અનુયાયીઓ

મંગળવાર, 13 નવેમ્બર, 2018

સાસુ-વહુ ટીવી જોવામાં મશગુલ હતા ત્યારે જ કોટડા સાંગાણીના ભાડવા ગામે મકાનમાં પ્રવેશેલા તસ્કરો રૂ.૬૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયા : ફરિયાદ

ઘરધણી શેવિંગ કરાવવા ગયા ને રાત્રીના ૧૧-૩૦
વાગ્યામાં જ તસ્કરો ત્રાટક્યા : જાણભેદુની આશંકા

રાજકોટ તા.૧૩

કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે આજથી ૬ દિવસ પહેલા રાત્રીના ૧૧-૩૦ વાગ્યા સુધીમજ ઘરમાં પ્રવેશેલા તસ્કરો રોકડ, સોનાના દાગીના સહીત રૂ.૬૩ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આટલી વહેલી રાત્રીના જ ચોરી થઇ તે મુદ્દાને ધ્યાને લઈને પોલીસે કોઈ જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામે રહેતા અને દરજીનું કામકાજ કરતા અલ્પેશભાઈ લીધાધરભાઈ પરમાર ગઈ તા.૭-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રીના ગામની દુકાને સેવિંગ(દાઢી) કરાવવા ગયા હતા. ત્યારે તેમના ઘરે તેમના માતા તથા પત્ની ટીવી જોવામાં મશગુલ બન્યા હતા.

આ સમયનો મોકો જોઇને કોઈ નિશાચરો અલ્પેશભાઈના મકાનમાં પ્રવેશી, ઘરના કબાટના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા ૩ હજાર તેમજ રૂપિયા ૬૦ હજારના સોનાના પાટલા ૨ જોડી,એક ચેન અને એક દાણો મળી કુલ રૂપિયા ૬૩ હજારની મત્તા ઉસેડી ગયા હતા.

બનાવ બાબતે અલ્પેશભાઈએ જણાવેલ કે, બનાવની જાણ તો ચોરી થયાના દિવસે જ પોલીસને કરાતા પોલીસ આવી હતી. પણ ગુનો, ફરિયાદ ગઈકાલે નોંધાઈ છે. પોલીસે રાત્રીના આટલી વહેલી થયેલી ચોરી બાબતે જાણભેદુ હોવાની આશંકાએ તપાસ હાથ ધરી છે. 

હરેશના આગામી ૨૭ નવેમ્બરે લગ્ન થવાના હતા ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા પડધરીના યુવાને ગળાફાંસો ખાધો

પરિવારજનોમાં શોક : લત્તાવાસીઓમાં અરેરાટી :
પડધરી પોલીસની તપાસ શરુ

રાજકોટ તા.૧૩
પડધરીમાં ગઈકાલે એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધાની ઘટનાથી પરિવારજનો શોકમાં ગરક બન્યા છે તે લત્તાવાસીઓમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા,લાગી આવતા યુવાને આવું પગલું ભરી લીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના પડધરી શહેરમાં ગીતાનગરમાં રહેતા હરેશ કરણાભાઈ કંટોલિયા (ઉ.૨૨)એ ગઈકાલે બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા કંટોલિયા  પરિવારજનોમાં શોક ફેલાયો છે.

બનાવની જાણ થતા પડધરી પોલીસના હેડ કોન્સ્ટેબલ ફિરોઝભાઈ બલોચ ઘટના સ્થળે દોડી જઈને મૃતક હરેશની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. ફિરોઝભાઈના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલવા પામી હતી કે, હરેશના આગામી ૨૭ નવેમ્બરના રોજ લગ્ન યોજવાના હતા.

પણ જ્યારથી લગ્ન નક્કી થયા ત્યારથી હરેશ મનમાં ને મનમાં મુંઝાતો હતો અને એક તબ્બકે તેમને યુવતી ના ગમતી હોવાની વાત દોહરાવવા પ્રયાસ કરતો હતો. પણ પરિવારજનોને મન ખોલીને વાત કરવાને બદલે આ વાતને કારણેજ તેમણે ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવ દઈ દીધો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો પરિવારજનોના વિધિવત નિવેદનો લીધા બાદ બહાર આવશે. બનાવથી મૃતકના પરિવારજનોમાં શોક અને ગીતાનગર વાસીઓમાં અરેરાટી ફેલાઈ છે.


જેતપુરમાં દેસાઈવાડી અવેડા ચોકમા મિત્રોએ સ્વછતા અભિયાન હાથ ધર્યું !

તંત્રના બહેરા કાને ફરિયાદ ના સંભળાઈ ને લત્તાવાસીઓએ
જાત મહેનત જિંદાબાદ સુત્ર સાર્થક કર્યું


જેતપુરમાં દેસાઈ વાડીમા આવેલ અવેડા ચોકમા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આજુબાજુના વિસ્તારમા રહેતા રહીશોએ અનેકવાર નગરપાલિકાને જાણ કરેલ છતા આજ સુધી કોઈ સફાઈ કરવા ના ફરકતા અહી ગંદકીએ માઝા મૂકી હતી. મચ્છરોના ઉપદ્રવે આજુબાજુના લત્તાવાસીઓને ઘેરી લીધા હતા. ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાજ દેસાઈવાડીના રહીશોએ


"ઝાઝા હાથ રળિયામણા"  અને "આપમુઆ વગર સ્વર્ગે ના જવાય"  તેવી કહેવતો સાર્થક કરી, સાવરણા ઉપાડી, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સૂત્ર "સ્વછતા અભિયાન"ને સાર્થક કરવા લત્તાવાસીઓએ આખો ચોક સાફ કરી, કચરો ભેગો કરી નિકાલ કર્યો હતો.. લાત્તાવાસીઓનો આક્ષેપ હતો કે અનેક વખતની રજૂઆત પછી પણ જેતપુર પાલિકાના બહેરા તંત્રના કાને અથડાઈને પાછી ફરતી તેઓની ફરિયાદ પરત્વે કોઈ ધ્યાન નહિ અપાતા "જાત મહેનત ઝીંદાબાદ" સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સફાઈ બાબતે જેતપુર શહેરમાં હજુ ઘણી જગ્યાએ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સંબંધિત તંત્ર તાકીદે આખા શેરમાં આંટો મારી જ્યાં જ્યાં ગંદકીના થર જમ્યા હોય તે દુર કરે તે જરૂરી છેઈ.