અનુયાયીઓ

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક 

એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં 

ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

 (કશ્યપ જોશી દ્વારા)                  જેતલસર(જેતપુર) તા.8

જેતપુર શહેરમાં પણ પાટીદાર અનામત રેલી માટે ખાંડા ખખડાવવા એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

આ બાબતે મળતી વિગતો મુજબ વર્તમાન સમયમાં અનામત માંગવાની લડાઈમાં જેતપુર પાટીદાર સમાજે પણ ઝુંકાવીને આગામી 12.8.ના રોજ ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદન આપવાનું આયોજન કર્યું છે. 

શહેરના એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાન આગેવાનો સુરેશ ખાચરીયા, રોહિત વડાલીયા, શૈલેશ રામાણી, હરેશ ખાચરીયા, કૌશિક બરવાડીયા, કલ્પેશ રાંક, ચેતન નંદાણીયા, નીલેશ રીબડીયા, હરેશ રીબડીયા, રાજેશ વેકરીયા, જેનીશ રાંક, કૌશિક બાલધા, જનક સુવાગીયા, નેમીશ ભુવા, મુકેશ સીધ્ધપરા, મનીષ ઠુંમર, રાજેશ બાવીશા, રાજેશ રાબડીયા, વિગેરે યુવાનોએ જણાવેલ કે પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ સાથે જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સવારે 9-30 કલાકે હારતોરા કરી  ભવ્ય રેલીનું આયોજન કરાયું છે. 

તા.12 ના રોજ નીકળનારી આ રેલીમાં સમસ્ત લેઉંવા તેમજ કડવા પટેલ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાશે, રેલી સરદાર ચોકથી, તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, બસસ્ટેન્ડ  રોડ, કણકિયા પ્લોટ, થઈને પુનઃ સરદાર ચોક તરફ જશે. આ પહેલા જુનાગઢ રોડ પર આવેલ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન અપાશે. અહી પાટીદાર સમાજના આગેવાનો તેઓના હક્ક સમાન અનામતની માંગ દોહરાવી મામલતદારને રજૂઆત કરશે કે તેઓની માંગ ઉપલી કક્ષા સુધી પહોચાડાય.

ટૂંકમાં જેતપુર શહેર અને તાલુકાના પાટીદાર સમાજે હવે અનામત મેળવવા ખાંડા ખખડાવી પટેલ સમાજનો પરચો બતાવી દેવાની તમામ તૈયારીઓ આરંભી દીધી છે. તા.12 મી ઓગસ્ટના દિવસે જેતપુરમાં યોજાનાર આ અનામત રેલીને પાટીદાર ક્રાંતિ રેલી બનાવવા આયોજક ગ્રુપના આગેવાનો, કાર્યકરોએ સમસ્ત પટેલ સમાજને અનુરોધ કર્યો છે.

 

અનામત રેલી બાબતે કાલે જેતપુરમાં બેઠક...

જેતપુર: 12 મી ઓગસ્ટના દિવસે અનામત રેલીની ભવ્ય સફળતા માટે આવતીકાલ તા.10 ના રોજ રાત્રીના 9-00 કલાકે જુનાગઢ રોડ પર, સરદાર ચોક નજીક આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે રાત્રીના 9-00 એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક પટેલ સમાજના લોકોએ અનામતની માંગ માટે નૈતિક ભાગીદારી સમજી બહોળી સંખ્યામાં હાજર રહેવા સુરેશ ખાચરીયા સહિતના આગેવાનો દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812