અનુયાયીઓ

બુધવાર, 4 જુલાઈ, 2012

eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ફ્રાન્સ,જર્મની અને સ્વિટઝર્લેન્ડનું ઉઘોગજગત ગુજરાતમાં રોકાણની વિશાળ
તકો અને નીતિના માળખાથી પ્રભાવિત

ગુજરાત સરકાર અને ઉઘોગોના પ્રતિનિધિ મંડળની યુરોપની મુલાકાત સફળતા પુર્વક સંપન્ન
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિ મંડળે
જર્મની, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડની મુલાકાત લીધી

રાજયમાં રોકાણની વિશાળ તકો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩નું પ્રમોશન અને
ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સાથે જોડાણની પહેલ

યુરોપિયન મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનો અને શહેરી વહીવટીતંત્ર સાથે
સંબંધોને વધુ મજબૂત બનાવવા મુલાકાત
વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના સંગઠનો સાથે ઔઘોગિક
સંબંધો અને લાંબાગાળાની સમજૂતી
૩ જુલાઇ ૨૦૧૨ ભારતીય બજારના વિશાળ કદ અને યુવાનોના મોટા વર્ગ સાથે
રોકાણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં રાજય સરકારની
અસરકારક નીતિ, મજબૂત માળખાગત સુવિધાઓ,ઉઘોગોને સાનુકૂળ વાતાવરણ અંગે ત્રણ
યુરોપિયન દેશોની મુલાકાતે ગયેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્યાંની ટોચની
નેતાગીરી અને ઔઘોગિક પ્રતિનિધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ગુજરાત સરકારના અધિકારીઓ અને ઔઘોગિક જૂથના કુલ ૧૨ સભ્યોના ઉચ્ચ સ્તરિય
પ્રતિનિધિ મંડળે ૧૮ થી ૨૮ જૂન ૨૦૧૨ દરમિયાન યુરોપની મુલાકાત લીધી
હતી.૧૮મી જૂને હમ્બર્ગ પહોંચેલા પ્રતિનિધિ મંડળે કોર્પોરેટ્સ અને ઔઘોગિક
સંગઠનોની મુલાકાત લીધી હતી. બે પ્રદેશો વચ્ચે સરહદ પાર રોકાણની તકો અને
દ્વીપક્ષીય વેપાર માટે આર્થિક અને વાહનવ્યવહાર મંત્રી ફ્રેન્ક હોર્ચની
મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી શ્રી એ.કે. શર્માએ ત્યાંના રાજકીય
નેતા, જર્મનીના કારોબારક્ષેત્રના અગ્રણીઓ,રોકાણકારો,કોર્પોરેશન,
શિક્ષણક્ષેત્રના આગેવાનો અને નીતિ ઘડવૈયાઓને ૧૧થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૩
દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ આપ્યું હતું. યુરોપ
ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ,હેન્સેટિક ઇન્ડિયા ફોરમ અને હમ્બર્ગ ચેમ્બર ઓફ
કોમર્સ દ્વારા સંયુક્તપણે યોજાયેલી કોન્ફરન્સમાં રાજયના પ્રતિનિધિ મંડળે
પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ૪૦ કરતાં વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.
જિનિવાની મુલાકાત દરમિયાન હિન્દુજા જૂથે (યુરોપ)ે યોજેલા લંચ અને
મીટીંગમાં પ્રતિનિધિ મંડળે હાજરી આપી હતી, જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના
પ્રતિનિધિઓ, યુએનઓમાં ભારતના રાજદૂત સહિતના વૈશ્વિક સ્તરે અગ્રણી
વ્યક્તિઓ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં ગુજરાતમાં
પુનઃપ્રાપ્ય ઉર્જા, નાણાકીય સેવાઓ, શિક્ષણ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને
મેડિકલ ટુરિઝમ સહિતના ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા થઇ હતી. આજ
દિવસે સ્વિસ ઇન્ડિયા બિઝનેસ ફોરમ અને જિનિવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કોન્ફરન્સમાં પ્રતિનિધિ મંડળે પ્રેઝેન્ટેશન
કર્યું હતુ, જેમા ૨૫ કરતાં વધુ કંપનીઓએ હિસ્સો લીધો હતો.
જિનિવા બાદ પ્રતિનિધિ મંડળે ઝ્યુરિચની મુલાકાત લઇને સ્વિસ ઇન્ડિયા ચેમ્બર
ઓફ કોમર્સ (એસ.આઇ.સીસી) આયોજિત કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ માહિતીની આપ-લે, દ્વીપક્ષીય
રોકાણ, તાલીમ અને આર્થિક કામગીરી માટે કારોબાર અને એજન્સીઓ વચ્ચે
એક્સપર્ટ એક્સચેન્જ, કૌશલ્ય વિકાસ અને રોકાણને પ્રોત્સાહન સાથે વ્યાપારી
જોડાણ અને ઉપરોક્ત બાબતો માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમીટ
૨૦૧૩ના ઉપયોગ માટે એસઆઇસીસી સાથે ઔપચારિક ઇન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર
હસ્તાક્ષર કર્યાં હતાં. પ્રતિનિધિ મંડળે સમાન પ્રેઝન્ટેશન અને મીટીંગ
સ્વિટઝર્લેન્ડના બેસલ શહેરમાં પણ કરી હતી.
ફ્રાન્સ પહોંચેલા પ્રતિનિધિ મંડળે ઉઘોગપતિઓ અને સીઇઓના સંમેલનમાં
ગુજરાતમાં રોકાણની વિશાળ તકો અંગે માહિતી આપી હતી. પેરિસમાં ભારતીય
દૂતાવાસ અને ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા
આયોજિત સમાન કોન્ફરન્સમાં ફ્રાન્સની આશરે ૮૦ કંપનીઓ અને સંખ્યાબંધ
એનઆરજીએ હિસ્સો લીધો હતો, જેમાં ફ્રાન્સ ખાતે ભારતના રાજદૂત શ્રી રાકેશ
સુદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અને
રોકાણની તકોને પ્રોત્સાહન આપવામાં ફ્રાન્સ-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૦થી સક્રિય ભાગીદાર રહ્યું છે અને તેણે વાઇબ્રન્ટ
ગુજરાત-૨૦૧૩ને પણ પ્રમોટ કરવાની દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.
પેરિસથી ફ્રેન્કફર્ટ પહોંચેલા પ્રતિનિધિ મંડળે જર્મની અને ગુજરાત વચ્ચે
પારસ્પરિક જોડાણ વધારાવા અંગે ચર્ચા કરી હતી, જેમાં ૭૫ કરતાં વધુ કંપનીઓએ
ભાગ લીધો હતો. અહીં ફ્રેન્કફર્ટના ડેપ્યુટી મેયર વોલ્કર હોફ સાથે
પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ હતી, જેમાં ગુજકાત અને ફ્રેન્કફર્ટ વચ્ચે
સંભવિત જોડાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજ દિવસે જર્મનીના આર્થિક
બાબતો, ક્લાઇમેટ પ્રોટેક્શન ઉર્જા મંત્રીશ્રી એલ્વીન લેમ્કેને મળીને
પ્રતિનિધિ મંડળે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ સમીટ માટે માનનીય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વતી આમંત્રણ પાઠવ્યું હતું તેમણે આમંત્રણ
સ્વિકારીને ગુજરાત આવીને મુખ્યમંત્રીશ્રી, ટોચના અધિકારીઓ સાથે મળીને
ક્લાઇમેટ પ્રોટેક્શન અને ઉર્જાક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા
આતુરતા દર્શાવી હતી.
દરેક કોન્ફરન્સમાં શ્રી એ.કે.શર્માએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું, જેને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. પ્રતિનિધિ મંડળે ગુજરાતના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરાયેલી પહેલ અને નીતિ
સાથે રોકાણ અને ભાગીદારી માટે સર્જાયેલી તકો અંગે પણ જાણકારી આપી હતી.
સંખ્યાબંધ કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે દર્શાવેલી ઇચ્છા આર્થિક પ્રદેશ
તરીકે ગુજરાતની મહત્વતા દર્શાવે છે.

eMPOWER યુવા પેઢીને માટે કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી એક લાખથી અધિક ઓનલાઇન રજિસ્ટ્રેશન

૬ર૦ સંસ્થાઓમાં ૧૪ વર્ષથી વધુ ઉંમરના ધો. પ પાસ કોઇપણ વ્યક્તિ પ૦
રૂપિયામાં અનુકુળતાએ કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરી શકશે

મહિલા, દલિત, વનવાસી, પછાત વર્ગોના યુવક-યુવતિને સંપૂર્ણ વિનામૂલ્યે
કોમ્પ્યુટર તાલીમ
નરેન્દ્રભાઈ મોદી

કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર ગુજરાતનો યુવાન અભણ રહી જાય તે
આ સરકારને મંજૂર નથી

પછાતપણાના ગ્રહણથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના ઉપક્રમે આ eMPOWER-કોમ્પ્યુટરના
બેઝીક તાલીમ કોર્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન
રજિસ્ટ્રેશન શરૂ થતાં જ ૧.૦૪ લાખ જેટલા યુવક-યુવતિઓએ રજિસ્ટ્રેશન કરાવી
લીધું છે. જેમાં ૮૪ ટકા ગ્રામ યુવક-યુવતિઓ અને ૩પ,૦૦૦થી વધુ મહિલાઓ
કોમ્પ્યુટર સાક્ષરતાના બેઝીક કોર્ષમાં જોડાઇ છે. રાજ્યમાં આઇ.ટી.આઇ.,
કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર કચેરીઓમાં મળીને ૬ર૦ જેટલી સંસ્થાઓમાં
ધો.પ પાસ અને ૧૪ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ BCC-કોમ્પ્યુટર
સાક્ષરતા અભિયાનમાં જોડાઇ શકશે. આ eMPOWERકોર્સની ફી માત્ર રૂા. પચાસ
રાખી છે અને તેમાં પણ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બીપીએલ, વિકલાંગ
તથા સામાજિક-શૈક્ષણિક આર્થિક પછાતવર્ગોના લોકો eMPOWERની તાલીમ સંપૂર્ણ
વિનામૂલ્યે લઇ શકશે. આઇટીની જગવિખ્યાત માઇક્રોસોફટ કંપનીના તાલીમ શિક્ષકો
eMPOWERની તાલીમ આપશે અને BCCનું પ્રમાણપત્ર પણ આપશે.
સ્વામિ વિવેકાનંદના ૧પ૦મી જન્મજયંતી વર્ષને મુખ્ય મંત્રીશ્રીએ યુવાશક્તિ
વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કરેલો છે અને તેમાં પણ ""સ્કીલ ડેવલપમેન્ટ''
કૌશલ્ય વિકાસને જ કેન્દ્રસ્થાને રાખીને હુન્નર કૌશલ્યના ૧ર૦૦ ઉપરાંત
પ્રશિક્ષણ કોર્ષ શરૂ કરેલા છે. eMPOWERની કોમ્પ્યુટર બેઝીક કોર્ષ BCCની
તાલીમમાં પ્રારંભિક તબક્કે ર.રપ લાખ યુવાનોને આવરી લેવામાં આવશે.
ચોથી જુલાઇએ સ્વામિ વિવેકાનંદજીનો ૧૧૦ વર્ષ પહેલાં દેહોત્સર્ગ થયો હતો
તેમનું સ્મરણ કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ૩૯ વર્ષની
ભરયુવાનીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરીને સ્વામિ વિવેકાનંદે ચીરવિદાય
લીધેલી. પરંતુ તેમણે જન્મોજન્મ અવતરીને પોતાનું મિશન પૂર્ણ કરવા સંકલ્પ
રાખેલો તેમની પૂણ્યતિથીએ આજથી ગુજરાતમાં eMPOWERએ માત્ર કોઇ યોજનાનો અવસર
નથી પરંતુ વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો નવતર આયામ છે.
જગત બદલાઇ રહ્યું છે અને આ પરિવર્તનને નહીં સ્વીકારીએ તો આપણે કાળ બાહ્ય
થઇ જઇશું એમ તેમણે જણાવ્યું હતું.
બારસો વરસની ગુલામીની પછાતપણાનો ભોગ ફરીથી બનવું ના પડે તે માટે યુવાનો
સંકલ્પ કરે કે પોતાની ક્ષમતા અને શક્તિથી ભગીરથ, અવિરત પુરૂષાર્થ કરતા
રહે એવું આહ્વાપન તેમણે કર્યું હતું.
આપણા મહાપુરૂષ મનીષીઓના જીવનકાર્યથી જ સમાજજીવનની પેઢીઓ બદલાઇ છે અને આજે
પણ આઇટી, બાયોટેકનોલોજી, લાઇફ સાયન્સ જેવી ટેકનોલોજીએ વિશ્વની માનવજાતને
ભરડો લીધો છે ત્યારે ટેકનોલોજીથી અલિપ્ત કેવી રીતે રહી શકાય એવો પ્રશ્ન
ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજીને સમાજમાં હાથવગી બનાવવા, સરળ રીતે
સર્વસ્વીકૃત બનાવવાની વ્યવસ્થા ઉભી થઇ રહે તે જરૂરી છે એની રૂપરેખા
મોબાઇલ, બેન્કોના એટીએમની વ્યવસ્થાન દ્રષ્ટાંતો સાથે તેમણે આપી હતી.
ટેકનોલોજીને વિકાસના એક અવસર અને તક તરીકે અપનાવી લેવાનો અનુરોધ કરતાં
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી કોની હોય તેની સ્પર્ધા
હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે અને હિન્દુસ્તાન પાસે ૬પ ટકા
જેટલી યુવાશક્તિ યૌવનથી તરબતર છે ત્યારે આ દેશની યુવાશક્તિને અવસર મળશે
તો તેના સામર્થ્યની તાકાત વિશ્વને બતાવી શકશે.
ચીને બાળકો અંગ્રેજી શીખે તેનું અભિયાન ઉપાડેલું તેની દાદ અપાવવા શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં અંગ્રેજી ભાષામાં વાતચીત
માટેનું કૌશલ્ય શીખવવા સ્કોપનું અભિયાન ચલાવેલું છે તેનાથી ગુજરાતના લાખો
યુવાનો અંગ્રેજી બોલચાલમાં પારંગત બન્યા છે. જયોતિગ્રામ વીજળી દ્વારા
૧૮,૦૦૦ ગામડામાં ર૪ કલાક ઊર્જાશક્તિથી સમાજજીવનમાં ચેતના તો આવી જ છે અને
તેની સાથોસાથ કોમ્પ્યુટરની સુવિધા તથા બધા જ ગામોમાં બ્રોડ બેન્ડ
કનેકટીવિટીની ગુજરાતે ચાર વર્ષ પહેલાં સુવિધા આપી દીધી છે. ભારતના ૬ લાખ
ગામડામાંથી કેન્દ્ર સરકારે તો હજુ ત્રણ હજાર ગામડામાં આ સુવિધાનું બજેટ
બનાવ્યું છે તેની સામે ગુજરાતે કેટલી મોટી હરણફાળ ભરી છે તે સમજવા તેમણે
અનુરોધ કર્યો હતો.
eMPOWER અભિયાનને ગુજરાતના આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઇથી શરૂ કરી
દીધું છે. જો કોઇને કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી
નહીં જાણતા બધા જ અભણ જ ગણાશે અને ગુજરાતમાં કોઇ આવી ટેકનોલોજીના જ્ઞાનથી
અભણ રહે એ મંજૂર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
eMPOWER-કોમ્પ્યુટરની બેઝીક કોર્સ તાલીમ- BCCથી દરેક વ્યક્તિનું
મૂલ્યવર્ધન થવાનું જ છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,
ગામેગામથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧.૦૪ લાખ ઉપર પહોંચી ગયું છે અને ૮૪ ટકા તો
ગામડાની વ્યક્તિઓ છે અને ૩૪ ટકા તો બહેનો છે જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત
આપે છે.
હુન્નર કૌશલ્ય વગર સફળતા સંભવ નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ હુન્નર
કૌશલ્ય અને કોમ્પ્યુટર ટેકનોલોજી જાણકાર યુવાનોને માટે સફળતા મળવાની છે
તેની રૂપરેખા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની કોલેજો
૪૪રમાંથી દશ વર્ષમાં ૧૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. યુનિવર્સિટીઓ ૧૧માંથી ૪ર થઇ
ગઇ છે. ડિપ્લોમા ડિગ્રીની ઇજનેરી મેનેજમેન્ટની બેઠકો ર૩,૦૦૦ હતી તે દશ
વર્ષમાં ૧.ર૩ લાખ થઇ ગઇ છે. હવે આ વર્ષથી આઇટીઆઇનો બે વર્ષનો કોર્ષ
કરનારા યુવાન માટે તેના ઉચ્ચ શિક્ષણના સપના પાર કરવા માટે ધો.૧૦ અને
ધો.૧રની સાથે આઇટીઆઇ કોર્સને સમકક્ષ ગણી દીધા છે. હવે ડિપ્લોમા કે ડિગ્રી
ઇજનેરીમાં પ્રવેશ પરીક્ષામાં બેસી શકે તેવા આ નિર્ણયથી દરવાજા ખુલી ગયા
છે.
ગુજરાતના પોલીસ બેડામાં હવે ટેકનોલોજી સશક્ત યુવા પોલીસની ભરતી થઇ છે.
ગુજરાતના યુવાનોને સપના સાકાર કરવા પોતાની સમૃદ્ધિના હકકદાર બનો, ભાગીદાર
બનો તેનો આ અવસર છે. ગુજરાત સરકાર ઇલેકટ્રોનિક મેનપાવર તરીકે યુવાનોને
સક્ષમ બનાવવા eMPOWER અભિયાન યુવાનોને સમર્પિત કરે છે, એમ તેમણે ગૌરવભેર
જાહેર કર્યું હતું. આ સરકાર ગુજરાતના નવજવાનોના ભાગ્યને ધડવા, સપના સાકાર
કરવા સમર્પિત છે એમ જોશપૂર્વક તેમણે જણાવ્યું હતું.
રાજ્યના યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરવા માટેના eMPOWER
યોજનાના શુભારંભ પ્રસંગે રાજ્યના નાણા અને શ્રમ-રોજગાર વિભાગના મંત્રી
શ્રી વજુભાઈ વાળાએ આ તાલીમમાં જોડાઇને પોતાનું નામાંકન કરાવનારા સૌ
યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું
કે, યુવાનોએ સફળ થવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારોને પ્રેરણાસ્ત્રોત
બનાવવા પડશે.
આજે ૭૫૬ આઇ.ટી.આઇ. ગુજરાત રાજયમાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦
કૌશલ્યવર્ધન કેન્દ્રો આવેલાં છે તેમાં ૪ લાખ ૧૧ હજાર તાલીમાર્થીએ તાલીમ
મેળવી છે. જેમાં ર લાખ પ૬ હજાર મહિલાઓ હતી એટલે કે પ૮ ટકા તાલીમ પ્રાપ્ત
કરનારી મહિલાઓ હતી. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
યુવાનોને કૌશલ્યવાન બનાવવા ઝૂંબેશ ઉપાડી છે. યુવાનોને અંગ્રેજીમાં
કૌશલ્યવાન બનાવવા સ્કોપ કાર્યક્રમ અમલમાં મુકયો છે. આજે ઇન્ફર્મેશન
ટેકનોલોજીના ક્ષેત્રે વધુ કૌશલ્યવાન બનવા માટે યુવાનો માટે eMPOWER
કાર્યક્રમ અમલમાં મુકયો છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એમ જણાવી
મંત્રીશ્રીએ યુવાનોને કઠોર પરિશ્રમ દ્વારા કોમ્પ્યુટર ક્ષેત્રે પાવરફુલ
બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલાએ
યુવાનોના સશક્તિકરણ માટે આ કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો હતો અને જણાવ્યું
હતું કે, સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતીને યુવા વર્ષ તરીકે
ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ કાર્યક્રમ યુવાનોના ભાવિ ઉત્કર્ષ અને
વિકાસ માટે મહત્વનો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ર૧મી સદી જ્ઞાનની
સદી છે ત્યારે યુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રાજ્ય
સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. તેમણે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત
મળતી વિવિધ તાલીમનો ઉલ્લેખ કરી સ્વરોજગાર ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ
દોહરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી પી.
પનીરવેલે રાજ્યના બે લાખથી વધારે યુવાનોને કોમ્પ્યુટર તાલીમથી તાલીમબદ્ધ
કરી સશક્તિકરણ કરવાના eMPOWER પ્રોજેકટને સમગ્ર દેશનો આવો પ્રથમ પ્રોજેકટ
ગણાવી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી દિલીપ સંધાણી, શિક્ષણ મંત્રી શ્રી
રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય
મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર,
શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય
આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ,
ધારાસભ્યો ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને
અન્ય મહાનુભાવો તેમજ માઇક્રોસોફટ કંપનીના પબ્લીક સેકટરના ગ્રૃપ ડાયરેકટર
શ્રી રણવીરસિંહ અને તાલીમમાં જોડાયેલા મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત
રહ્યા હતા