અનુયાયીઓ

સોમવાર, 27 જુલાઈ, 2015

જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ માર્ગદર્શન સેમીનાર યોજાશે


જેતપુરમાં કાલે ઇન્કમટેક્સ 
માર્ગદર્શન સેમીનાર યોજાશે
જેતપુર તા.27
જેતપુરમાં બુધવાર ને  તા.29.7. ના રોજ અહીના જુનાગઢ રોડ પર આવેલ રોટરી હોલ ખાતે ઇન્કમટેક્સના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ આઈટી, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો., ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ટેક્સ પ્રેક્ટીશ્નરના સયુંકત ઉપક્રમે બપોરના 3-00 વાગ્યે યોજાનાર આ સેમિનારમાં સિઆઇટી રેંજ-1 ના એડીશનલ કમિશ્નર સીનોઈ ઇન્કમટેક્સ બાબતે વિસ્તૃત માહિતી પીરસનાર હોય શહેર તથા તાલુકાના વેપારીઓ હાજર રહેવા આયોજક સંસ્થાઓએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ

જેતપુર શહેર અને પંથકમાં 2 ઇંચ 
જેતપુર તા.27
જેતપુર શહેર અને પંથકના જેતલસર સહિતના ગામોમાં ગઈ રાત્રીથી ધીમી ધારે શરુ થયેલ વરસાદે 2 ઇંચ જેટલું પાણી વરસાવ્યાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં ધીમી ધારે આખી રાત વરસાદ વરસતા 1.5 ઇંચ વરસાદ થયાનું સરકારી તંત્રોના ચોપડે નોંધાયું છે. જયારે સોમવારના સવારથી સાંજ સુધી 15 મીમી ઝરમર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ભાદર ડેમની સપાટી હાલ 30.60 ફૂટ પર પહોચી છે. ડેમ વિસ્તારમાં નહીવત વરસાદ પડ્યો હતો. જયારે ભાદર ઈરીગેશન ક્રાઈટ અરિયામાં આવતો સાંકરોલી ડેમ આજે તેની 25.20 ફૂટ સપાટી વટાવીને છલકી ગયો હોવાનું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશનસુત્રોએ જણાવ્યું હતું.
તાલુકાના જેતલસરમાં ગઈ રાતથી આજે સાંજ સુધીમાં દોઢ ઇંચ, અમરનગરમાં અઢી થી ત્રણ ઇંચ વરસાદ પડયાના અહેવાલો મળ્યા હતા.

જેતપુરમાં શરાબ-બીયર ભરેલી રેઢી કાર મળી !
રવિવારની મોડી રાત્રીના જેતપુરમાંથી વિલાયતી શરાબ અને બીયરના જથ્થા સાથે એક કાર પોલીસને મળી આવતા પોલીસે કાર માલિકની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર શહેર પોલીસનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે અહીના તાકુડી પર વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર પાસે બંધ પડેલી જીજે 10 એફ 721 નંબરની શંકાસ્પદ કારને તપાસાતા તેમાંથી વિલાયતી શરાબની 228 બોટલ્સ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે શરાબ-બીયર અને કાર મળી કુલ રૂપિયા 1.13 લાખનો મુદામાલ કબજે લઇ, કાર માલિકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !

જેતપુરમાં યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં 
ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકારને 
ચાબખા મારતા કોંગ્રેસના આગેવાનો !! પ્રજા સમજી જાય !
જેતપુર તા.27 (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુર ખાતે મળેલા કોંગ્રેસના સશક્તિકારણ સંમેલન દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોએ ગુજરાત અને દિલ્હી સરકાર પર વરસાદની જેમ ચાબખારૂપી તૂટી પડી ઉપસ્થિત લોકોને સમજાવ્યા હતા કે હજુ બહુ મોડું નથી થયું, કમળને રામ રામ કરી પંજાને સાથ દેવા માંડો !!
આ બાબતે મળતી વિગતો મુજબ રવિવારે અહીની પ્રખ્યાત ધાર્મિક જગ્યા ખાખામઢી હનુમાનજી મંદિર ખાતે  કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પાંભરના ખરી જહેમત વચ્ચે મળેલ સશક્તિકરણ સંમેલનમાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે પણ તાલુકાના ગામડાઓમાંથી જેતપુર દોડી આવેલા આગેવાનો, કાર્યકરોએ વર્તમાન ભાજપ સરકારની રીતિનીતિ પરત્વે ગજબનો રોષ ઠાલવ્યો હતો.
જેતપુરના જગાભાઇની હાકલ અને અનુરોધથી અહી દોડી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, જવાહર ચાવડા, સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રાઘવજીભાઈ પટેલ, માજી સાંસદ કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ચોવટિયા, સ્થાનિક કોંગી આગેવાનો સહેનાઝ્બેન બાબી, નીલેશ પંડયા, ચેતના પારધી , શારદા વેગડા વિગેરે પ્રસંગોચિત વકતવ્યોમાં વર્તમાન સરકારની જાટકણી કાઢી હતી. 
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 100 દિવસમાં કાળું નાણું ભારતમાં  લાવવાની વાતોના વડા કરનાર  વર્તમાન સરકાર આ બાબતે આજે 420 દિવસેય  ફીફા ખાંડે છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવેલ કે નરેન્દ્ર મોદી જેવા ભાઈને દેશની મોટી ગાદી પર બેસાનાર ગુજરાતની પ્રજાને એવી આશા હતી કે તકલીફ પડશે તો ભાઈ આવશે, પણ આ ભાઈને અમેરિકા જવાનું બહુ ગમતું હોય, પીડાતી પ્રજાને ક્યાંથી મળવા આવે ?
અમરેલી પૂરપીડીતોનો કોઈએ ભાવ ના પુંછતા રાજ્યગુરુએ આવું તીર છોડ્યું હતું..
માજી સાંસદ કુવરજી બાવળીયાએ ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતોને હેરાન કરવામાં વર્તમાન સરકાર કોઈ કચાસ નાં રાખતી હોવાનો આક્ષેપ કર્યો હતો.  તો માણાવદરના જવાહર ચાવડાએ પોતાની તેજાબી શૈલીમાં જણાવેલ કે ખેડૂતોને વીજ કનેક્ષનો મેળવામાં ધોળે દિવસે તારા દેખાડતા સંબંધિતો હમણાં કોઈ ઉદ્યોગપતિ વીજ કનેકશનો માંગે તો યુધ્ધના ધોરણે આપી દેવાય છે ! આવો ભેદભાવ શુકામ ? તેવો સવાલ ઉઠાવી વર્તમાન સરકાર પર ચાબખા માર્યા હતા. 
બોક્સ: સેંકડો ભાજપીઓ કોંગ્રેસમાં જોડાયા !
જેતપુર: જેતપુર ખાતે કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનને સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર રાજકોટ જીલ્લ કોંગ્રેસ ઉપપ્રમુખ અને જાણીતા દાતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે, વર્તમાન સરકારની નીતિરીતી પ્રજા હવે જાણી ગયી છે. હવે લોકોને છેતરવામાં રસ નથી, લોકોમાં એક એવો સ્વયંભુ જુવાળ ખડો થયો છે કે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ વાતની પુષ્ટિ રૂપે રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચંદુભાઈ શિંગાળા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખના ભરથાર વિપુલ વૈષ્ણવ કે જેઓ નાની ઉમરથીજ ભાજપના ભગવામાં રંગાયેલ તેઓએ, જેતપુર તાલુકા ભાજપના આગેવાન પી.એલ.વસોયા, મંડલીક્પુર ના કિશોર પાદરીયા, કાળુભાઈ ગોહિલ સહીત મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપને તરછોડી કોંગ્રેસને અપનાવી લીધો હતો.  સંમેલનના પ્રમુખસ્થાન એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ગેરહાજરી બાબતે જગદીશ પાંભરે જણાવેલ કે નરમ ગરમ તબિયતને હિસાબે સોલંકી આવી શક્યા નહોતા..
બોક્સ:  ઓળખી લો આ સુટ, બુટ અને ટાય સજ્જ સરકારને !
જેતપુર: રાજકોટ જીલ્લા ભાજપના માજી મહામંત્રી ચંદુભાઈ શિંગાળાએ રોષભેર જણાવેલ કે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દેનારી વર્તમાન સરકાર શૂટ બુટ અને ટાયમાં સજ્જ છે, આ સરકાર ખેડૂતોની નહિ પણ માલેતુઝાર ઉદ્યોગપતિઓની છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે વાત માત્ર ને માત્ર ભ્રામક છે, લોભામણી વાતો કરના સરકારને પ્રજાની પડી નથી, અરે પ્રજા તો શું અમરેલીના ધારાસભ્ય કે જે વિધાનસભાના સદસ્ય છે અને દેશના વડાપ્રધાન માટે આવા સૌ મિત્રો સરકારના હાથ પગ કહેવાય છતાં, આવા ધારાસભ્યો છેક મરણ પથારી સુધીના આંદોલનો કરે તો ય તેની સામું નાં જોવાય તો આમાં બિચારી પ્રજા સામે કોણ જોવાનું ? તેઓએ કોંગ્રેસના એક વખાણ પણ દોહરાવ્યા હતા કે જયારે તેઓ ભાજપમાં હતા ત્યારે એક આંદોલનમાં રાજકોટમાં મનોહરસિંહ જાડેજા જેવી કોંગ્રેસની હસ્તીઓ ઉપવાસીઓની ખબર અંતર પુછવા આવતી, જયારે અમરેલીના ધારાસભ્ય એક વખત મોતના મુખમાં ધકેલાઈ જાય તે રીતે તાજેતરમાં પુર પીડિતો માટે આંદોલન છેડ્યું, પણ ભાજપનો કોઈ આગેવાન તેમની ખબર કાઢવા નાં ફરક્યો !! આવી સરકાર સાથે રહેવાની બદલે છેડો જ ફાડી નંખાય ! શાયદ આવી ભાવનાઓથી જ કોંગ્રેસમાં ભાજપના આગેવાનો જોડાઈ રહ્યા છે.
------------
ટૂંકમાં જેતપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના સશક્તિકારણ સંમેલનમાં ગુજરાતમાં "બેનની" અને દિલ્હીમાં "ભાઈની" સરકાર પર ચાબખા મારવાની તક કોંગ્રેસના આવેવાનોએ ચુકી નહોતી તેવું કહેવું ઉચિત જણાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 9974262812