સમાજસેવાનો હોબાળો
જ્યારે કોઈક ધર્મ–અધ્યાત્મ ગુરુની અલૌકીક ઉત્પત્તી અને ચમત્કારીક શક્તીનો સમાજ સમક્ષ પર્દાફાશ થઈ જાય છે અને તેમની માનવસહજ નીર્બળતાઓ સામે આવે છે ત્યારે તેમના પ્રચારકો એવા ગુરુઓની સામાજીક સેવાઓનો ગોકીરો મચાવી મુકે છે. આશ્વર્યની વાત એ છે કે આવા ગોકીરામાં કેટલાક ચર્ચાપત્રીઓ, કટારલેખકો અને મોટા ચીન્તકો પણ વગર વીચાર્યે જોડાઈ જાય છે.
સમાજસેવા કોણ નથી કરતાં ? વાસ્તવમાં બધા જ લોકો પોતાના કાર્ય દ્વારા નાની–મોટી સમાજસેવા જ કરે છે. એ દૃષ્ટીએ રાજનેતાઓ, અમલદારો, સરકારી–ખાનગી કર્મચારીઓ, ઉદ્યોગપતીઓ, ખેડુતો, પશુપાલકો, વહેપારીઓ, અભીનેતાઓ, લેખકો, પત્રકારો, શીક્ષકો, વૈજ્ઞાનીકો, ટેક્નીશીયનો, મજુરો અને સંડાસ–ગટર સાફ કરનારા પણ સમાજસેવા જ કરે છે. આમ આખો સમાજ સમાજસેવા કરે છે. એ સંજોગોમાં માત્ર ધર્મ–અધ્યાત્મગુરુના સમાજસેવાના કાર્યને જ કેમ અલૌકીક, દીવ્ય, મહાન અને શ્રેષ્ઠ ગણીને તેના ગુણગાન ગાવામાં આવે છે અને માત્ર તેમની જ પુજા–વંદના કેમ કરવામાં આવે છે ?
કોઈ અહીં દલીલ કરશે કે ‘તમે ધર્મ ગુરુ જેવું મહાન કાર્ય કેમ કરી બતાવતા નથી ? તમારી એવી હેસીયત છે ખરી ?’ આવી દલીલ કરનારાઓને મારો પ્રશ્ન છે કે ‘તમે રેલવે સ્ટેશનના પાટા પરની ગંદકી ઉઠાવવાનું અને ગંદી ગટરોની સફાઈનું નાનું અને સામાન્ય કામ કેમ કરી બતાવતા નથી ? તમારી એટલીય હેસીયત કેમ નથી ?’ તાત્પર્ય એ છે કે સંડાસ અને ગટર સફાઈનું કામ પણ સમાજસેવાનું અનન્ય, અજોડ અને મહાન કાર્ય છે. કારણ કે એના વીના આપણો સમાજ એક દીવસ પણ ટકી શકે નહીં. તો એવા મહાન કાર્ય કરનારાને માન–સન્માન આપવાને બદલે તેમનો તીરસ્કાર કેમ કરવામાં આવે છે ? વર્ણવ્યવસ્થાજન્ય પુર્વજન્મનાં પાપકર્મ અને પ્રારબ્ધના બહાના તળે એમને અન્યાય અને એમનું શોષણ કેમ કરવામાં આવે છે ? ધર્મગુરુઓએ આજ પર્યન્ત એ વર્ગનાં સર્વાંગી ઉત્થાનનાં સમાજસેવાનાં કાર્યો કેમ હાથ ધર્યા નથી ?
સંડાસ–ગટર સફાઈ કરનારાઓને અને તમામ પ્રકારના કાર્ય કરનારાઓને એની સમાજસેવાનો બદલો પગારરુપે મળે જ છે. તેમ ધર્મગુરુઓને પણ એમની સમાજસેવાના કાર્યો બદલ વળતર રુપે પગાર મળે જ છે ને ? આ ધર્મગુરુઓ પાસે કરોડો અબજોની સમ્પત્તી ભેગી થાય છે એ દર્શાવે છે એમને એમની સેવા બદલ વળતર પેટે ભરપુર મેવા–મીઠાઈ મળે જ છે.
સરકારી ક્ષેત્રોમાં અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર છે તો ધર્મગુરુઓના આશ્રમોમાં શું ભ્રષ્ટાચાર નથી ? આશ્રમોમાં પણ લડાઈ–ઝઘડા, ખુન અને હત્યાઓ થાય છે, અસામાજીક પ્રવૃત્તીઓની દુર્ગન્ધો પણ એમાંથી અવારનવાર પ્રગટ થાય છે. સામાન્ય લોકોની સમાજસેવા અને ધર્મગુરુઓની સમાજસેવા વચ્ચે ખાસ કોઈ મોટો તફાવત તો છે જ નહીં. પછી ધર્મગુરુઓની સેવાઓને દીવ્ય અને અલૌકીક તથા મહાન શા માટે ગણવામાં આવે છે ? એનો આટલો બધો હોબાળો શા માટે ? વાસ્તવમાં સંશોધનનો આ મહાન વીષય છે.
કોઈ પણ માણસને જીવનમાં સફળતા અને સીદ્ધી માત્ર પોતાની લગન અને પુરુષાર્થને કારણે જ મળે છે. કોઈના આશીર્વાદથી કશું જ મળતું નથી. છતાંય એવું કોઈ માનતા હોય કે તેમને કોઈના આશીર્વાદથી સીદ્ધી મળી છે તો એ તેમનું અજ્ઞાન, શીશુવયમાં મળેલા કુસંસ્કાર યા ખોટું શીક્ષણ અને અન્ધશ્રદ્ધા છે. એટલું જ નહીં; એમાં સામાન્ય સમજણનો પણ અભાવ છે.
- એન. વી. ચાવડા
(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક)
સંપર્ક:
શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ - ૩૯૪ ૩૩૫, જી. સુરત. ફોન નંબર: (02622) 247 088
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો