસે શ્રીમદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ જેતપુર દ્વારા શ્રી મોટી હવેલી જેતપુર ખાતે સવારે 9.00 કલાકથી એક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે.જેનું ઉદ્ઘાટન પૂજ્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે થશે.જેમાં રાજકોટના ડો.જે.પી.દંગી  પોતાની સેવાઓ આપશે. જેની ઉજવણી માટે જેતપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે.


પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીએ યુવાનોને પુષ્ટિમાર્ગનું સત્સંગીય જ્ઞાન આપી એક જબ્બરદસ્ત યુવા સંગઠન શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટની સ્થાપના ઘણા વર્ષો પહેલા કરી.સેવાકીય અને સામાજિક સેવાઓની સાથે સાથે આ સંસ્થા દ્વારા અનેક આયોજનો  વારંવાર થતા રહે છે.જેતપુર શહેર અને તેની આજુબાજુના ગામડાઓમાં કાર્યરત પુષ્ટિ-પાઠશાળા અને વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર દ્વારા નાના બાળકોને બાળપણથી જ પુષ્ટિમાર્ગીય જ્ઞાન અને પુષ્ટિ સંસ્કારનો સંચય કરાવવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ,વૃક્ષારોપણ,વિવિધ મેડીકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,જળ સંચય,રાહત દરે ચોપડા વિતરણ,યોગ શિબિર,પુષ્ટિ જ્ઞાન શિબિર,શ્રીંગાર શિબિર,ધર્મ સભા ઉપરાંત અનેક ઉત્સવો જેવા કે શરદોત્સવ,નંદોત્સવ,શ્રી વલ્લભાચાર્ય પ્રાકટ્ય  ઉત્સવ,શ્રી ગુંસાઇજી પ્રાકટ્ય   ઉત્સવ,રસિયા ઉત્સવ,ડોલોત્સવ,જન્માષ્ટમી ઉત્સવ, વિગેરેની ઉજવણી વર્ષ દરમિયાન થાય છે. 

પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી દ્વારા અનેક વચનામૃત અને સ્વ-લિખિત પુસ્તકો પણ વૈષ્ણવ સમાજને પ્રસાદ સ્વરૂપે અર્પિત થયા છે.વસુધૈવ કુટુંબકમના વિશેષ
ધ્યેયથી એકતા,શુધ્ધ પર્યાવરણ,વ્યસન મુક્તિ અને તંદુરસ્તી જેવા ચાર મહત્વના સિદ્ધાંતો સાથે સંસ્થા ને આગળ વધારી રહ્યા છે.શ્રી મોટી હવેલી જેતપુરમાં  શ્રી મદનમોહન પ્રભુના મનોરથના શ્રીંગાર પણઆબેહુબ દર્શનીય હોય છે. શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ ટ્રસ્ટ ના સતત ચાલુ રહેતા આવા સામાજિક,સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો
અને ઉત્સવોના ફલ સ્વરૂપ સંસ્થાની સભ્ય સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થાય છે.

 જેજેશ્રીના જન્મદિવસ નિમિતે આયુર્વેદિક સર્વરોગ નિદાનકેમ્પ તેમજ રાજભોગ દર્શન બાદ માર્કંડેય પૂજા,સાંજે કેસરી સ્નાન અને શયનના દર્શન બાદ વધાઈ કીર્તનના કાર્યક્રમો પણ રાખેલ છે.આ તમામ શુભ અવસરોમાં આપશ્રીને વધાઈ આપવા સમગ્ર વૈષ્ણવ સમાજ ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.આ ઉત્સવની ઉજવણી માટે શ્રી મદનમોહન યુવક મંડળ ટ્રસ્ટના  તમામ સભ્યો ઉત્સાહભેર કાર્યો કરી રહ્યા છે.
જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં
મહિલાના ઘરમાં ઘુસી મહિલા સહીત ૬
શખ્શોનો હુમલો : એટ્રોસિટી હેઠળ ગુનો

મિલકતના ‘ધરાહાર’ સાટાખત બાબતે બોલાચાલી
બાદ મહિલા પર હુમલો : શહેરમાં ભારે ચકચાર


 જેતપુર શહેરના રામૈયા હનુમાન મંદિર પાસે રહેતી મહિલાના ઘરમાં એક મહિલા સહિત છ જેટલા શખ્સો બળજબરી પૂર્વક ઘુસી ફુલવાડી વિસ્તારની એક મિલકતનું સાટાખત કરી આપવાનું કહી ઘરનો બધો સામાન વેરવિખેર કરી મહીલાને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડયાની ફરીયાદ સિટી પોલીસમાં નોંધાઇ છે.


જેતપુરના રામૈયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતી સોનલબેન લલિતભાઇ ચાવડા નામની મહિલાએ સિટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ ગઈકાલે બપોરના પોતે ઘરે એકલી હતી ત્યારે કલ્પેશ રાંક વિજય ચૌહાણ અને અરૂણાબેન તેમજ ત્રણ અજાણ્યા શખ્સો એક મોટર કારમાં આવી પોતાના ઘરમાં બળજબરી પૂર્વક ઘુસી જઇ ઘરનો તમામ સામાન વેર વિખેર કરી શહેરના ફુલવાડી વિસ્તારમાં તાજેતરમાં જ પોતે ખરીદ કરેલ એક મિલકત કલ્પેશભાઇએ પોતાના નામે કરી દેવાનું જણાવ્યું હતું.

પરંતુ આ મિલ્કત પોતાને વેચવી ન હોવાથી સાટાખત કરી આપવાની ના પાડી દેતા તમામે એકસંપ કરી લાકડી વડે માર મારી પોતાના કપડાં ફાડી નાખ્યા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસે સોનલબેનની ફરીયાદ પરથી મહિલા સહિત છ શખસો્ સામે ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તોડફોડ કરી બીજાની મિલ્કતનો દસ્તાવેજ પોતાને નામે કરી આપવા માર મારવાની અને જાતી પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323, 324, 354, 143, 147, 149 અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે, કલ્પેશ રાંકને જાણકારો ભાજપના કાર્યકર અને ગ્રુપ લેઉઆ પટેલ સમાજ જેતપુરના પ્રમુખ તરીકે ઓળખ આપી રહ્યા છે જ્યારે વિજય ચૌહાણ
શહેરના  માંધાતા ગ્રુપ સાથે સંકળાયેલા છે. બનાવથી શહેરભરમાં ચકચાર જાગી છે.

લોધીકાના મોટાવડા ગામ નજીકની નદીના સામા કાઠેથી વિદેશી શરાબની ૫૦૪ બોટલ સાથે લાલસીંગ ઝડપાયો



રૂરલ એલસીબીએ રૂ.૧, ૫૧, ૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ તા.૩
રાજકોટ રૂરલ એલસીબી સ્ટાફે બાતમીના આધારે લોધિકા તાલુકાના મોટાવડા ગામ નજીકની નદી કાંઠે દરોડો પાડી એક શખ્શને વિદેશી શરાબની ૫૦૪ બોટલ પકડી પાડી અન્ય બે શખ્શોને પકડવા કવાયત આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાજકોટ રૂરલ એલસીબીને બાતમી મળી હતી કે લોધિકા તાલુકાના મોટાવડા ગામની નદીના કાંઠે મોટાપાયે વિલાયતી દારૂનો જથ્થો પડ્યો છે. આવું બાતમી પરથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જટુભા જાડેજા સહિતના કાફલાએ દરોડો પાડતા ધમો વ્યાસ (રાજકોટ) અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા(રાજકોટ)ની ભોગવટા કબ્જાવાળા વાડીના મકાનમાંથી પોલીસને રૂપિયા ૧ લાખ ૫૧ હજાર ૨૦૦/- ની વિદેશી શરાબની ૫૦૪ બોટલ મળી આવી હતી.

આ તકે પોલીસે લાલસીંગ ઉમેદ્સિંગ જાદવ (રહે.લક્ષ્મીનગર, શેરી-૨, રાજકોટ)ની કુલ રૂપિયા ૧, ૫૧, ૭૦૦/-ના મુદ્દમાલ સાથે ધરપકડ કરી ધમો વ્યાસ અને હર્ષદ(મહાજન)ની શોધખોળ આદરી છે. 

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાંથી રૂ.20 હજારની ચોરી : ચકચાર


રાજકોટ તા.૩
ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે આવેલ બે ધાર્મિક સ્થળોમાં પ્રવેશી તસ્કરો રૂપિયા 20 હજાર રોકડ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોન્દાલમાં આશાપુરા ચોકડી પાસે, પ્રમુખનગર સોસાયટીમાં આવેલ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર અને શ્રી આણંદઆપા સુરાપુરા બાપાના મંદિરમાં પ્રવેશેલા તાક્સરોએ બંને મંદિરની દાનપેટી તોડી આશરે રોકડ રૂપિયા 20 હાજર ચોરી ગયા હતા.

આ બાબતે મેંદરડા ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ ઝગડા નામના સેવાભાવીએ ગોંડલ શહેર પોલીસમાં ત્રણ તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.


વ્યાજખોરો પર સરકારના ચાર હાથ; ભોગ બનનારાઓ ભગવાન ભરોસે


- અપહરણ, આપઘાતનાં રોજિંદા બનાવો
- ધીરધારનું લાયસન્સ અપાયા બાદ કોઈ પ્રકારની તપાસ કરાતી નથી કે નથી થતી કોઈને શિક્ષા



રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો ઉપદ્રવ વધતો રહ્યો છે. અપહરણ, આત્મહત્યાનાં બનાવો રોજિંદા  છે. ગઈકાલે જામનગરમાં કારખાનેદાર હજુ લાપત્તા છે. વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા અનેક લોકો એવા છે કે જેઓ દમ ઘુટી રહ્યા છે. આવી ઘટનાઓ બહાર આવ્યા પછી શરાફી ધોરણે વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વોને નિયંત્રિત કરતી સરકારી કચેરીમાં જે અંધેર તંત્ર ચાલી રહ્યું છે તેના કારણે જાણે વ્યાજખોરોને બચાવવા માટે સરકાર ચારે હાથે મદદ કરી રહી હોવાની છાપ ઉપસી રહી છે. બીજી બાજુ ભોગબનનારાઓ ભગવાન ભરોસે છે.


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની ધીરધાર કચેરી ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી રાજકોટના બહુમાળી ભવનમાં છઠ્ઠા માળે કાર્યરત મદદનીશ રજીસ્ટ્રાર (ધીરધાર)ની કચેરીને સોંપવામાં આવી છે. પરંતુ આ કચેરીમાં ૧૩માંથી માત્ર એક ક્લાર્ક અને એક પટ્ટાવાળાની જગ્યા ભરેલી છે. બાકી તમામ ટેકનીકલ- નોન ટેકનીકલ જગ્યાઓ ખાલી પડી છે. વર્ષ દરમિયાન ક્યા જિલ્લામાં વ્યાજ-વટાવનો ધંધો કરનારી પેઢીઓમાં તપાસ કર્યાનો કોઈ રિપોર્ટ આ કચેરી પાસે નથી. માત્ર લાયસન્સ આપવાની અને તેના રીન્યુઅલની જવાબદારી સંભાળતી આ કચેરીના સુત્રો જણાવે છે કે ગત વર્ષ દરમિયાન ધીરધારની રીન્યુઅલ ફી પેટે સરકારને રૂા. ૧૦,૫૧,૨૫૦ની આવક થઈ હતી. સ્વૈચ્છીક કારણોથી ૩૯ પરવાના રદ કર્યા હતા. જ્યારે એક લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીરધારના ધંધો કરવા માટે અંદાજે ૨૫૦૦ પરવાનેદારો કાર્યરત છે. પરંતુ તેની ઉપર રખેવાળ કહી શકાય તેવી જગ્યાઓ તમામ ખાલી પડી છે. ધીરધારના ધંધામાં વ્યાજખોર તત્વોની દાદાગીરી બેફામ બની રહી છે. જેના કારણે દરેક ગામડાઓ અને શહેરોમાં આપઘાતનું પ્રમાણ વધતુ રહ્યું હોવા છતાં રાજ્ય સરકારે ધીરધારના ધંધાર્થીઓ સામે કોઈ પ્રકારના આકરા શિક્ષાત્મક જાહેર કર્યા નહીં હોવાથી માત્ર રૂા. ૨૫૦ની અરજી ફી અને રૂા. ૫ હજારની રજીસ્ટ્રેશન ફી ભરીને ધીરધારનું લાયસન્સ મળી જાય છે.

ત્યારબાદ લાખો રૂા.નો ધીરધારનો ધંધો ચાલતો રહે છે. સહકાર વિભાગમાં તમામ કામગીરી માત્ર ઈન્ચાર્જ કર્મચારીઓના ભરોસે છોડવામાં આવી હોવાથી શિક્ષાત્મક કામગીરી જાણે નામશેષ થઈ ગઈ હોય તેવી હાલત જોવા મળે છે. જેના કારણે વ્યાજખોરોનાં આતંકવાદી જેવા વલણને ડામવાનું કામ સરકારી તંત્ર માટે કપરૂ બની રહ્યું હોવાનું જાણવા મળે છે

રાજકોટમાં ટ્રક હડફેટે ઈજનેરીના વિદ્યાર્થીનું મૃત્યું, મિત્રને ઈજા - હેલ્મેટ પહેર્યું છતા માથાના ફુરચા નિકળી ગયા



- કોલેજેથી છુટીને બન્ને મિત્રો સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતાં ને નમકીનનાં ટ્રકે ઠોકર મારતા સર્જાયો અકસ્માત


રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નમકીન કંપનીના ટ્રકના ચાલકે સ્કુટીને હડફેટે લેતા એન્જીનીયરીંગના છાત્ર સાગ ધીરજલાલ ઝરીયા (ઉ.વ.૧૯)ની માથે ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું મોત નિપજયું હતું. જયારે તેના મિત્ર ધુ્રવીલ હરિપરાને ઈજા થઈ હતી.

તાલુકા પ ોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરીયાદ પરથી અકસ્માત બાદ ટ્રક રેઢો મુકી ભાગી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યુ ંકે, નાનામવા રોડ પર શ્યામનગરમાં રહેતો અને લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો સાગર ઝરીયા (ઉ.વ.૧૯) આજે સવારે સ્કુટી લઈને કોલેજે ગયો હતો ત્યાંથી બપોરે છુટીને મિત્ર ધુ્રવીલ હિરપરાને સ્કુટી પર બેસાડી બન્ને પરત ઘરે જવા રવાના થયા હતાં.



દરમિયાન બન્ને સ્કુટી લઈને કણકોટ રોડ ઉપરથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચડતા પાટીદાર ચોક તરફથી પુરપાટ વેગે ધસી આવેલા ગોપાલ નમકીનના ટ્રકના ચાલકે ખાનગી પાર્ટીપ્લોટ પાસે તેના સ્કુટીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને ફંગોળાઈ ગયા હતાં.

જેમાં સાગર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ ંહતુ.ં જયારે તેના મિત્રને ઈજા થઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસના પી.એસ.આઈ. સોલંકી અને ફિરોઝભાઈ સહિતે ઘટના સ્થળે જઈ જરૂરી કાગળો કર્યા હતાં. સાગર બેભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કમનશીબી એ છે કે, મૃતક સાગરે હેલ્મેટ પહેર્યું હતું છતાં તેનું માથુ બચી શકયુ ન હતું. અને અકસ્માતમાં હેલ્મેટ અને માથાના ફુરચા નિકળી ગયા હતાં. બનાવથી ઝરીયા પરિવાર શોકમાં ગરક બન્યો છે.