અનુયાયીઓ

ગુરુવાર, 11 જૂન, 2015

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે 
દોઢ ઇંચ વરસાદથી ગામના નવા વણકરવાસમાં પાણી ઘુસ્યા 
સરપંચે વરસતા વરસાદમાં પાણીનો નિકાલ કરાવતા દલિત પરિવારજનો ખુશખુશાલ 
જેતપુર તા.11
આજે જેતપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાએ ધીમી-વધતી ધારે પાણીરૂપ હેત વરસાવતા પ્રજા ખુશીના માર્યા જુમી ઉઠી છે. બીજી બાજુ જેતપુરના થાણાગાલોલ ગામે આજે દોઢ ઇંચ વરસેલા વરસેલા વરસાદથી નવા વણકરવાસમાં પાણી ઘુસ્યાની ફરિયાદો મળી હતી. 
આ બાબતે માહિતી આપતા થાણાગાલોલના દલિત આગેવાન પરશોત્તમભાઈ ચૌહાણે જણાવેલ કે, આજના ગામમાં પડેલા દોઢ ઇંચ વરસાદથી સ્ટેશન રોડ પર આવેલા નવા વણકર વાસમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો ભયાવહ સ્થિતિમાં મુકાયા હતા. પણ આ વાતની જાગૃત સરપંચ પીન્ટુભાઈ ઉંધાડને જાણ કરતાજ તેઓ તાત્કાલિક નવા વણકરવાસ ખાતે દોડી જઈ, તાલુકા પોલીસના બીટ જમાદારો બાબુભાઈ સોસા, વિરમભાઇ વિગેરેની હાજરીમાં જેસીબી દ્વારા પાણીનો ગામ નજીકની નદીમાં નિકાલ કરાવતા વણકર પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું વીજ કંપનીનું સબસ્ટેશન

જેતપુરમાં ધડાકા સાથે સળગ્યું 
વીજ કંપનીનું સબસ્ટેશન 
જેતપુર તા.11
જેતપુરના કણકિયા પ્લોટમાં ડોક્ટર કોટડીયાના દવાખાના સામે આવેલ વીજ કંપનીના એક ટીસી (સબસ્ટેશન)માં ધડાકા સાથે આગ ફાટતા આસપાસના લોકો અને નાગરિક બેંક વાળા રોડ પર આવ-જા કરતા રાહદારીઓમાં ભય ફેલાયો હતો. જો કે પછી કોઈએ વીજ તંત્રને જાણ કરતા સંબંધિત સુત્રો મારતે ઘોડે બનાવ સ્થળે દોડી આવી, આગ બુજાવી મામલો થાળે પાડતા આજુબાજુના મેડીકલ, ચા પાણીની દુકાનદારો બેન્ક્સુત્રો વિગેરેમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જાણકારોએ કહ્યું કે તંત્રએ આવવામાં વાર લગાડી હોત તો શોકસર્કીટ જેવો બનાવ સર્જાત અને આજુબાજુના તમામ વીજ કનેક્શનધારકોને પોત પોતાના વીજ ઉપકરણોમાં નુકશાની સહવી પડત.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર, જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન

જેતપુરમાં ઝાંપટા, સાંકળીમાં સાંબેલાધાર,
જેતલસરમાં જોરદાર,ડેડરવામાં દે..ધનાધન 
જેતપુર તા.11
જેતપુર શહેરમાં આજે બપોરે સખત ઉકળાટ બાદ સાંજ સુધી હળવા ઝાંપટા સ્વરૂપે વરસેલા મેઘરાજાએ પ્રજાને રીતસરની લલચાવી હતી. તાલુકાના નવી-જૂની સાંકળી ગામે ખેડૂત આગેવાન મુકેશ લશ્કરીના કહેવા મુજબ આજે સાંકળીમાં સાંબેલાધાર વરસેલા વરસાદથી માત્ર અડધો કલાકમાં દોઢ ઈચ પાણી પડી ગયાનું અનુમાન લગાવાયું હતું. જેતલસરમાં ધીમી પગરવે આવેલા મેઘરાજાએ 2 કલાકમાં જોરદાર 1 ઇંચ પાણી વરસાવતા ખેડૂતોમાં થોડો રાજીપો જોવા મળ્યો હતો.  ડેડરવામાં કિશન બોરીસાણીયા નામના યુવાનના કહેવા મુજબ દે ધનાધન વરસેલા વરસાદથી અડધો થી પોણો ઇંચ પાણી પડ્યું  હોવાનું ગામમાં ચર્ચાતું હતું.
જેતલસરમાં કુલદીપ જોશીના કહેવા મુજબ બપોરે જોરદાર વરસેલા વરસાદથી 1 ઇંચ પાણી પડ્યાનું ગામલોકોએ જણાવેલ. જેતલસરમાં આજે સારા વરસાદી રેડાએ ગામના અંડરબ્રીજ પાસે મીની તળાવ જેવું વાતાવરણ ખડું કરી દેતા હવે અહીંથી પસાર થતા રાહદારીઓને તકલીફ વેંઠવી પડશે તેવી બુમરાણ સંભાળવા મળી હતી. ડેડરવા તેમજ સાંકળી ગામની ફૂલઝર નદીમાં નવા પાણીની આવક થતા ગામલોકો નદી કાંઠે દોડી ગયા હતા.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812



જેતપુર શહેરના વિવિધ વર્તમાન - કશ્યપ જોશી જેતપુર

જેતપુરમાં શ્રી પરશુરામ સેના દ્વારા 
પાઠ્યપુસ્તક વિતરણ-છાત્ર સત્કાર સમારોહ યોજાશે 
જેતપુર તા.11
શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા રવિવારને તા.14.6 ના રોજ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં વસતા બ્રહ્મ પરિવારના તેજસ્વી છાત્રોને સત્કારવાના અને પાઠ્યપુસ્તક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે છાત્રોએ હિતેશભાઈ શાંતિલાલ જોશી દ્વારા શિલ્ડ એનાયત કરાશે.
સવારે 9 કલાકે નવાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર બંને કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ હિતેશ જોશી અને મંત્રી અશોક ઠાકર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.




જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી 
રાજકોટના યુવાનને કાર સમેત વિલાયતી શરાબની 
191 બોટલ્સ સાથે ઝડપી લેતી રૂરલ ક્રાઈમ બ્રાંચ 
પોલીસે કાર સાથે કુલ રૂપિયા 5.58 લાખનો મુદ્દામાલ કબજે લઇ હાથ ધરી કાર્યવાહી 
જેતપુર તા.11
આજે સવારે ચોક્કસ બાતમીના આધારે એલસીબી રાજકોટના સ્ટાફે જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી રાજકોટના એક સોની યુવાનને તેમની કારમાં વિલાયતી શરાબની 191 બોટલ્સ સાથે પકડી પાડી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રૂરલ એલસીબીના ફોજદાર ઉનડકટને બાતમી મળી હતી કે જીજે 11 એસ 5347 નંબરની કારમાં વિદેશી શરાબ રાજકોટ તરફ લઇ જવાઈ રહ્યો છે.
આવી બાતમી બાદ ફોજદારે સ્ટાફના જમાદારો કાળુભાઈ, ભુરાભાઈ, પોકો નરેન્દ્રસિંહ રાણા, અબ્બાસભાઈ ભારમલ તેમજ જયેન્દ્રસિંહ વાઘેલા વી.ને સાથે રાખી પીઠડીયા ટોલનાકા પાસે બાઝ નઝર ટેકવતા ઉક્ત કાર પુરઝડપે ત્યાંથી પસાર થવા નીકળતા, પોલીસ કાફલાએ રોકી તલાશી લેતા તેમાંથી રૂપિયા 57,300 ની કિમતની 191 બોટલ્સ વિલાયતી શરાબ મળી આવ્યો હતો.
આવા સમયે પોલીસની લાલ આંખ વચ્ચે કાર ચાલકે પોતે રાજકોટનો રહીશ મહાજન ભાસ્કર ઉર્ફે ભકો નરેશભાઈ સોની હોવાનું જણાવતા પોલીસે ભકાને શરાબ અને કાર (કુલ રૂપિયા 5.58 લાખના મુદ્દામાલ) સાથે અટકમાં લઇ, શરાબ ક્યાંથી લાવ્યો અને ક્યાં પહોચાડવાનો હતો વી વાતોનો સુરાગ મેળવવા, રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.





જેતપુરમાં વધુ એક અજાણી લાશની અંત્યેષ્ટિ કરતા  
એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવીઓ 
જેતપુર તા.11
જેતપુરમાં કાર્યરત એકતા યુવા સોશિયલ ગ્રુપના સેવાભાવી યુવાનોએ આજે વધુ એક અજાણ્યા ભિક્ષુકની અંત્યેષ્ટિ કરી અવ્વલ મંઝીલે પહોચાડી હોવાની વિગતો મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે એક અજાણ્યા હિંદુ જનતા એક ભિક્ષુકની તબિયત બગડતા કોઈ સેવાભાવીઓ સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પીટલે લાવ્યા હતા. પણ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આ ભિક્ષુકનું મોત થયાની ફરજ પરના હોસ્પિટલસુત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હોસ્પીટલે દોડી જઈ જરૂરી પીએમ વિધિ કરાવી આ ભિક્ષુકના પરિવારજનોને શોધવા મહેનત કરી હતી. પણ કોઈ વાલીવારસ નહિ મળતા અંતે પોલીસે અજાણ્યા યાચકની લાશ અંતિમવિધિ માટે શહેરના જાણીતા સેવાભાવી મંડળ એકતા યુવા સોશિયલ ગ્રુપના આગેવાનોને જાણ કરતા હારુન રફાઈ, મુકેશ સાંતલપરા, જગદીશ ગેરિયા, વિગેરે સેવાભાવીઓએ હોસ્પીટલે દોડી જઈ, લાશનો કબજો મેળવી, આજે હિંદુ શાસ્ત્રોક વિધિથી અજાણ્યા ભિક્ષુકની અંતિમયાત્રા કાઢી, અંત્યેષ્ટિ હાથ ધરી અવ્વલ મંજિલે પહોચાડતા આ વાતના જાણકારોમાં ઉપરોક્ત સેવા મંડળની સરાહના થઇ રહી છે.




જેતપુર નવાગઢ નગર પાલિકામાં મળેલી સામાન્ય 
સભામાં અનેક વિકાસના કામોને અપાયેલી બહાલી
જેતપુર તા.11
ગઈકાલે જેતપુર  જેતપુર નવાગઢ નગરપાલીકાની મળેલી સામાન્ય સભાની બેઠક દરમિયાન અનેક વિકાસના કામોને બહાલી અપાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર નગર પાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય બેઠક દરમિયાન ગઈ મીટીંગની મીનીટસનું વાંચન તેમજ પાલિકાની જુદી જુદી કમિટીઓના ઠરાવો વંચાણે લઇ, બહાલી અપાઈ હતી.
જેમાં હેડ ક્લાર્કના તા.15.10.14 ના રીપોર્ટ અન્વયે પાલિકા દ્વારા પેનલ વકીલ રોકવા, પવડીના રીપોર્ટ અન્વયે પાલિકાના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે જીમ, ઇનડોર ગેમ, રીડીંગ રૂમ, લોકર રૂમ બનાવવાના રૂ.5 લાખનો ખર્ચ મંજુર કરવા, સેનિટેશનના રીપોર્ટ અન્વયે સંજય શામજી વાઘેલાને બ્લેક લીસ્ટમાં મુકવા, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે ઝોન વાઈજ પાણી વિતરણ માટે વાલ્વમેન રાખવા, પવડીના રીપોર્ટ અન્વયે નાગરિક બેંક સામેના બગીચામાં રૂ.7.61.198/- ના ખર્ચી પાથવે બનાવવા અંગે, વાહન શાખાના રીપોર્ટ અન્વયે ટ્રેક્ટરની ખરાબ થયેલી 2 બેટરીના ખર્ચ અંગે, વોટરવર્કસ શાખાના રીપોર્ટ અન્વયે લોકફાળાથી બનાવાયેલ બોર ઉપર 2 હેન્ડ પંપ મુકવાના ખર્ચ મંજુર કરવા, હેડ ક્લાર્કના રીપોર્ટ અન્વયે પાલિકાના નિવૃત કર્મચારીઓ એમ.ડી.મહેતા, યુ.જી.મકવાણા અને બી.એન.ઉસદડીયા દ્વારા પગાર ગ્રેડ સુધારવા બાબતે બનેલ કોર્ટ મેટરને સુલટાવી, કોર્ટના ચુકાદાને ફાઈનલ ગણી તાત્કાલિક નિવેડો લાવવા, તેમજ ઇલેક્ટ્રિક શાખાના રીપોર્ટ અન્વયે શહેરમાં એલઈડી લાઈટ ફીટીંગ માટે સરકારની બચત ગ્રાન્ટ અથવા સ્વભંડોળમાંથી રૂ.10 લાખનું ખર્ચ મંજુર કરવા વી. બાબતો બહાલી અર્થે રજુ થતા તમામ બાબતોને બહાલી આપવાની કાયદેસરની વિધિ હાથ ધરાઈ હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.

તમામ તસ્વીરો અને સમાચારો : કશ્યપ જે.જોશી જેતપુર 9974262812