



ભારતીય સંસ્કૃતિના મહિમાવંત મૂલ્યો અને નારી શકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવાનું પ્રેરક આહ્્વાન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
કુટુંબ સંસ્થાને જાળવવામાં નારીશકિતના નિર્ણાયક યોગદાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
નારીસશકિતકરણ અને બાળ સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતની અનેકવિધ ક્રાંતિકારી પહેલઃ-
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતના મૂલ્યો અને માતૃશકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવા ભારતીય મહિલાઓને પ્રેકર આહ્્વાન કર્યું હતું.
નવી દિલ્હીમાં FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘‘ભારતીય હોવાનું સ્વાભિમાન ધરાવીએ’’ વિષયક સંવાદ ગોષ્ઠિ યોજવામાં આવી હતી જેમાં, વિશેષ અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઊદ્યોગ, વેપાર, વ્યવસાય સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી યુવા માતાઓને નવી પેઢીમાં ભારતીય સંસ્કાર મૂલ્યોના સંક્રમણ માટે મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતૃશકિત અને નારીનો જે મહિમા છે તે દુનિયામાં બીજે કયાંય નથી. કુટુંબ સંસ્થાનું અદ્દભુત નજરાણું વિશ્વને ભારતીય સંસ્કૃતિએ આપ્યું છે અને કુટુંબ સંસ્થાને જાળવવામાં ભારતીય નારીનું યોગદાન જ નિર્ણાયક રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નારી સશકિતકરણ ક્ષેત્રે ગુજરાત સરકારે જે નવિનત્તમ શ્રેણીબધ્ધ પહેલ કરી છે તેની સવિસ્તર ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, પરિવાર અને સમાજમાં નિર્ણય પ્રક્રિયામાં નારીને ભાગીદાર બનાવવાથી જ તેનું સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન મળી શકશે. મહિલા આર્થિક રીતે સ્વાશ્રયી હશે તો તે નિર્ણય પ્રકિયામાં પ્રભાવી બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી બે વર્ષમાં મિશન મંગલમ પ્રોજેકટ અન્વયે રાજ્યમાં રપ લાખથી વધારે ગરીબ અને ગ્રામીણ મહિલાઓના હાથમાં બે લાખ જેટલા સખીમંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિઓનું નેટવર્ક વિકસાવીને રૂા. પાંચ હજાર કરોડનું ભંડોળ આપવાનો ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી નિર્ધાર વ્યકત કર્યો હતો.
મિશન મંગલમમાં ભારતના ગણમાન્ય કોર્પોરેટ ગૃહો, બેન્કો, સ્વૈચ્છિક સંગઠનો, રાજ્ય સરકાર અને સખીમંડળોના સંયુકત સાહસ એવી અલગ સ્વતંત્ર કંપની રચીને નારી સશકિતકરણની ક્રાંતિકારી પહેલ ઉપરાંત સમગ્રતયા ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના જગાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
માતૃશકિતના પારિવારીક પ્રભાવ માટે ગુજરાતમાં કેટલાક નવતર કાનૂન અમલમાં મૂકયા છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મહિલા સભ્યના નામે પરિવારમાં મિલકતો ખરીદવા સ્ટેમ્પ ડયુટી રાહત અને નોંધણી ફી માફીની ક્રાંતિકારી યોજનાના અમલથી રાજ્યમાં નવ લાખથી વધારે બહેનો મિલ્કતની માલિક બની છે. ગુજરાતમાં શાળામાં બાળકના નામાંકન સાથે માતાનું નામ ફરજીયાત નોંધવાનો અને આવાસો સહિત સરકારી યોજનાઓના લાભોમાં લાભાર્થી પરિવારોની મહિલાના નામે ફાળવણીમાં પ્રાથમિકતા આપવાનો કાયદો પણ અમલમાં મૂકયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભૃણ હત્યાનું પાપ મિટાવવા બેટી બચાવનું જનઆંદોલન સફળ રહ્યું છે તેની વિગતો આપી જણાવ્યું કે દાયકા પહેલાં ગુજરાતમાં દર હજારે ૮૧૬ સ્ત્રીઓનો જન્મદર હતો જે આજે વધીને ર૦૧૧માં ૯૧૬ ઉપર પહોંચ્યો છે.
તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITE જેવી વિશ્વની વિશિષ્ઠ યુનિર્વસિટીઓના અનોખા ઉદેશની ભૂમિકા આપતાં જણાવ્યું કે, દેશને અને દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત છે અને આવતીકાલના સામર્થ્યવાન સમાજ માટે માતૃશકિતનું સમર્થ યોગદાન તથા ઉત્તમ શિક્ષકો ભારતીય સંસકૃતિના મૂલ્યોને નવી પેઢીમાં આત્મસાત કરાવે તે દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.
તેમણે જણાવ્યું કે બાળકોમાં તેમની શકિતઓનો વિકાસ કરવા માટે પૂરતો અવસર મળે તે માટે માતા અને શિક્ષકની ભૂમિકા કેન્દ્રસ્થાને છે અને બાળ સશકિતકરણના ઉપેક્ષિત ક્ષેત્રમાં ગુજરાતે નવા આયામો અપનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુલામી કાળખંડને કારણે વિશ્વના અનેક દેશોમાં ભારતીય નારી વિશે જે ભ્રામક છબિ પ્રવર્તે છે તેનો નિર્દેશ કરી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીશકિતનો જે મહિમા પ્રસ્થાપિત થયો છે તેને યોગ્ય પ્રરિપ્રેક્ષ્યમાં રજુ કરવો જોઇએ.
ભારતીય સમાજ અને સંસ્કૃતિની વિરાસતનો સનાતન મહિમા ઊજાગર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ પ્રેરક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું કે, દુનિયામાં ઘણી માનવ સંસ્કૃતિ કાળગ્રસ્ત થઇ છે પરંતુ ભારતની સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે ‘‘કભી મિટતી નહિં હસ્તી હમારી’’ ભારતની ધરતીની માટીમાં આપણા પૂર્વજોના વિચાર અને વ્યવસ્થા એવા વિકસીત થયા છે કે યુગો બદલાતાં પણ તે નિરંતર પ્રેરણા અને શકિતના પ્રસ્તૃત સ્ત્રોત બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય સમાજમાં પરિવર્તન અને સમયાનુકુળ બનવાનું અદ્દભુત સાતત્ય રહ્યું છે અને કાળક્રમે આવતી વિકૃતિઓ સામે લડવામાં આ જ સમાજમાંથી મહાપુરૂષોએ ક્રાંતિકારી પરિવર્તનો હાંસલ કરી બતાવ્યા છે. કાળબાહ્યનો ત્યાગ કરવો અને સમયાનુકુળ નવી વ્યવસ્થાને સ્વીકારવામાં ભારતીય સંસકૃતિ નિત્ય નૂતન સમાજની દિશામાં વિશ્વને પ્રેરણા આપતી રહી છે. આપણે આપણી મહાન સંસકૃતિનું ગૌરવ અને સ્વાભિમાન જાળવવું જોઇએ.
YFLOના અધ્યક્ષ સુશ્રી અવંતિકા દાલમિયાએ મુખ્યમંત્રીશ્રીને ર૧મી સદીના પ્રગતિશીલ નેતૃત્વ અને નવી પેઢીના પ્રેરક માર્ગદર્શક તરીકે ભાવભર્યો આવકાર આપતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતને આધુનિક વિકાસ માટેનું મોડેલ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યના સંવર્ધન માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં જે દીર્ઘદ્રષ્ટિ છે તે સમગ્ર રાષ્ટ્રને પથદર્શક બની રહેશે.
આ પ્રસંગે YFLOના શ્રીમતી મીના મલ્હોત્રા, સુશ્રી મનપ્રિત વાલીયા તેમજ દિવ્યા સૂરીએ પણ મુખ્યમંત્રીશ્રીના ભારતીય સંસ્કૃતિ વિષયક વિચારોને અત્યંત મનનીય ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે નારી સશકિતકરણ અને ગુજરાતના અભિનવ વિકાસ અંગે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.
માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરવા મુખ્યમંત્રીશ્રીનુ આહ્્વાન
મુંબઇ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને FICCI ના કાર્યક્રમમાં દિલ્હી ખાતે શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં FICCI YLFO આયોજિત સમારોહની શરૂઆતમાં મુંબઇમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, નરાધમોના કૃત્યોનો ભોગ બનેલા પીડિતજનો પ્રત્યે સમગ્ર દેશ સંવેદના પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓના નરાધમ કૃત્યોથી બચાવી શકાય અને આપણે સૌ સંગઠિત બનીને માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરી શકીએ તેવી શકિત ઇશ્વર આપણને સૌને આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.