જૂનાગઢ:
વંથલીના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ધર્મજોગી સ્વામીના દિક્ષા શતાબ્દિ મહોત્સવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના આશિર્વાદ મેળવી જિલ્લા પ્રભારી અને કૃષિ તથા પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું હતું કે, વિદેશની ઘણી સંસ્કૃતિઓ બચી નથી જ્યારે ભારતની મહાન સંસ્કૃતિ બચી છે તેનુ કારણ આપણા સાધુ સંતો છે.
આપણા સાધુ સંતોએ નવી પેઢીમાં સંસ્કાર, શિક્ષણ અને સદગુણો કેળવાય તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળક જન્મે ત્યારે ઇશ્વર સ્વરૂપ હોય છે અને મોટું થાય ત્યારે સારો કે નઠારો માણસ કહેવાય. તેનું કારણ તેની આસપાસનું વાતાવરણ છે. આ વાતાવરણ પવિત્ર હોય તો તે માણસ ગુણવાન થાય છે અને માણસને ગુણવાન બનાવવામાં માતાપિતા ઉપરાંત સાધુ સંતોના આશિર્વાદ પણ મહત્વના છે. કોઇના પ્રત્યે ઇર્ષા ભાવ કે નકારાત્મકતા નહીં રાખતા કોઇ તમારૂ ખરાબ કરે તો પણ જતુ કરવાની ભાવના રાખવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દિક્ષા મહોત્સવના અધ્યક્ષ વંથલીના સ્વામી સાધુ શ્રી દેવપ્રસાદ સ્વામીએ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાનું વિશેષ સન્માન કર્યુ હતું. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી, સ્વામી બાલક્રિષ્ના સ્વામી ઉપરાંત અગ્રણીઓમાં માજી કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ડો. ડી. પી. ચીખલીયા, રાજય મહિલા સુરક્ષા સમિતીના ઉપાધ્યક્ષ શ્રીમતી જયોતીબેન વાછાણી, રામશીભાઇ ભેટારીયા વિગેરે ઉપસ્થીત રહયા હતા.

