અનુયાયીઓ

મંગળવાર, 26 જુલાઈ, 2011

UNIQUE ID પ્રોજેકટ માટે ગુજરાત મોડેલ બનશે

યુનિક આઇ ડી પ્રોજેકટના ગુજરાતમાં સર્વગ્રાહી અમલીકરણ માટેની રાજ્‍ય સરકારની નવતર કાર્યશૈલીની પ્રસંશા કરતા નંદન નિલેકાની......

યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટીના ચેરમેન શ્રી નંદન નિલેકાની એ ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે સવિસ્‍તર પરામર્શ કર્યો

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સૌજન્‍ય મૂલાકાતે આવેલા ભારત સરકારે નિયુકત કરેલી યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (U.I.D.A.I) ના અધ્‍યક્ષ શ્રી નંદન નિલેકાનીએ યુનિક આઇ.ડી. પ્રોજેકટની સફળતા માટે ગુજરાત સરકારે જે આગોતરી પૂર્વતૈયારીઓ સાથે સર્વગ્રાહી મંથન કર્યું છે તેની પ્રસંશા કરી હતી અને ગુજરાત U.I.D.માં મોડેલ બને તે માટે UIDAI અને ગુજરાત સરકાર સંયુકત રીતે સહભાગી બનીને કાર્યયોજના સાથે આગળ વધશે એમ જણાવ્‍યું હતું.

યુનિક આઇ.ડી. પ્રોજેકટ અને આધાર દ્વારા સામાન્‍ય નાગરિકોને જે ફાદાઓ થવાના છે તેની રૂપરેખા અને ગુજરાતમાં યુનિક આઇ.ડી. પ્રોજેકટની પ્રક્રિયાની કાર્યપધ્‍ધતિ અંગે મુખ્‍યમંત્રીશ્રી સાથે શ્રી નંદન નિલેકાનીએ દોઢ કલાક સુધી પરામર્શ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર UNIQUE ID પ્રોજેકટના માધ્‍યમ દ્વારા તમામ સેવાઓ, યોજનાઓ અને વ્‍યકિતગત સરકારી કાર્યક્રમોના પારદર્શી અમલીકરણ માટેનું સર્વસમાવેશક આયોજિત મોડેલ તૈયાર કરવા પ્રતિબધ્‍ધ છે એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી નંદન નિલેકાનીને જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીના સૂચનને આવકારતાં શ્રી નંદન નિલેકાનીએ ગુજરાત સરકારની ટીમ સાથે UNIQUE આઇ.ડી.ની સર્વગ્રાહી યોજના માટે કાર્યશિબિર યોજવાની તત્‍પરતા વ્‍યકત કરી હતી. અન્‍ય રાજ્‍યો તથા દેશોમાં UNIQUE ID માટેની ઉત્તમ વ્‍યવસ્‍થાનો અભ્‍યાસ કરવા, ટેકનોલોજીના માધ્‍યમનો તથા યોગ્‍ય માનવશકિતનો સુચારૂ ઉપયોગ થાય તેના ઉપર મુખ્‍યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો, અને રાષ્‍ટ્રીય હિતોને કોઇ પ્રકારે હાની પહોંચે નહીં પરંતુ સામાન્‍ય અને ગરીબ નાગરિકોને તેના હક્કોનો લાભ મળે, બધી સરકારી યોજનાઓનું અને સેવાઓનું પારદર્શી અમલીકરણ થાય તથા મિલ્‍કતો અને નાગરિકોના સલામતી અધિકારોનું રક્ષણ થાય તે દિશામાં ગુજરાત UNIQUE ID પ્રોજેકટ હાથ ધરવા આતુર છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

શ્રી નંદન નિલેકાનીની મુખ્‍યમંત્રીશ્રી સાથેની આજની બેઠક UNIQUE ID ના માધ્‍યમથી સામાન્‍ય માનવી માટેની સેવાઓ અને અધિકારો માટેની અનેક નવી ક્ષિતિજો ગુજરાતમાં આકાર લેશે જે દેશને પથદર્શક બનશે.

આ બેઠકમા_ UIDAIના અન્‍ય પદાધિકારીઓ ઉપરાંત આયોજનના અધિક મુખ્‍ય સચિવશ્રી વી. એન. માયરા અને મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્‍થિત હતા


વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી

ગાંધીનગર,

વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર-યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર,યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જન જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત

પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાયા

૬૧ જેટલા પુસ્તકોનું અંધજનો માટેની શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરાશે

અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે તા. ૨૬મીએ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત વર્ષ દરમિયાન શાળા, કોલેજ તથા નાગરિકોના અલગ-અલગ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક નવતર અભિગમ તરીકે રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૨૬-૭-૨૦૧૧ના રોજ સવારે ૯-૦૦ કલાકે અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. બ્રેઇલ પુસ્તકોનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા કરશે. અતિથિ વિશેષ તરીકે શ્રી જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓની પ્રતિભા ખીલે, બહાર આવે અને તેમને પણ સમાન અવસર મળે તે ઉદ્દેશથી શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું ખાસ અલગ આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે કરવામાં આવ્યું હતું. તેના ૩૫ વિજેતા નીવડેલાં પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોએ તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી-૨૦૧૧ દરમિયાન ટાઉનહોલ અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી જીવન ઘડતર શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત સર્વે વિજેતાઓને તેમને ઉપયોગમાં આવે તેવા ઇનામો જેવા કે, આઇ-પોડ, ઓડિયો પ્લેયર વગેરે આપવામાં આવ્યા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ વધુમાં કહ્યું કે, જીવન ઘડતર શિબિર ઉપરાંત પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પુસ્તકો આપવા માટે ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાવ્યા હોય. ‘‘વાંચે ગુજરાત’’ના સહઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઇ શાહ અને માનદ મંત્રી શ્રી મહાદેવભાઇ દેસાઇએ પસંદ કરેલા ૬૧ પુસ્તકો બ્રેઇલ લિપિમાં તૈયાર થયાં છે. આ પુસ્તકોના લેખકો-પ્રકાશકોએ સંમતિ આપીને અપૂર્વ સહયોગ આપેલ છે. રાજ્યની ૯૨ જેટલી અંધજનો માટેની સંસ્થાઓમાં તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુઓ પુસ્તકોની દુનિયામાં ડોકિયું કરી શકે, ઇતર વાંચન વધુ ઉપલબ્ધ બની શકે તે માટેનો આ નાનકડો પ્રયાસ ‘‘વાંચે ગુજરાત’’ અન્વયે કરવામાં આવ્યો છે.

૬૧ પુસ્તકોમાં મોટાભાગના મહાપુરૂષોના જીવનચરિત્રો સામેલ છે ઉપરાંત બાળર્વાતાઓ, પ્રેરણાત્મક વાંચનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દરેક વયજૂથના વિદ્યાર્થીને તેમાંથી આનંદ, માર્ગદર્શન અને પ્રેરણા મળે.

‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત વિચાર, વાચન શિબિર, પ્રશિક્ષક પરિષદ, મને ગમતું પુસ્તક વાર્તાલાપ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, ગ્રંથ મંદિર, ઝોલા પુસ્તકાલય, પુસ્તક પરબ, ગ્રંથયાત્રા, એક સાથે વાંચશે ગુજરાત, તરતાં પુસ્તકો, અધ્યયન અનુશીલન, રાજ્યમાં વિવિધ ૫૫ સ્થળે વિશિષ્ટ પુસ્તકમેળા આયોજન વગેરે જેવા વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક રાજ્યભરમાં અમલી બન્યાં. તેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ વધુ ઇત્તર વાચન ઉપલબ્ધ કરવા માટેનો આ મહત્વનો પ્રયાસ હાથ ધરાયો. પ્રજ્ઞાચક્ષુઓને પુસ્તકોના પ્રકાશે નવી દષ્ટિ અને વિચારોની સૃષ્ટિ મળે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.