અનુયાયીઓ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

જેતલસરના ગાયત્રીનગરમાં 
ગણેસોત્સ્વનું આયોજન 
જેતલસર તા.17
જેતલસરના ગાયત્રીનગરમાં ગાયત્રીનગર યુવામંડળ દ્વારા તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાનની બાજુમાં છેલ્લા 6 વર્ષ થયા ઉજવાતા ગણેસોત્સવનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. ગજનની ભવ્ય પ્રતિમાને જેતપુર થી જેતલસર લવાઈ ત્યારે બસ સ્ટેન્ડથી ગાયત્રીનગર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કઢાઈ હતી. ગણપતિની પંડાલમાં સ્થાપના બાદ ગ્રુપના સર્વે મિત્રો દ્વારા ગણેસોતસ્વના પ્રથમ દિવસે જ બટુક ભોજનનું પણ આયોજન કર્યું હતું જે પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.
આ સિવાય જેતલસરના રામજી મંદિર ચોક ખાતે પણ જય અંબે ગરબી મંડળ ચોકમાં પણ સમસ્ત ગામ લોકોના સહયોગ વચ્ચે ગણપતિજીની સ્થાપના કરી 10 દિવસ ગણેસોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.                                   ફોટો કશ્યપ જ.જોશી જેતલસર જેતપુર
 

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં બિરાજેલા ગણનાયક ગજાનન

જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પંડાલોમાં 
બિરાજેલા ગણનાયક ગજાનન 
જેતપુર તા.17
'' મૈને આપ કે સાથ એક દો દિન નહિ પુરા મહિના (સાવન) બિતાયા, અબ મેં  જા રહા હું, મેરે બચ્ચે કા ખયાલ રખના, દેવો કા દેવ-મહાદેવ'' સોશિયલ સાઈટમાં ફરતી આવી પોસ્ટની પૂર્ણતયા ઉજવણી અને સફળ ગણેસોત્સવ માટે આજે જેતપુરમાં સ્થપાયેલા અનેક પંડાલોમાં આજે વાજતે ગાજતે શિવ પુત્ર ગજાનનની અનેકવિધ પ્રતિમાઓના ધામધૂમથી સ્થાપનો થયા હતા.
જાણકારોના માટે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષ મુખ્ય મોટા વિસ્તારો અને ચોક જેવી જગ્યાઓ અને રહેણાંક મકાનો સહીત 300 થી 400 જગ્યાએ ગણેશોત્સવ ઉજવાય છે.
ખાસ કરીને શહેરના દેસાઈવાડી વિસ્તારમાં વોંકળીના પુલ ઉપર સંકલ્પ ગ્રુપ દ્વારા, તે જ વિસ્તાર શાક માર્કેટ રોડ  પર યમુના ગ્રુપ, શાંતિનગર શેરી નંબર - 1, કણકિયા પ્લોટમાં બગીચામાં, પંચશીલ સોસાઈટી, ધોરાજી રોડ, શુભાષ ચોક, જૂની પોલીસ લાઇન, ફૂલવાડી રામજી મંદિર રોડ, મોટા રાજ મહેલમાં, નવાગઢ, જનતા નગર, તાકુડીપરા, બાવાવાળાપરા, કોટડીયાવાડી, ચાંદની ચોક વિગેરે જગ્યાએ હજારો ભાવિકો દ્વારા ગણપતિની મોટી મોટી પ્રતિમાના સ્થાપનો કરી 10 દિવસ સુધી ગણેસોત્સવ ભાવપૂર્વક ઉજવાશે. દેસાઈવાડી વોંકળી પુલ ઉપર સ્થપાયેલ ગણપતિ વંદનાના આયોજક એવા સંકલ્પ ગ્રુપના કાર્યકરો શૈલેશ વઘાસીયા, કલ્પેશ જોશી, ચિરાગ ડોબરિયા, ભાવેશ માથુકીયા, હિતેશ સાવલિયા, રવિ વઘાસીયા, અંકિત અજુડિયા, પંકજ શેખડા, અંકિત ધાનાણી, ગૌત્તમ ગીણોયા, રાજુભાઈ કલાલ, અમિત વઘાસીયા, અતુલ મિસ્ત્રી, પરેશ રાવરાણી, વિપુલ પટેલ, હરેશ સખીયા, દીપક નારિયા, કપિલ વડાલીયા વિગેરે ગણેસોતસવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી

અનામત મુદ્દે જેતલસરમાં મહિલા સહીત 500 ગ્રામજનોએ થાળીઓ વગાડી, રેલી યોજી 
રાજકીય આગેવાનોને પ્રવેશવા પ્રતિબંધ 
ફરમાવતા બેનર્સ લગાવ્યા !!
જેતલસર તા.17
ગઈકાલે રાત્રીના જેતલસર ગામમાં પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડી, આખા ગામમાં રેલી યોજી કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપવા ગામમાં કોઈ રાજકીય આગેવાનોએ પ્રવેશવું નહિ તેવી ચેતવણી દર્શાવતા બેનર્સ લગાડવાનો કાર્યક્રમ રજુ કરતા અજાણ્યા ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું.
મળતી વિગતો મુજબ બુધવારની રાત્રીએ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તુષાર ખાચરીયા સહિતના જેતપુરના આગેવાનોએ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ગામની મોટાભાગની પાટીદાર મહિલાઓસું પ્રથમ અહીના પાદર ખાતે આવેલ ગૌશાળાની જગ્યા પાસે ભેગી થઈને ગજબની થાળીઓ વગાડી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે આ પહેલા ગામના 25-30 ટાબરીયાઓએ થાળીઓ લઈને વગાડતા વગાડતા દોડા દોડી કરી આખા ગામને ભેગા કરવાનો નવતર પ્રયોગ કરતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થઇ ગયા હતા.
ગૌશાળાએથી છેક બસસ્ટેન્ડ સુધી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતી મહિલાઓ થાળી વગાડતા વગાડતા એવી ચીમકીઓ દોહરાવી હતી કે ભાજપ કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ મત માંગવા કે અન્ય કોઈ અપીલ માટે ગામમાં પ્રવેશવું નહિ, અને કોઈ આવશે તો પછી ગામની કોઈ જવાબદારી રહેશે નહિ...એટલુજ નહિ આવી ચીમકી દોહરાવતા બેનર્સ ઠેર ઠેર લગાડી આક્રમક મુડના દર્શન કરાવ્યા હતા. પ્રસ્તુત તસવીરોમાં રાજકીય આગેવાનોને ગામમા પ્રવેશવું નહિ તેવી ચેતવણી ધર્શાવતા બેનાર્ષ સાથે ગામની મહિલાઓ અને પુરુષો દેખાય છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 



ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન

તા.24-9 થી 28-9 દરમિયાન જેતપુરના કોટડીયા વાડીમાં આવેલા
ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા-વિરાટ પુસ્તક મેળાનું આયોજન 
કથા સ્થળે રોજ સવારના 9 થી સાંજના 8-30 સુધી ચિકિત્સા કેમ્પ પણ યોજાશે    
જેતપુર તા.17
જેતપુર શહેરના કોટડીયાવાડીમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિ પીઠ-ગાયત્રી મંદિર ખાતે આગામી તા.24 થી 28-9 એમ પાંચ દિવસ સુધી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા અને વિરાટ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતા ગાયત્રી શક્તિ પીઠના અનન્ય પરિજન કાન્તીભાઈ કરસાળાએ જણાવેલ કે યુગ ઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યજીના મતાનુસાર આજની સમસ્ત સમસ્યાઓનું એકમાત્ર કારણ મનુષ્યના વિચાર-ચિંતનનું દૂષિત  થઈ જવું છે. દરેક સમસ્યાની જડ દુર્બુદ્ધિ જ છે. જો મૂળ કારણને સુધારવામાં ન આવે તો સુધારના બધા જ પ્રયત્નો જડ સુકાતા વૃક્ષના પાનને પાણી પાવા જેવી મૂર્ખામી સિદ્ધ થશે. આ પ્રવર્તમાન ૫રિસ્થિતિને સતયુગ જેવા વાતાવરણમાં બદલવા માટે એક માત્ર ઉપાય આજ છે કે ખરાબ વિચાર (દુર્બુદ્ધિ) ના સ્થાને શ્રેષ્ઠ વિચાર (સદ બુદ્ધિ) ની સ્થા૫ના કરવામાં આવે. આજે આ જ્ઞાન ગંગાના અવતરણ માટે ભાગીરથી પ્રયત્નો કરવાના હેતુથી અવતારી સત્તાએ જનમાનસમાં ગ્રસિત આસુરી વિચારોનો નાશ કરી શ્રેષ્ઠ વિચારોની સ્થા૫ના કરવા માટે પ્રવર્તમાન વિકટ સમસ્યાઓના સમાધાન હેતુની એક આગવી વિચારધારા રૂપે સચોટ માર્ગદર્શન કરતા ૧૯ માં પુરાણની એવી શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથાનું જેતપુરના ગાયત્રી મંદિર ખાતે આયોજન થયું છે. 
કથાના વક્તા તરીકે પ્રજ્ઞા પુત્રી પાયલબેન ૫ટેલ (ભાયલીવાળા-વડોદરા) બિરાજી પાંચ દિવસ સુધી બપોરે 2-30 થી 6-30 સુધી પોતાની આગવી શૈલીથી કથાનું રસપાન કરાવશે. જયારે તમામ પ્રકારના જુના હઠીલા રાગોની સારવાર કરાવવા નિઃશુલ્ક એકયુપ્રેસર ચિકિત્સા કૅમ્પના  આયોજનમાં  એકયુપ્રેસર  શ્રી રમેશભાઈ ત્રિવેદી (જામનગરવાળા) પોતાની સેવા આપશે. આ સિવાય અને યુગ પુરુષના સાહિત્ય સર્જનના મહાસાગરમાં મનુષ્ય જીવનની સઘળી સમસ્યાઓના સમાધાન માટે વિપુલ સદ સાહિત્ય જેવું કે મનુષ્ય જીવનને દેવતા, ઘર ૫રિવારને સ્વર્ગ, સમાજને સભ્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવી શકે એવા ૩૦૦૦ થી ૫ણ વધારે પુસ્તકો લખનાર પં. શ્રી રામ શર્મા આચાર્યજી રચિત વિરાટ સાહિત્યના દર્શન કરાવતો વિરાટ પુસ્તક મેળો જેમાં, પુસ્તક પ્રેમીઓ  ઇચ્છિત સાહિત્યના પુસ્તકો (બ્રહ્મભોજ યોજના અંતર્ગત) પુસ્તકની છાપેલી કિંમતથી ૫૦ ટકાના ભાવથી ખરીદી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ ગુરુસત્તાના સ્વયં હસ્તાક્ષર ધરાવતી આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ કથાના સંગીતમય રસપાન સહિતના  ત્રિવિધ કાર્યક્રમનો લાભ લેવા માટે ગાયત્રી પરિવારના ગાંડુભાઈ સાવલિયા, બી.બી.ભીમજીયાણી , પ્રવીણભાઈ રાવરાણી વિગેરે એ ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા

જેતપુર પાલિકા તંત્ર  જયારે કિન્નાખોરીની હદ વટાવે છે !??
ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની 
રોશની 7 દિવસ થયા ગાયબ ! દલિતો ખફા
અગાઉના પાલિકા પ્રમુખ દલિત હતા, હવે તેઓ નથી એટલે વર્તમાન પ્રમુખે આવું કર્યું, બોલો લ્યો !?!? 
જેતપુર તા. 17
'' હું દલિત સમાજની દીકરી છું, હું પહેલા જેતપુર નગર પાલિકાની પ્રમુખ હતી, હવે સદસ્યા છું, વર્તમાન પાલિકા પ્રમુખ મારી સામે રાજકીય દાવપેચ રમે ઈ સમજ્યા, પણ કિન્નાખોરીની પણ હદ હોવી જોઈએ ને ભાઈ !!'' આ શબ્દો જેતપુર નવાગઢ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ એટલા માટે ઉચ્ચાર્યા કે જેતપુર પાલિકા તંત્રે દલિતોના મસીહા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પરની ઝગમગતી રોશની છેલ્લા 7 દિવસ થયા બંધ કરી દીધી છે !
આ અંગે વિગતો આપતા રમાબેને જણાવેલ કે શહેરના મહાત્મા ગાંધી રોડ પરના બગીચાના ખૂણે ઉભા કરાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ઉપર તેઓ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે સુંદર રોશની(લાઈટો) ગોઠવી આ મહાન આત્માને સન્માન આપ્યું હતું. પણ તેઓનો સત્તાકાળ પૂરો થતા હવે પાલિકા પ્રમુખનું સુકાન અન્ય અનામત મહિલા સદસ્યાએ સંભાળ્યું છે.
જેતપુર પાલિકાના આ નવા પ્રમુખ તેઓના વિસ્તારના વિકાસના કામો બાબતે તો રાગદ્વેષ રાખી રહ્યા છે, કીન્ન્ખોરી બતાવી રહ્યા છે પણ એક દલિત હોવાના નાતે એક રાષ્ટ્રીય નેતા ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પરની અને આજુબાજુની રોશની છેલ્લાં 7 દિવસ થયા બંધ કરી દઈને જે કિન્નાખોરીની હદ વટાવી એ દલિત સમાજ સહન કરી  શકે તેમ નથી..આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટતું કરાવી રાત્રીના અંધકારમાં ગરક થઇ જતી ડૉ. આંબેડકરની પ્રતિમા/સ્ટેચ્યુ પરની રોશની પુનઃ ઝળહળતી કરે તેવી રમાબેન મકવાણાએ માંગ કરી છે. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન

જેતપુરના ગોંદરા વિસ્તારમાં પાલિકા સંચાલિત શાળા નં.3 દરવાજા પાસે જ 
ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ 
થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન
વાલીઓ કહે છે ગટરકામ જલ્દી પતાવો અન્યથા માખીથી મોટા મચ્છરો ફોલી ખાશે ! ને બાળકો રોગનો ભોગ બનશે એ લટકાનું !!

જેતપુર તા. 17
જેતપુર નગર પાલિકા તંત્રએ શહેરના ગોંદરા વિસ્તારમાં એક શાળાની સામે શરુ કરેલ ગટરકામ અધૂરું છોડીને મુક્યા પછી પંદર પંદર દિવસ થયા પણ આ કામગીરી આગળ ધપી  ના હોય, શાળામાં ભણતા બાળકોના વાલીઓ અને આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
આ બાબતે લોકોને સાથે રાખી ફરિયાદ કરતા પાલિકા સદસ્ય રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવેલ કે શહેરના ગોંદરા વિસ્તારમાં નગર પાલિકા સંચાલિત શાળા નંબર 3 સામેજ ગટરકામ શરુ કરનાર સંબંધિતો આ કામ અધૂરું છોડીને ચાલ્યા  વાતને 15 દિવસના વહાણા વીતી ગયા પછી પણ પાછા ફરક્યા નાં હોય, શાળાએ જવા આવવામાં નાના ભૂલકાઓ ભયાવહ સ્થિતિમાં ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.
સૌથી વધુ દુઃખની અને જોખમની એ વાત જોવા મળી કે આ પહોળી ગટર ટપીને આવવું જવું ભૂલકાઓ માટે ભારે મુશ્કેલ થઇ રહ્યું છે. ગટરનું કામ જે વિસ્તારમાં ચાલી રહ્યું છે તે ગોંદરા વિસ્તારના અનેક લોકોએ જણાવેલ કે આ કામ પૂરું કરવા પાલિકા કચેરીને અનેક વખત ટેલીફોનીક અને રૂબરૂ જઈને કહેવાયું હોવા છતાં સંબંધિતો અગાઉના પાલિકા પ્રમુખ સામે જાણે વેરની વસુલાત જેવું વર્તન દાખવી રહ્યા હોવાના પ્રજામાં આક્ષેપો થતા સાંભળવા મળ્યા હતા. ત્યારે ઉપરોક વિસ્તારમાં ગંધાતા પાણી સાથે વહેતી અને અધૂરું કામ છોડી દેવાયેલ ગટરનું કામ તાકીદે પૂરું કરાવી પાલિકા તંત્ર લત્તાવાસીઓ ઉપરાંત શાળાના બાળકોના આરોગ્ય પર જોખમાતા રોગચાળાના ભયને દુર કરે તે જરૂરી છે.

બોક્સ: અમારા બાળકોને મચ્છરો ફોલી ખાય છે, બાપ !!
જેતપુર : ગોંદરા વિસ્તારની શાળા નંબર 3 માં ભણતા પોતાના કુમળી વયના બાળકો બાબતે ઘેરી ચિતા વ્યક્ત કરતા વાલીઓ મકવાણાભાઈ અને શાંતાબેન બગડાએ ઉગ્ર રોષભેર જણાવેલ કે 15-20 દિવસ થયા અધૂરા ગટરકામથી તેઓ તો કંટાળ્યા છે પણ તેઓના કુમળી વયના ફૂલ સમાન બાન બાળકોને શાળામાં માખી માખી જેવડા મચ્છરો ફોલી ખાતા હોય બાળકોના હાથે, પગે ઢીમચાં થઇ ગયા છે..એટલુજ નહિ જો આ ગટર કામ તાત્કાલિક નહિ આટોપાય તો ભયંકર મચ્છરો ડેન્ગ્યું જેવા રોગચાળાને જન્મ આપી બાળકોને અજગર ભરડો લઇ લેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

ફોટો અને સમાચાર :કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

જેતપુરમાં લોહાણા સમાજના પરિચય સમારોહનું આયોજન


જેતપુરમાં લોહાણા સમાજના 
પરિચય સમારોહનું આયોજન
જેતપુર તા.17
આગામી 25 મી ઓક્ટોબરના રોજ જેતપુર ખાતે લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવક-યુવતીના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોડવા ઈચ્છતા યુવક-યુવતીઓના વાલીઓએ 5 મી ઓક્ટોબર સુધીમાં પોત પોતાના ફોટા સાથે બાયોડેટા રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરીને લોહાણા સમાજની વાડી, નવાગઢ રોડ ખાતે મોક્લી દેવાના રહેશે. વધુ માહિતી માટે લોહાણા સમાજ જેતપુરના આગેવાનો મુકેશભાઈ ગણાત્રા(પ્રો.ચેરમેન-98258 52453), દીપકભાઈ ઉનડકટ(94291 56291), અનિલભાઈ કોટેચા, બી.બી.ભીમજીયાણી, જમનભાઈ પોપટ, નરેન્દ્રભાઈ તન્ના વિગેરેનો સંપર્ક કરવા શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ

જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડીની પાછળ
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત 
સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ 
જેતપુર તા.17    ( કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરના કોટડીયા વાડીમાં આવેલ ત્રિનેત્ર મહાદેવ મંદિર નજીકની એક વોંકળીમાં ખદબદતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લત્તાવાસીઓએ પાલિકા તંત્ર ગટર સાફ કરવા કે વોંકળી સાફ કરવા મહિનો સુધી ફરકતા ના હોવાના આક્ષેપો કર્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડી પાછળની વોંકળી સાફ કરવા પાલિકા તંત્રનો એકેય સફાઈ કામદાર ફરકતો ના હોય, અહી જમા થયેલી ગંદકીથી લત્તાવાસીઓમાં ભયંકર રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
આજે એક મુલાકાત દરમિયાન અનિલભાઈ પંડયા, અશોકસિંહ વાળા, ચીનાભાઈ, લાલભાઈ ચૌધરી, હર્ષદભાઈ વિગેરે રહેણાંક મકાનોના આસામીઓએ દોડી આવી ઉગ્રવેશે જણાવ્યું હતું કે તેઓના વિસ્તારની આ વોંકળીની સમસ્યા દુર કરવા પાલિકાને અનેક વખત લેખિતમાં રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું ના હોય અહી ગંદકીના સામ્રાજયથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. લત્તાવાસીઓએ પોતાની પારાવાર હાલાકી અને મુશ્કેલી બતાવતા એમ પણ જણાવેલ કે ચોમાસાના સારા વરસાદ સમયે આ ગંદકીવાળી વોંકળી છલકાઈને કોટડીયા વાડી વિસ્તાર, આગળ આવતી આસોપાલવ સોસાઈટી, લક્ષ્મીનગર સોસાઈટી વી. ના રહેણાંક મકાનોમાં ગંધાતા પાણી ઘુસી જાય છે. આ બાબતે તાત્કાલીલ સંબંધિત સત્તાધીશો ફરિયાદ વાળી જગ્યાએ પહોંચી જઇ, પ્રજાની ફરિયાદ હલ કરે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

બોક્સ: વોંકળી પર પુલ બનાવો 
જેતપુર : કોટડીયાવાડી, લક્ષ્મીનગરના લત્તાવાસીઓ અશોકસિંહ વાળા, અનિલભાઈ પંડયા વિગેરેએ જણાવેલ કે પ્રતિ ચોમાસા દરમિયાન આ વોંકળી આવી ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પેદા કરતી હોય તેઓએ અવારનવાર અહી પુલ બનાવવા માંગણી દોહરાવાઈ છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર