અનુયાયીઓ

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી 
પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ 
જેતપુર તાલુકા પંચાયતમાં અને જીલ્લા પંચાયતમાં લેઉવા પટેલ ઉમેદવારોને પ્રમુખ સ્થાને બેસાડો 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ અને રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો પર કબજો જમાવનાર કોંગ્રેસની સફળતા પાછળ પાટીદારોનો સિંહફાળો હોવાની વાત દોહરાવી અહીના દિગ્ગજ કોંગી આગેવાન જગદીશભાઈ પાંભરે જણાવ્‍યુ હતું.

તેમણે  એવું પણ જણાવેલ કે આ વિજય પટેલ સમાજનો છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પડે કોણ બેસી શકે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં આ આગેવાને જણાવેલ કે, જીલ્લા પંચાયતના પ્રમુખ પદે અને જેતપુર તાલુકા પંચાયત પડે લેઉવા પટેલ સમાજને જ સ્‍થાન આપવું જોઇએ. બાકી પાર્ટીનો નિર્ણય અંતિમ હોય છે ને પાર્ટી જે કોઇ ઉમેદવારને પ્રમુખ પદનું સુકાન સોંપે તે સર્વમાન્ય જ ગણવું પડે !
     અત્રે નોંધનીય છે કે જેતપુર પંથકમાં દોઢ દાયકા બાદ કોંગ્રેસને જીલ્લા પંચાયતને  ચારે-ચાર બેઠકો ઉપર  વિજય મેળવ્‍યો છે. આ પહેલા વિઠ્ઠલભાઇ રાદડીયા કોંગ્રેસમાં હતા ત્‍યારે કોંગ્રેસને ત્રણ બેઠકો (ત્‍યારે ત્રણ જ હતી) ઉપર વિજય મળ્‍યો હતો. ને આ વખતે ભાજપના રાજ્યમંત્રી, ધારાસભ્ય અને પોરબંદરના સાંસદ પણ ભાજપના જ હોવા છતાં ભાજપના ગઢમાં ગાબડા પાડી કોંગી આગેવાન જગદીશ પાંભરે હવે ઉચ્ચસ્તરીય રાજકીય મોવડી મંડળોમાં ઘેરા પડઘા પાડ્યા હોય, બીજી વખત ધારાસભામાં પુનઃ તાકાત કામે લગાડશે તે નક્કી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે

ઉદ્યોગપતિ પરના હુમલાના વિરોધમાં કરશે મૌન વિરોધ 
જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ 
વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે 
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુરના ઉદ્યોગપતિ ગુણવંતભાઈ આશરા પર એક મહિલા સહિતના શખ્શો દ્વારા કરાયેલ હિચકારા હુમલાના શાંત વિરોધ કરવા આજે તા.૧૦ નારોજ ડાઈંગ એશોશીયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલ શહેર બંધના એલાનને સંપૂર્ણ સફળ બનાવવા અનુરોધ કરાયો છે. 
મળતી વિગતો મુજબ અહીના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ અમુક સાડી કારખાનાની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા બંધ કરવા માજી સુધરી સભ્ય સાંજ્વાના પત્ની અને પુત્રએ બધા કારખાનેદારોને તાકીદ કરી હતી. અને આ સંદર્ભે  માજી સુધરાઈ સભ્ય સાંજ્વાએ મામલતદાર કચેરી સામે આંદોલન ચલાવેલ પણ આ પ્રશ્ને યોગ્ય કરાવવાની નાયબ મામલતદાર નીખીલ મહેતાની  ખાતરી બાદ ઉપવાસીએ આંદોલન સંકેલી લીધું હતું.

પણ ઉપવાસ અંદોલન સમેટી લીધાના ત્રીજા દિવસેજ ઉપવાસીના પત્ની-પુત્રે  ન્યુ ખટાઉ ટેક્સટાઈલ નામના સાડી એકમના માલિક ગુણવંતભાઈ લીલાધરભાઇ આશરા ઉપર ગઈ કાલે હિચકારો હુમલો કરતા આ ઉદ્યોગપતિને લોહીલુહાણ હાલતમાં પ્રથમ અહીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા. પોલીસે માજી સુધરાઈ સભ્યના પત્ની અને પુત્ર સામે જરુરી ગુનો નોંધ્યો હતો.

જયારે સામા પક્ષે માજી સુધરાઈ સભ્યના પત્નીની ફરિયાદ પરથી પોલીસે ગાળો આપી ખરાબ વર્તન કરવા બદલ ઈજાગ્રસ્ત ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધ્યો છે. જેતપુર ડાઈંગ એશોશીયેશનના રાજુભાઈ પટેલ અને ચેમ્બરસુત્રોએ ગઈકાલેજ હોસ્પિટલ ખાતે પત્રકારોને નિવેદનો આપતા જણાવેલ કે અમો ઉદ્યોગપતિઓ છીએ. જેતપુરનું ભલું કરવા માંગીએ છીએ. અમારે કોઈની સાથે બાધવું બોલવું નથી પણ જયારે એક ઉદ્યોગપતિ પર હુમલો થયો છે તેનો શાંતિપૂર્ણ વિરોધ કરવા જેતપુર બંધનું એલાન આપવામાં આવે છે. જેમાં શહેરની તમામ નામી અનામી સંસ્થાઓ, વ્યાપારી મંડળો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ

સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં

પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

મંત્રોચ્ચાર વચ્ચે ૪ બટુકોએ પણ ધારણ કરી નવી યજ્ઞોપવીત 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના પ્રખ્યાત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન થયું હતું. મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુના વરદ હસ્તે સુભારંભ પામેલ તેમજ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, શ્યામલભાઈ મેહતા(અમરેલી), જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ કાળુભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ, મોભી વી.આઈ.પંડ્યા, માજી પ્રમુખો  કમલેશભાઈ પંડયા અને હરેશભાઈ પંડયા, વાડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જેતપુર માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત જુનાગઢ, જેતપુર, ઉપલેટા, અમરેલી, રાજકોટ, ધોરાજી, પોરબંદર વિગેરે શહેરોન બ્રહ્મ અગ્રણીઓ, દાતાઓની હાજરીમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પોત પોતાના જીવનની બીજી ઇનિગ્સ ચાલુ કરી હતી તો ૪ બટુકોએ યજ્ઞોપવીત(જનોઈ) ધારણ કરી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી હિતેશ રાવલ, આશિષ પંડ્યા, સહાયકો ઉપેન્દ્રભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, ગીરીશભાઈ ઠાકર, સમાજના મહિલા મંડળના નીતાબેન મહેતા સહિતના મહિલા કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગોચિત બોલતા વિઠ્ઠલભાઈ રાદડિયા, જસુબેન કોરાટ અને દિનેશ ભુવાએ જણાવેલ કે, આ લગ્નોત્સવ ભુદેવોનો છે. જેમાં જોડાયેલા નવદંપતીઓને અમો આશીર્વાદ ના આપી શકીએ, અમારે ભુદેવોના આશીર્વાદની જરૂર છે કે જેથી અમો સફળ થઇ શકીએ. મંદિરના મહંત કમલનાથજીબાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમૂહલગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને અગ્રણીઓ ઉપરાંત કારોબારી સદસ્યોના સત્કાર અને પ્રવચનનો દોરી સંચાર ધારાશાસ્ત્રી દીપકભાઈ વ્યાસ, હિતેશ રાવલે સંભાળ્યો હતો.

(ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )


KASHYAP JOSHI JETALSAR કરામત આંગળાની !

કરામત આંગળાની !

બાપ, એક આસન એનું (હનુમાનજીનું) રાખો, રામ કથા ઔર જામશે ! બસ આવાજ રામરસને સમસ્ત પામર માનવીની દુનિયાને પીરસનાર પૂજ્ય મોરારીબાપુ આજે જગ વિખ્યાત છે. આ રાષ્ટ્રીય સંતે આદીકાળની રામાયણ અને તેના પાત્રો શ્રી રામચંદ્રજી ભગવાન, વિગેરે ચરિત્રોની જે સમજ આપી ધર્મ અને કર્મની દિશા બતાવી તે ખરેખર મહાન હોવાનું સૌએ સ્વીકારવું પડે ! પણ આવા રાષ્ટ્રીય સંતને પોતાના આંગળાની કરામતથી રેતી દ્વારા ધરતી પર રંગોળી ઉપસાવનાર જેતપુરના રહીશ અને ફાઈન આર્ટનો અભ્યાસ કરતો હાર્દિક ચાવડાએ  શહેરીજનોમાં સરાહના પાત્ર બન્યો છે. હાર્દિકે જણાવેલ કે, કલાકાર જેમ પોતાની કલાને પીરસી અન્યોને કોઈ પણ વિષયની શીખ આપે છે તેમ પોતે પણ સત્ય, પ્રેમ અને કરુણાને વાસ્ત્વીકતમાં ફેરવી દેનાર રાષ્ટ્રીય સંતને રેતીની રંગોળી દ્વારા રજુ કર્યા છે. જે તસ્વીરમાં દેખાય છે.

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર )