5 ગામના ખેડૂતોની ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ
પ્રદુષણ નિયંત્રણ તંત્રએ રૂ.1.50 લાખની 600
ધોલાઈ થયેલી સાડીઓ સાથેનો ટેમ્પો પકડ્યો !
જો કે ફરિયાદ મુજબના કોઈ ધોલાઈઘાટો તંત્રના ધ્યાને આવ્યા નથી !!
જેતપુર તા.19
જેતપુર પંથકના ખેડૂતોની ગેરકાયદે ચાલતા સાડી ધોલાઈઘાટોની ફરિયાદો બાદ સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સત્તાધીસોએ તપાસના અંતે આજે એક કારખાનેદારના ટેમ્પોને ધોયેલી 600 સાડીઓ સાથે પકડી લઇ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું ટી.સી. બારમેડા નામના અધિકારીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ આજે જેતપુર તાલુકાના મેવાસા સહિતના 5 ગામોના ખેડૂતો તેઓના ગામોની સીમ વિસ્તારમાં અને છાપરવાડી ડેમ-નદી વિસ્તારમાં ગેરકાયદે સાડી ધોલાઈઘાટો ચલાવી બેફામ પ્રદુષણ ફેલાવી ખેત જમીનોને બંજર બનાવી, નદી-નાળાના પાણી પ્રદુષિત કરતા હોવાની ફરિયાદ માટે જેતપુર દોડી આવી, મામલતદાર અને પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના સત્તાધીશોને આવેદન આપ્યા હતા.
ખેડૂતોની આવી ફરિયાદ બાદ પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરીના પ્રાદેશિક અધિકારી શુક્લા, વૈજ્ઞાનિક અધિકારી બારમેડા તથા નાયબ પર્યાવરણ ઈજનેર કટેરિયા સહિતના સ્ટાફે મારતે ઘોડે મેવાસા વિસ્તારમાં તપાસ કરી હતી પણ કોઈ સાડીધોલાઈ ઘાટ ચાલતા નજરે પડ્યા નહોતા. પરંતુ આ જ અધિકારીઓ શિકારની શોધમાં હોય અને શિકાર મળ્યો હોય તેમ અહીના મેવાસા ચોકડી પાસેથી જીજે 3 વાય 6754 નંબરનો એક મેટાડોર રોકી તલાશી લેવાતા તેમાંથી રૂપિયા 1.50 લાખની 600 ધોયેલી સાડીઓ મળી આવી હતી.
જીપીસીબી જેતપુરના અધિકારીઓની તપાસમાં બહાર આવેલ વિગતોમાં આ ટેમ્પો જેતપુરના જય ટેક્ષટાઈલ પ્રોસેસ(ખાનદાન નગર) નામના કારખાનેદારનો હતો. અને સાડી જ્યાં ધોવાઈ તે સોફર પ્લાન્ટ વાળી જમીન, વાડી હરીપરના કાશ્મીરાબેન અલ્પેશભાઈ પારેખની હોવાનું જાણવા મળ્યું હતું.
આ તકે જીપીસીબીના અધીકારીઓએ જણાવેલ કે ઉપરોક્ત કારખાનેદારનો સોફરવાળા પ્લાન્ટની કન્સાઈન પૂરી થઇ ગઈ છે અને આ સોફર પ્લાન્ટને ક્લોઝર આપ્યું હતું, આમ છતાં ગેરકાયદેસર રીતે સોફર પ્લાન્ટ ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે બીજી બાજુ આ ઘાટ માલિકે પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના કાર્યવાહકોને એવો જવાબ આપ્યો હતો કે અત્યાર સુધીમાં તેઓને કોઈ ક્લોઝર નોટીસ મળી ના હોય, ઘાટ ચલાવતો હતો. જયારે જાણકારોમાં એક એવી ચર્ચાઓ થતા સાંભળવા મળી હતી કે જીપીસીબી એ આ ઘાટ માલિકને ક્લોઝરનો હુકમ આપ્યો તેને 15 દિવસ વીત્યા છતાં વીજ કંપનીએ કે આ ઘાટ સંચાલકનું વીજ કનેક્શન નાં કાપ્યું ? ઈ તપાસનો વિષય છે.
જ્યારે અન્ય એક જગ્યાએ ચાલતા સોફર પ્લાન્ટની તપાસ કરાતા વાડી માલિક લાખાભાઈ સરવૈયાના સોફર પ્લાન્ટની કાન્સાઈન પૂરી થઇ ગઈ હોવા છતાં સોફર પ્લાન્ટ ચાલુ હોય, તેમને પણ લેખિતમાં નોટીસ ફટકારીને તેમને ભાટગામ સ્થિત સાડીધોલાઈના સામુહિક ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોડાઈ જવા જણાવાયું છે. આમ આજની ખેડૂતોની ફરિયાદ પરથી આજે જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ તપાસ અને કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812