જેતપુર પાલિકા દ્વારા દિવંગતોને મુક્તિધામ સુધી પહોચાડવા
મોક્ષરથ લોકાર્પિત કરાયો
રથ માટેની સીડી પાલિકા ખાતેથી લઇ જવા અનુરોધ
જેતપુર તા.૩૦ (કશ્યપ જોશી )
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ મોક્ષરથ પ્રજા વચ્ચે મૂકી તેનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.
આ બાબતે વિગતો આપતા પાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા વિગેરેએ જણાવેલ કે મૃતકોના પરિવારજનોએ હવે મુક્તિધામ સુધી દિવંગતોની બોડી અહીના મુખ્ય સ્મશાનઘાટ સુધી પહોચાડવામાં કોઈ તકલીફ નહિ પડે.
સ્વજન ગુમાવનાર પરિજનોએ આ માટે પહેલા જેતપુર પાલિકાને જાણ કરી ત્યાંથી રથ માટેની સીડી લઇ જવાની રહેશે. કારણ મુક્તિધામમાં ઉપલબ્ધ સીડી નાની હોય, કોઈ હેરાનગતિ ઉભી ના થાય તે માટે પાલિકા કચેરીએથી સીડી લઇ જવા અનુરોધ કરાયો છે. આ સેવા ભાવનગર પંથકના સાંસદ મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટ અન્વયે ઉપલબ્ધ કરાવાઈ હોવાનું જણાવાયું છે.
મૃતકોના કોઈ સ્વજનોને અંતિમરથ ના મોકલાતો હોવાની વાતની સ્પષ્ટતા કરતા પાલિકા સુત્રોએ જણાવેલ કે પ્રારંભમાં આ વાહનનું પાસીંગ નહોતું થયું તેમજ બાદમાં નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે ઉચી નીચી જગ્યાઓ પર ગરબી મંડળોના ડેકોરેશનની લાઈટોના વાયરીંગમાં કોઈ ફોલ્ટ ના સર્જાય તે માટે કદાચ કોઈને ના પાડી હશે, બાકી મોક્ષરથ કોઈને ના આપવો કે ના મોકલવો તેવો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી. મોક્ષરથની સેવા સમસ્ત જેતપુર વાસીઓ માટે છે તેવું પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, પ્રમુખ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અજીતસિંહ જાડેજા વિગેરેએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર