અનુયાયીઓ

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આવતીકાલે વિવિધ રોગોનો નિદાન કેમ્પ યોજાશે...

જેતપુરમાં આવતીકાલે વિવિધ 
રોગોનો નિદાન કેમ્પ યોજાશે... 
જેતપુર તા.8
સીટી કાઉન્સિલ ઓફ જેતપુરના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય પરબતભાઈ પટેલની પુણ્યતિથી નિમિતે આવતીકાલ તા.10 ના રોજ સીટી કાઉન્સિલ, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ અને રાહત સમિતિ દ્વારા કીડની, પેશાબ, તેમજ આંતરડા, અને લીવરના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાતિની વાડી ખાતે સવારના 8-30 વાગ્યે યોજાનાર આ કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, અધ્યક્ષ તરીકે રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડિયા તેમજ મહેમાનોમાં જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ હિરપરા સહિતના ઉદ્યોગપતિઓ, તબીબો હાજર રહેશે. કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ સીદ્પરા, જેન્તીભાઈ રામોલીયા વિગેરેએ અનુરોધ કર્યો છે.                                                                                                                                                                     કશ્યપ જે. જોશી જેતપુર 

દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...

દસેક દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં 
ઈજાગ્રસ્ત જેતપુરના આધેડનું મોત...
જેતપુર તા.8
આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર નજીક એક માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા જેતપુરના ખાંટ આધેડનું આજે મોત થયાનું વીરપુર પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ આજથી દસેક દિવસ પહેલા જેતપુરના હરીપર ઉમરાળી ગામના રોડ પર એક બાઈક અકસ્માતમાં જેતપુરના ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતી(ઉ.વ.50)ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ, જ્યાંથી પણ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ ભગવાનજીભાઈ નું આજે સાંજે પાંચ વાગ્યે સારવાર દરમિયાન મોત થયાનું વીરપુર પોલીસમાં જાહેર કરાયું છે. વીરપુર પોલીસના પીએસઓ હસમુખભાઈના જણાવ્યા પ્રમાણે આ બનાવની વધુ તપાસ નાથાભાઈ દાફડાને સોંપાઈ છે. 
કશ્યપ જે. જોશી જેતપુર 
 

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક જેતપુર તા.8

જેતપુરના જેપુર ગામે યુવાનને ભરખી જતો વીજશોક

જેતપુર તા.8

જેતપુર તાલુકાના જેપુર ગામે આજે પોતાની વાડીયે નાનું મોટું કામ કરતા ખાંટ યુવાનનું વીજશોકથી મોત થયાની ઘટનાથી નાનકડા એવા જેપુર ગામમાં શોક ફેલાયો છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેપુર ગામનો ખાંટ યુવાન ભૂપત કાળું ગુજરાતી (ઉ.વ.28) આજે રાબેતા મુજબ પોતાની વાડીયે કામ કરી રહ્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડકી જવાથી તેમને બેભાન હાલતમાં નજીકના વિરપુરના સરકારી દવાખાને ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબી વર્તુળોએ ભૂપતને મૃત જાહેર કર્યો હતો. ગામનો જુવાનજોધ અને આશાસ્પદ યુવાનના અકાળે મોતના બનાવથી ખાંટ સમાજ ઉપરાંત જેપુરવાસીઓમાં શોક વ્યાપી ગયો છે. બનાવની વધુ તપાસ વીરપુર પોલીસના જમાદાર દાફડાએ હાથ ધરી છે.                                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતપુર)


         

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

જેતલસર સ્થિત NRI ગૃહસ્થનું પ્રેરણાદાયી પગલું !!

પુત્રના જન્મ દિવસે જેતપુર તાલુકાનાં 36 કેન્સરગ્રસ્ત
દર્દીઓને રૂ.20-20 હજાર સહાય ચુકવતા સરાહના..
(કશ્યપ જોશી) જેતલસર તા.7
આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવા અનેક દાનવીર મહાનુભાવો જીવી અને વસી રહ્યા છે કે  તેઓની નાની મોટી સેવાઓ અન્યો માટે પ્રેરણારૂપ બની જતી હોય છે.
આવી જ વાતને મૂળ જેતલસર ગામના અને હાલ અમેરિકા ખાતે વ્યવસાય કરતા રસિકભાઈ ગોંડલિયા અક્ષરસઃ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને ભારત દેશની બહાર રહીને પણ વતન પ્રત્યેનું સમયાંતરે અનન્ય ઋણ ચૂકવવાનું નહિં ચુકતા રસિકભાઈ છેલ્લાં લાંબા સમય થયા પ્રતિ દશેરાના દિવસે આખા ગામમાં ગરીબો અને જરૂરિયાતમંદોને મીઠાઇના બોક્સ પહોંચાડી રહ્યા છે.
તો છેલ્લાં 2 વર્ષ થયા રસિકભાઈ પોતાના પરિવારજનોની ખુશી જેતપુર તાલુકામાં વસતા કેન્સર પીડિતો વચ્ચે ઉજવીને આર્થિક સહાય કરી રહ્યાં છે. આ સેવા બાબતે આજે તેઓએ જણાવેલ કે હૂં કોઈ મોટા ગજાનો માણસ નથી, કે નથી મારે કોઈ ટ્રસ્ટ બનાવવું, મારા સત્કર્મો સમસ્ત દરેક સમાજના લોકો, દાતાઓ વચ્ચે પ્રેરણાત્મક બને અને તેવી સેવાઓ જરૂરિયાતમંદો વચ્ચે નિરંતર થતી રહે કે કરાતી રહે તેવા ઉદ્દેશ સાથે આ વર્ષે પણ તાજેતરમાજ રસિકભાઈ માધાભાઈ ગોંડલિયાએ તેમના જ્યેષ્ઠપુત્ર અંજનીશભાઈના જન્મદિવસે જેતપુર તાલુકાના ગામડાઓમાં રહેતા 36 કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને રૂપિયા 20-20 હજાર (7 લાખ, 20 હજાર)રોકડ સહાય કરી હતી. જે વાતનો અન્ય દાતાઓ ઘડો લ્યે અને સેવાઓની સુવાસ પ્રસરાવતા રહે તેવો અનુરોધ જેતલસર ગામના રસિકભાઈ ગોંડલિયા અને તેમના પુત્ર અંજનીશભાઈ સહિતના પરિવારજનો કરી રહ્યાં છે.
(કશ્યપ જે.જોશી, જેતલસર, જેતપુર..9974262812)