ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની થયેલી જાહેરાત
આદર્શ આચાર સંહિતાનો અમલ
રાજકોટભારતીય ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચુંટણી યોજવાની આજરોજ તા. ૩-૫-૨૦૧૩ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે. આ પેટા ચૂંટણી માટે તા. ૨-૬-૨૦૧૩ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો-ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા સમગ્ર રાજકોટ જીલ્લામાં આજ તા. ૩-૫-૨૦૧૩થી અમલમાં આવેલ છે.
ચૂંટણીમાં રાજ્ય સરકારના, પંચાયતોના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, બોર્ડ નિગમો વગેરેના વર્ગ-૧ થી લઇને વર્ગ-૪ સુધીના કર્મચારીઓની સેવાઓ ચૂંટણીના કામે ઉપલબ્ધ કરવી જરૂરી હોય, ચૂંટણી કામગીરી સંબંધમાં અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ તેમજ બદલી પર પ્રતિબંધ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
ચૂંટણી દરમ્યાન સત્તાધારી પક્ષોને મદદરૂપ થાય તેવા હેતુથી રાજકીય સમાચારોને અને સિધ્ધિઓને પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય પ્રચાર માધ્યમો દ્વારા સરકારી ખર્ચે જાહેરનાણા દ્વારા ન કરવામાં આવે તેમજ સરકારી માધ્યમોનો દુરુપયોગ ન થાય તે જોવાનું રહેશે.
પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજોના તેમજ શિક્ષણ આપતા સંકુલોના મકાનો કે સ્થળનો રાજકિયપક્ષના ઉમેદવાર, ટેકેદારને કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ દ્વારા સામાન્ય સંજોગોમાં રાજકિય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકશે નહીં.
મંત્રીશ્રીઓ અને બીજા સત્તાધિકારીઓ કે સત્તાધારીના પક્ષની તરફેણમાં મતદારો પર વગ વધારે તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાકિય ગ્રાંટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં. કોઇપણ વિકાસકામોના લોકાર્પણ-શિલારોપણ વિધિ કરી શકાશે નહીં. તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપી શકાશે નહીં.
આ પેટા ચૂંટણી માટે જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર નોટીફીકેશન તા. ૮-૫-૨૦૧૩ના રોજ બહાર પડશે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૫-૫-૨૦૧૩ તથા ઉમેદવારીપત્રો ચકાસણીની તા. ૧૬-૫-૨૦૧૩ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૧૮-૫-૧૩ અને મતદાન તા. ૨-૬-૨૦૧૩ને રવિવારના રોજ સવારના ૮-૦૦ વાગ્યાથી સાંજના ૫-૦૦ કલાક સુધી થશે. તેમજ મતગણતરી તા.૫ જૂન ૨૦૧૩ના કરાશે.
આજે અધિક જિલ્લા કલેકટર શ્રી એ.બી. ગોરની અધ્યક્ષતામાં રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આદર્શ આચારસંહિતાના નિયમો, કાયદાઓ વિગેરેથી તેમને માહિતગાર કરાયા હતા. આ બેઠકમાં નાયબ પેટા ચૂંટણી અધિકારીશ્રી કેતનભાઇ ઠકકર અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
૦૦૦૦૦