અનુયાયીઓ

શનિવાર, 17 નવેમ્બર, 2018

જેતલસરના ડેડરવા રોડ ઉપર આઇસર હડફેટે બાઈક ચાલકનું મોત એક ગંભીર


અકસ્માત સર્જી આઇસર ચાલક નાસી છૂટયો...

(કશ્યપ જોશી) જેતલસર તા.17

આજે સાંજે સાત વાગ્યાની આસપાસ જેતલસર નજીકથી પસાર થતા ડેડરવા રોડ પર પેટ્રોલ પંપ સામે જેતપુરના સાડીધોલાઈ ઘાટના આઈસર ચાલકે સામેથી આવતા બાઇકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ જ્યારે તેમની પાછળ બેઠેલા એક આધેડને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ડેડરવા ગામે રહેતા સાગરભાઇ દિનેશભાઈ મકવાણા નામનો 23 વર્ષનો યુવાન આજે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાનું જીજે 3 કે એફ   8 3 2 2 નંબરનું  બાઈક લઈને ડેડરવાથી જેતલસર તરફ આવી રહ્યો હતો ત્યારે જેતલસરથી ભાટ ગામ  જઇ રહેલ સાડી ધોલાઈ ઘાટના જીજે 03 એ. એક્સ. 5221 નંબરના  આઈસર ચાલકે ધડાકાભેર સાગરભાઇના બાઈકને અડફેટે લેતા સાગરનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

 જ્યારે તેમના બાઈક પાછળ બેઠેલા ડેડરવાના દિનેશભાઈ ભનુભાઇ ચાવડા  ઉંમર વર્ષ 45 ને પગમાં ફ્રેકચર  જેવી ગંભીર ઇજાઓ સાથે સરકારી સેવા 108 દ્વારા  સારવાર માટે જેતપુર ખસેડવામાં આવેલ છે.  વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ આ અકસ્માતમાં મોતને ભેટેલો સાગર બે ભાઈઓ માં નાનો ભાઈ હતો. તેમનો મોટોભાઈ જેતપુર મજૂરી કામ કરે છે. અકસ્માત સર્જીને મેટાડોર ચાલક નાસી છૂટ્યો છે.

 અકસ્માત બાબતે નજરે જોનારા લોકો લોકોએ જણાવ્યુ હતુ કે સાડીના મુદ્દા ભરીને જેતપુરથી ભાટગામ જઈ રહેલ મેટાડોર બેફામ સ્પીડે રોડ ઉપરથી નીકળ્યો હતો. ત્યારે આ રોડ ઉપર આવતા પેટ્રોલ પંપ સામે આ અકસ્માત સર્જાયો હતો.  અત્રે એ નોંધનીય છે કે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા જ્યારથી જેતલસરથી ભાટગામ  સુધીનો ડામર રોડ બનાવ્યો છે ત્યારથી  સાડી ધોલાઈ ઘાટના વાહનો બેફામ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે.

 જેતપુરથી જેતલસર આવતા આ ગામના રોડ ઉપર ગાયત્રીનગર આગળ જતા ડેડરવા ગામ તેમજ આરબટીંબડી અને  રૂપાવટી ગામ નૂ પાટીયુ એમ તમામ વિસ્તારો આવેલા હોય આ રોડ ઉપર નાના-મોટા વાહનચાલકોને તેમજ જેતલસરથી ડેડરવા અને છેક ભાટ ગામ સુધી આ રોડની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા હોય રાહદારીઓ તેમજ ખેડૂતોને રાત દિવસ અવર જવર ચાલુ રહે છે.

 આ બધું જાણતા હોવા છતાં સાડી ધોલાઈ ઘાટના  વાહનો માતેલા સાંઢની જેમ દોડતા હોય આ રોડ ઉપર અવાર નવાર અકસ્માતો થતા રહે છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સાગર મકવાણાની લાશને પીએમ માટે જેતપુર ખસેડી અકસ્માત સર્જનાર આયસર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ડેડરવા ગામના આશાસ્પદ યુવાન સાગરના મૃત્યુથી ડેડરવા માં તેમજ મૃતકના પરિવારજનો શોક માં ફેલાયો છે.
ફોટો અને અહેવાલ :કશ્યપ જે. જોશી, જેતલસર


રાજકોટ યાર્ડમાં સરકારી 'ટેકા' વગર ખુલ્લા બજારમાં 4 ગણી મગફળી વેંચાઈ !


સારી જણસીનો બજારભાવ સરકારી ટેકાની સમકક્ષ!
- બીજા દિવસે રાજકોટમાં ૧૫૦ ક્વિ.મગફળી ટેકાથી 'ઉધારે' ખરીદાઈ,સામે ખેડૂતોએ ૬૦૦-૭૦૦ ક્વિન્ટલ 'રોકડે'થી વેચી
- ટેકાના ભાવે ૧,૫૦,૦૦૦ કિલો મગફળી લવાઈ ને ખુલ્લા બજારમાં એક દિ'માં ૪૨,૦૦,૦૦૦ કિલો લવાઈ !
- ઉતારાના પ્રશ્ને ખેડૂતોનો માલ પાછો જઈ રહ્યાની કિસાનસંઘે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત, ભેજના ટકા સવારે વધી જાય

મહિના પહેલાથી મગફળી સૌરાષ્ટ્રના યાર્ડમાં ખેડૂતો થોકબંધ લાવી રહ્યા છે ત્યારે સરકારે મોડે મોડે, ગઈકાલથી મગફળીની ટેકાના (રૂ।.૧૦૦૦)ના ભાવે ખરીદી શરુ કરી છે. આજે રાજકોટ યાર્ડના સૂત્રોનો સંપર્ક સાધતા ૨૫૦૦ કિલોની એક એવી ૬૦ વાન અર્થાત્ ૧૫૦ ક્વિન્ટલ મગફળી ટેકાના ભાવે યાર્ડમાં ખરીદાઈ હતી પરંતુ, આ સામે યાર્ડમાં ખેડૂતોએ ખુલ્લા બજાર માટે ૪૨૦૦ ક્વિન્ટલ મગફળી વેચવા માટે લાવ્યા હતા અને ખુદ યાર્ડના સૂત્રો અનુસાર રોજ સરેરાશ ૧૫થી ૨૦ હજાર ગુણી અર્થાત્ ૬૦૦થી ૭૦૦ ક્વિન્ટલ જેટલી મગફળી ખુલ્લા બજારમાં વેચાય છે.

ગત વર્ષે ખેડૂતોને તેમની ટેકાના ભાવે વેચાયેલી મગફળીના નાણાં બે માસ પછી મળ્યાના કડવા અનુભવો રહ્યા છે અને આ વખતે પણ આ નાણાં તુરંત કે એક-બે દિવસમાં ચૂકવાતા નથી. આથી મંદી-મોંઘવારી સામે લડતા આમ ખેડૂતો રોકડાની જરૂરિયાત પૂરી કરવા ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે. વળી, ખુલ્લા બજારમાં ખેડૂતો જેની ફરિયાદો કરે છે તેવી ઉતારા, ૩૦ની ગુણી, ૭-૧૨ જેવા દાખલાઓ, ભેજની ટકાવારી વગેરે જેવા ઈસ્યુ નથી હોતા. એકંદરે સરકાર જો ખરેખર ખેડૂતોને ટેકો આપવા માંગતી હોય તો ખેડૂતો માટે મગફળીનું ટેકાના ભાવે વેચાણ સરળ-સુગમ બનાવવાની અને નાણાં ઝડપથી ચૂકવવાની જરૂર છે.
બીજી તરફ, મગફળીના ઓછા પાકના (અલબત, તેલના ભાવ વધે એટલો ઓછો પાક નથી) કારણે બજારમાં મળતા ભાવ થોડા ઉંચકાયા છે. આજે જાડી મગફળી પ્રતિ ૨૦ કિલોના રૂ।.૬૮૦થી ૯૫૩ના ભાવે અને જીણી મગફળીના ૮૪૦થી રૂ।.૧૦૦૦ (એટલે કે સરકારી ટેકાના ભાવ) ભાવે સોદા થયા હતા. આમ, સારી મગફળી ખુલ્લા બજારમાં પણ ટેકાના ભાવ કે તેનાથી પચાસ-સો રૂ।.ઓછા ભાવે વેચાય છે.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ જણાવ્યું કે ખેડૂતો ૩૦ કિલોના માપની માંગણી કરતા હતા પણ સરકાર નાફેડ મારફત આ કામગીરી કરે છે જે ૩૫ કિલોની ભરતી જ સ્વીકારે છે. પરંતુ, ૩૦ હોય કે ૩૫ તેમાં ખેડૂતોને નુકશાન નથી તે વાત અમે ખેડૂતોને સમજાવી છે અને પ્રશ્ન ઉકેલાઈ ગયાનો અને ગઈકાલે ૫૦ વાન અને આજે ૬૦ વાન (એક વાનમાં ૨૫૦૦ કિલો) મગફળી ટેકાથી ખરીદાઈ છે. તેમણે ઉમેર્યું કે યાર્ડમાં હાલ ખુલ્લા બજારમાં રોજ સરેરાશ ૧૫હજારથી ૨૦ હજાર ગુણી મગફળી વેચાય છે. ટેકાના ભાવે ખરીદાતી મગફળીના નાણાં ખેડૂતોને જલદી મળે તે માટે અમે પ્રયાસ કરીએ છીએ.

બીજી તરફ,ભારતીય કિસાનસંઘના દિલિપ સખીયાએ જણાવ્યું કે સરકારને વારંવારની રજૂઆત છતાં ઉતારાની અંદર કોઈ ફેરફાર કર્યો નથી અને જુના ઉતારામાં ઘટાડો ન કરાય તો ખેડૂતો હેરાન થતા રહેશે. ગયા વર્ષે સરકાર ટેકાના ભાવે ખરીદીમાં માત્ર નમુના લેતા હતા પણ ઉતારો કાઢતા ન હતા ૃૃૃઅને જે બારદાનમાં ૩૫ કિલોની ભરતી સમાતી તે માન્ય ગણાતો હતો.
આ ઉતારામાં ઘટાડાની સાથે જ સવારે મગફળીનો નમુનો લેવાય ત્યારે ભેજ વધુ હોય છે (હવામાનખાતા મૂજબ સવારે હવામાં ભેજનું પ્રમાણ સાંજ કરતા વધારે જ હોય છે) જે ટકાવારી સરકારે વધારવી જોઈએ.આ મુદ્દાઓનો નિકાલ ન આવે તો તા.૨૦થી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ છે. કલેક્ટરને ખેડૂતોએ રજૂઆત પણ કરી છે.