અનુયાયીઓ

ગુરુવાર, 12 એપ્રિલ, 2018

જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયા


જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ 
પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયારાજકોટ 
તા.૧૨ 
જસદણના ગંજીવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જુગાર દરોડો પાડી ૫ પંટરોને રોકડ રૂપિયા ૧૫૩૭૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જસદણમાં ગંજીવાડા વિસ્તારમાં જાહેરમાં, ફોરેસ્ટ ઓફિસની દીવાલ પાસે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈ કાલે પોલીસે જુગાર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૫ શખ્શો પકડાઈ ગયા હતા.
જેમાં મગન સાર્દુલ કોળી(નાની લાખાવડ), નાથ મેરામ સાંકળિયા(પોલારપર રોડ), રાજેશ ઉકા સરિયા(નાની લાખાવડ), વસંત લવા કોળી(પોલારપર રોડ) તથા બટુક ભવાન ગોહિલનો સમાવેશ થતો હોવાનું પોલીસ જમાદાર આર.ટી.પરમારે જણાવ્યું હતું.


દેવળકીના યુવાનનું જેતપુરની 
સીમમાં કુવામાં ગબડી પડતા મોત 
રાજકોટ તા.૧૨ 
જેતપુરની સીમ વિસ્તારમાં દેવળકીના યુવાનનું અકસ્માતે કુવામાં પડી જવાથી મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ વડીયા તાલુકાના દેવળકી ગામનો યુવાન યોગેશ નરશી પટેલ ઉ.વ.૩૦ ગઈકાલે જેતપુર દેરડી રોડ પર દેરડી ધાર આવાસ ક્વાર્ટર પાછળ આવેલ નીલેશભાઈ બચુંભાઈની વાડીના કુવામાં અક્સમાતે ગબડી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો હતો. 
પણ ફરજ પરના ડો.નીકીતાબેન પડીયાએ યોગેશને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે. પરિવારના જુવાનજોધ પુત્રનું આમ અચાનક અવસાન થતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

ઉપલેટામાંથી હોન્ડાની ઉઠાંતરી
રાજકોટ તા.૧૨ 
આજથી એકાદ મહિના પહેલા ઉપલેટા કોલકી રોડ પરથી ચોરી થઇ ગયેલા બાઈકની ફરિયાદ ગઈકાલે ઉપલેટા પોલીસમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા કોલકી રોડ પર આવેલ વેસ્ટર્ન સોસાયટીમાંથી જીજે ૦૩ ઈજે ૯૯૧૧ નંબરનું હોન્ડા કોઈ હરામખોર શખ્શ ચોરી કરી ઉઠાવી ગયાની મયુર રાજપાલ બુટાણી નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ જમાદાર કે.એચ.શ્યારાએ તપાસ હાથ ધરી 
છે. 
જેતપુરમાં દેશી દારૂ દરોડામાં એક પકડાઈ, એક ભાગી ગઈ !
રાજકોટ તા.૧૨ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દેશી દરોડા પાડતા એક શખ્શ ઝડપાઈ ગયો હતો જ્યારે નાશી છુટેલી એક મહિલાને પકડવા પોલીસે કવાયત આદરી છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે ગઈકાલે નાઝાવાલાપરા વિસ્તારમાં રહેતા રાજુ છગન પરમારના ઘર પર દારૂ દરોડો પાડતા ત્યાંથી સાજનબેન રાજુભાઈ નામની મહિલા દેશી દારૂના આથા સાથે પકડાઈ ગઈ હતી.
જ્યારે નગરપાલિકા ફાયર સ્ટેશન પાછળ રહેતી સવિતા જગમાલ કાનાણીના ઘર પર પોલીસે છાપો મારતા ત્યાંથી દેશી દારૂ ઝડપાયો હતો.પણ સવિતા હાથ ના આવી હોય તેણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જમાદાર એસ.એન.પરમારે જણાવ્યું હતું. 

ઉમર નાની હોય મૈત્રી કરાર કરી રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મુકે નાશી ગયો

મૈત્રી કરાર તરફ ઢળતી આજની પેઢી સામે લાલબત્તીરૂપ કિસ્સો !



પરિવારની સહમતીથી બંને લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા : સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતીની ફરિયાદ પરથી યુવક અને તેની માતા સામે ગુનો નોંધાયો 

રાજકોટ તા.૧૨ 
આજની પેઢીમાં મૈત્રી કરાર કરી સાથે રહેવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ તેની વરવી બાજુથી તેઓ ભાગ્યેજ પરિચિત હોય છે ત્યારે મૈત્રી કરાર સામે લાલબત્તીરૂપ કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી મૈત્રી કરાર કરી જીવંતિકા નગરમાં રહેતા યુવાન સાથે રહેતી હતી. બંનેની ઉમર નાની હોય, પુખ્ત ઉમરના થતા લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બે વર્ષ સાથે રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મૂકી નાશી જતા આ મામલે યુવતીએ આ યુવક અને તેની માતા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાની માતા સાથે રહેતી યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીવંતિકા નગર-૨ માં રહેતા જયદીપ હરસુખભાઈ ભીમાણી અને તેમની માતા અરુણાબેન સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતાની સહેલી મારફત જયદીપના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે બંને પરિવારજનોએ જાણ કરી હતી. બાદમાં યુવતીના પિતા હયાત ના હોય, તેના મોટા બાપુ અને યુવકના માતા સહિતના વડીલોની સહમતીથી બંનેએ ગત તા.૨૩-૪-૨૦૧૬ નારોજ મૈત્રી કરાર કર્યા હતા. જે કરારમાં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને પુખ્ત વયના થયા બાદ લગ્નગ્રંથી જોડાઈ જશે.
મૈત્રી કરાર થયા બાદ યુગલ સ્વતંત્ર રીતે ભાડાના મકાનમાં રહેતું હતું. દરમિયાન યુવતી લગ્નની ઉમર નજીક હોય, જયદીપને વારંવાર લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ જયદીપ યેનકેન પ્રકારે આ વાતને ટાળી દેતો હતો. ગઈ તા.૧૭.૨.૧૮ નારોજ યુવતી પોતાની માતાના ઘરે ગઈ હતી બાદમાં ઘરે પરત ફરતા જયદીપ પોતાનો સામાન લઇ નાશી ગયો હતો. યુવતી તથા તેમના પરિવારજનોએ જયદીપનો પત્તો લગાવવા તપાસ કરી હતી  પરંતુ તેનો કોઈ પત્તો નહિ મળતા યુવતી સાથે વિશ્વાસઘાત તઃયો હોવાનું માલુમ પડતા આ મામલે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયદીપ ભીમાણી તથા તેમની માતા અરુણાબેન સામે ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને સામે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ફોજદાર વી.સી.પરમારે હાથ ધરી છે.

પડધરીની હોટેલમાંથી ૬ મોબાઈલ ચોરી સબબ જામનગરના શખ્શ સામે પોલીસમાં ફરિયાદ


રાજકોટ તા.૧૨ 
આજથી બે મહિના પહેલા પડધરીની એક હોટેલમાંથી ચોરાયેલા રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલના બનાવમાં હોટેલ સંચાલકે જામનગરના ગાંધીનગરના શખ્શ સામે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ પડધરીમાં ગીતાનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલ આઈ શ્રી ખોડિયાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ગઈ તારીખ ૧૪.૨.૨૦૧૮ ના રાત્રીન બારેક વાગ્યે રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલ ચોરાઈ ગયાની ઘટના બની હતી.
દરમિયાન આ વાતમાં મોબાઈલ ટ્રેસિંગના આધારે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં, સાંઇબાબા મંદિર પાછળ રહેતા તેજસ શાંતિલાલ પંડ્યાનું નામ શંકાના પરિઘમાં આવતા તેમને પકડી પાડી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત ૬ મોબાઈલ આ યુવાને જ ઉપરોક્ત દિવસે હોટેલના ખુલ્લા મેદાનમાં સુતો હતો ત્યારે, હોટેલ માલિકની નજર ચૂકવી ઉઠાવી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. 
આ બનાવની ગઈકાલે મયુર રણજીત ડોડીયા(રહે.વિજય પ્લોટ, ગોંડલ રોડ)એ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રોબેશનલ પીએસઆઈ એમ.જે.પરમારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેરાવળ(શાપર)ની ફેકટરીમાં ભીષણ આગ : ૧૫ કરોડની મશીનરી બળીને ખાક !


ઇન્સ્યુલેશન ફોર્મ બનાવતી ફેકટરીમાં આગ : રાજકોટથી દોડેલા ૪ અગ્નિશામક દળોના સ્ટાફે આગ કાબુમાં લીધી : ફેકટરીમાં કાઈ નાં બચ્યું : સંપૂર્ણ ફેક્ટરી બળી ગઈ 

વેરાવળ(શાપર)માં આજે વહેલી સવારે એક ફેકટરીમાં લાગેલી આગમાં સંપૂર્ણ ફેકટરીની માલમતા અને મશીનરી બળી ગઈ હોય અંદાજે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો આંક અનુમાનિત કરાઈ રહ્યો છે. આગને ઓલવવા રાજકોટ ખાતેથી ૪ અગ્નિશામક વાહનોની મદદ લેવાઈ હતી. આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે, બનાવની જાણ પરથી પોલીસ સહિતના સંબંધિત સરકારી તંત્રોએ બનાવ જગ્યાએ પહોચવાની કવાયત આદરી છે. આગનું કારણ કાળઝાળ ગરમી છે કે કોઈ બીજું કારણ ? તે માટે વીજકંપની સુત્રો અને ફોરેન્સિક લેબો.નિષ્ણાંતો અને વિમાંસુત્રોએ તપાસ હાથ ધરી છે.







મળતી વિગતો મુજબ વેરાવળ(શાપર)ના રામેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામના ઇન્સ્યુલેશન ફોર્મ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે ૩ થી ૪ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. 
આગ એટલી ભયંકર હતી કે જોનારાઓ માનતા હતા કે આગ બુઝાવવી કઠીન થશે. પણ ફેક્ટરી માલિકની જાણ પરથી રાજકોટ ખાતેથી કોઠારિયા, રામાપીર, માવડી અને રેલનગર એમ ચાર જગ્યાએથી દોડેલા ફાયરફાયટરના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ કાબુમાં લઇ લીધી હતી.
પણ ત્યાં સુધીમાં એટલેકે પાંચેક કલાક દરમિયાન ચાલુ રહેલી આગમાં ફેક્ટરીના ટોટલી બિલ્ડીંગમાં પડેલું ઇન્સ્યુલેશન બનાવવાનું રો મટીરીયલ્સ, ૨૨ જેટલા ફોર્મ બનાવવાના કેરબા, ઇલેક્ટ્રિક વાયરો, ૧૨ મશીનો વિગેરે માલમત્તા બિલકુલ આગમાં નાશ પામ્યું હોવાનું ફેક્ટરી માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયા(રહે. ૧૫૦ ફૂટ રીંગરોડ, બીગબઝાર પાછળ, રાજકોટ) દ્વારા જાહેર કરાયું હતું.
ફેક્ટરીમાલિકના જણાવ્યા અનુસાર આગમાં આશરે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો અંદાજ છે. આ વાતની જાણ પરથી પોલીસ, ફોરેન્સિક લેબો.નિષ્ણાતો, વિમાંસુત્રો અને વીજકંપની સુત્રોએ બનાવ સ્થળે પહોચવાની કવાયત આદરી છે. આગ ક્યા કારણોસર લાગી ? કોઈ ઈલે.શોકસર્કિટનો બનાવ છે કે કાળઝાળ ગરમીએ આગ ઉપજાવી ? તે વાતની તપાસ માટે સંબંધિતો ધંધે લાગ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ગઈકાલે જ પડધરી બાઈપાસ પાસેની પટેલ કોટન નામની જીનીંગમાં આગથી રૂપિયા ૫ કરોડનો કપાસ બળીને રાખ થઇ ગયાની ઘટના બાદ સતત બીજે દિવસે ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામની ફેકટરીમાં આગથી ૧૫ કરોડની મશીનરી ઓગળી જઈને નુકશાની થઇ હોવાની વાતથી લાગતા વળગતા વીમાકંપની સુત્રો પણ ધંધે લાગ્યા છે.
બોક્સ: શું છે આ ઇન્સ્યુલેશન ફોર્મ ?
વેરાવળ(શાપર)માં રામેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ગોલ્ડ કિન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડના માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયાએ જણાવેલ કે, મોટા મોટા મોલ અને હોસ્પિટલોમાં ગોઠવાયેલી સેન્ટ્રલી એરકંડીશનર સુવિધામાં ઠંડી નિયત સ્થળેથી બહાર ના જતી રહે તે માટે ઇન્સ્યુલેશન ફોર્મ બનાવાતું હોય છે. જે એસી ઉપર કોપરની પાઈપ ઉપર જોવા મળે છે તે ઇન્સ્યુલેશનની ટ્યુબના રૂપમાં જોવા મળે છે. ટૂંકમાં ઠંડીના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલેશન ફોર્મનો મહત્વનો ફાળો હોય છે. આવા ઇન્સ્યુલેશન ફોર્મ તેઓ એલજી, સેમસંગ જેવી મોટી મોટી કંપનીઓને સપ્લાય પણ કરતા હોવાનું અશ્વિનભાઈ પટેલે “સાંજસમાચાર”ને જણાવ્યું હતું.