અનુયાયીઓ

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન




ખેડૂતોના અનેક અણઉકેલ પ્રશ્નો નિવારવાની માંગ સાથે 
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનું જેતપુરના મામલતદારને આવેદન 
જેતપુર તા.28
સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિના આગેવાનોએ આજે ખેડૂતોને સાથે રાખી, જેતપુર દોડી આવી વર્ષો થયા ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો તાકિદે નિવારવાની માંગ દોહરાવતું એક આવેદન મામલતદારને સુપરત કર્યું હતું..
    આવેદનમાં ખેડૂત લડત સમિતિના આગેવાનો શિવલાલ વેકરીયા, ચંદુભાઈ શિંગાળા, વજુભાઈ કોઠારી વિગેરેએ જેતપુર શહેર તાલુકાના ખેડૂત આગેવાનો વિપુલ વૈષ્ણવ, પી.એલ.વસોયા, અરવિંદ રૂપાપરા, જગદીશ પાંભર, કૈલાશ નંદાણીયા, દીપક પીપળીયા, ધીરુ ભંડેરી, કુમન ઠુંમર, વી.એ સાથે રાખી જેતપુર મામલતદાર કચેરી પર દોડી આવ્યા હતા અને ખેડૂતો સાથે કાયમી થઇ રહેલા અન્યાયને તાત્કાલિક હલ કરવાના સુત્રોચ્ચાર કર્યા હતા.
આવેદનમાં ખેડૂતોએ જણાવેલ છે કે માર્કેટ યાર્ડ ઉપરાંત દર વિશ કિમીની ત્રિજીયામાં સીસીઆઈ નું ખરીદ કેન્દ્ર ખોલી ખેડૂતોને મગફળીના 1000 રૂ. અને કપાસના રૂ.1200 મળે તેવા સરકારે પ્રયાસ કરવા જોઈએ..યાર્ડોમાં મૂલ્યાંકન સમિતિઓની રચના કરી ઉત્પાદિત જણસોના ભાવોમાં ખેડૂતોની મહેનતનું વળતર ઉમેરી પડતર કિંમત નક્કી કરવી જોઈએ.રાજકોટને નર્મદાનું પાણી મળતું હોવા છતાં ભાદર નું પાણી આપવાનો આગ્રહ કેમ ? ભાદર ડેમ સિંચાઈ યોજના ખેડૂતો માટે છે. છતાં ખેડૂતો પાસે પૈસા વસુલાઈ છે, અને રાજકોટ પાસેથી નહિ ! રાજકોટને અપાતા પાણીની પાઈપ લાઈન પર મીટર મુકવાની વાત ને લાંબા સમય થયા ફગાવાય છે. ભાદરનું પાણી ખેડૂતોને આપવામાં તંત્રને ક્યાં ગ્રહો નડે છે ? ભૂતકાળમાં 17 ફૂટ ડેમમાં પાણી હતું તોય ખેડૂતોને અપાતું અને આજે 24 ફૂટ પાણી છે છતાં કેમ ખેડૂતો સાથે ન્યાય કરાય છે ? ખેડૂતોને હેરાન કરતા તત્વો સામે કડક હાથે કામ લેવા પણ માંગ કરી છે. આમ અનેક અણઉકેલ પ્રશ્નો પરત્વે હેરાન થતા ખેડૂતોની 30 મી નવેમ્બર સુધીમાં મદદ નહિ કરાય તો સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ ખેડૂતોને સાથે રાખી દરેક તાલુકા મથકો પર આંદોલનો ચાલુ કરશે તેવી ચીમકી આવેદનમાં ઉચ્ચારી છે.

બોક્સ: વીજ તંત્ર આટલું ઘટતું કરાવે !
જેતપુર: ખેડૂતોએ આવેદનમાં વીજ તંત્રને સ્પર્શતી એક એવી પણ માંગ દોહરાવી છે કે રાજ્ય સરકારે 1992 ની પ્રતીક્ષા યાદી અનુસાર જાહેર કરેલ વાર્ષિક 50000 વીજ કનેકશનોને અગ્રતાનાધોરણે ફાળવવા અને તત્કાલ કનેકશનની વ્યાખ્યામાં આવતા વીજ કનેકશનને તેનાથી અલગ યાદીમાં રાખી ફાળવવા જોઈએ.. આ સિવાય એકજ ખેતરમાં આવેલ અલગ અલગ પાણીના સ્ત્રોતમાં સબ મર્સીબલ પંપો મુકવા છૂટ આપવી જોઈએ..

ફોટો  અને અહેવાલ : કશ્યપ જોશી જેતપુર 

રાજકોટની ખાનગી બેન્કને 32 હજાર નો દંડ ફટકારતું તકરાર નિવારણ ફોરમ

લોન ભરપાઈ કરી દીધી છતાં ગ્રાહકને  દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી 
રાજકોટની  ખાનગી બેન્કને 32 હજાર નો દંડ 
       ફટકારતું  તકરાર નિવારણ ફોરમ 
(કશ્યપ જોશી ) જેતલસર તા.28
      ગયા બુધવારે રાજકોટમાં જીલ્લા તકરાર નિવારણ ફોરમે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં ગ્રાહકને મૂળ દસ્તાવેજો પરત કરવામાં અખાડા કરતી ખાનગી બેન્કને રૂપિયા 32 હજારનો દંડ ફટકાર્યો હોવાનું કેશ લડનાર વકીલ દવેએ જણાવ્યું છે. 
     આ બાબતે  મુજબ રાજકોટના ગઢિયા વેલજીભાઈ બાવાભાઈ નામના ગ્રાહક-અરજદારે ખાનગી બેંકમાં, બેન્કના નિયમો અનુસાર જરૂરી મકાનના ટાઈટલ ડીડ સહિતના ડોકયુમેન્ટ્સ જમા કરાવી રૂપિયા 5 લાખની લોન સને 2003 ના વર્ષમાં લીધી હતી.
      દરમિયાન નિયત સમયમાં અરજદારે બેન્કને લોન ભરપાઈ કરી દઈને લોન વખતે આપેલા અસલ દસ્તાવેજો બેંક પાસે પરત માંગ્યા હતા. પણ આ ખાનગી બેન્કના લાગતા વળગતા સત્તાધીસોએ દસ્તાવેજો આપવામાં નવ નવ મહિના સુધી રીતસરની સંતાકૂકડી ચાલુ કરતા અરજદાર વેલજીભાઈ ગઢીયાએ  રાજકોટ જીલ્લા તકરાર નિવારણ ફોરમ માં 77/2014 નંબરથી ફરિયાદ દાખલ કરી હતી. 
    જે ફરિયાદનો કેશ ગઈ તા.26/11 ના રોજ તકરાર નિવારણ ફોરમમાં ચાલ્યો તે દરમિયાન ફરિયાદ પક્ષેના વકીલો દવે અને રાજપરા ની ધારદાર દલીલોને ધ્યાને લઈને ફોરમે ખાનગી બેન્કને ગ્રાહકને માનસિક રીતે હેરાન પરેશાન કરવા બદલ, તેમજ બેન્કની સેવાકીય ખામી સાબિત માની રૂપિયા 30000 નવ મહિનાના ચડત વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.2000 અને વહીવટી ખર્ચના રૂ.1000 એમ મળી કુલ 32000નો દંડ ફકારતા જાણકાર વર્તુળોમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે.

કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812

માત્ર કાર્યાલયની જાણ  માટે :  બેંક એચડીએફસી, રાજકોટ 
વિનંતી : એડવોકેટ દવેભાઇ અમારા સંબંધી હોય આજે મને આ મેટર મોબાઈલ ઉપર લખાવી હતી. જે યોગ્ય જણાય તો લેવા અથવા વધુ માહિતી માટે વકીલ દવેભાઇ નો  94282 59300 ઉપર સંપર્ક સાધવા વિનંતી છે. કશ્યપ 
 

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન 

ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !! 

બહેન નિમિષાના સહારે જીવન જીવતો રાજેશ ભાટિયા 

શિક્ષણનું બલિદાન આપનાર બહેનની સેવા છાપરે ચડીને પોકારે તેવી જોવા મળી !!

(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.28

     જેતપુરના મોટા ચોકમાં રહેતો અને અભ્યાસમાં તેજસ્વીતા ધરવતો યુવાન છેલ્લા સાત સાત વરસ થયા એક ભયંકર રોગમાં પીડાઈ રહ્યો હોય, કોઈ પાસે રોગની નક્કર સારવાર કે ઈલાજ હોય તો જણાવવા પીડિત યુવાનના પરિવારજનોએ ભીની  આંખે ભીની આંખે અપીલ કરી છે.

     જન્મના 15 વર્ષ પછી અચાનક ઉક્ત ભયંકર રોગમાં સપડાઈ ગયેલા જેતપુરના ભાટિયા રાજેશ સતીશભાઈ ગોકળ ગાંધી (..22) જીવનને ધૂંધળું બનાવી દેનાર હકીકતો જાણીએ તો રાજેશે ધો.1 થી 10 નો અભ્યાસ બિલકુલ સજા નરવા અને પરફેક્ટ ફિઝીકલી ફિટનેસ સાથે પૂર્ણ કર્યો..

આગળ વધુ ભણી કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતા રાજેશની જીંદગીમાં એકાએક પીડાદાયક ગંભીર વળાંક આવ્યો હોય તેમ તેમના શરીરમાં નબળાઈ, રહેવા, બેસવા, હરવા, ફરવા તેમજ ભોજન અને મોજ શોખમાં દિન પ્રતિદિન વધતી જતી 

     અરુચિ બાદ એકદમ શારીરિક શક્તિઓ ખતમ થતી જતી હોવાનો અહેસાસ થવા લાગતા પિતા સતીશભાઈ કરશનદાસ ભાટિયા, માતા ઇલાબેન, બે બહેનો ખુશ્બુબેન અને નીમીશાબેન સહિતના પરિવારજનો રાજેશની સારવાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાત ખુંદી વળ્યા હતા પણ કોઈ જગ્યાએ અસરકારક સારવાર મળતી નહોતી.

      બીજીબાજુ રાજેશને હલવા-ચાલવામાં, ઉઠવા બેસવામાં ટેકાની જરૂરીયાત ઉભી થવા લાગતા એક તબ્બક્કે શરીર સાથ છોડી રહ્યાનું તે દુખ અનુભવતો હતો. પછી  તો ચાલતા ચાલતા પણ ગબડી પડવાની ઉપાધિમાં સપડાઈ રહેલા યુવાનના પરિવારજનો રાજકોટ, અમદાવાદ, સુરતબરોડા અને મુંબઈ સુધી ધોળા કરી આશરે રૂપિયા 10 લાખનું રાજેશની સારવારમાં આંધણ કરી નાંખ્યું, પણ કોઈ સારવાર ફળી નહોતી

     દરમિયાન રાજકોટના એક નામાંકિત તબીબના નિદાનમાં એવું બહાર આવ્યું હતું કે મેજોરીટી પુરુષમાં અને 1 થી 15 વર્ષ દરમિયાન લાગુ પડી જતા ભયંકર  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં રાજેશ સપડાઈ ગયો છે. જરૂરી અને ઝડપી સારવાર મળે તોજ માણસ બચી શકે તેવા તબીબોના ત્રણ વચ્ચે યુવાનનો પરિવાર મુંબઈની સાયન હોસ્પિટલ ખાતેથી ડોક્ટર ખાંડેલકર અને હરિદ્વાર ખાતે યોગ ગુરુ બાબાના આશ્રમ ખાતેથી દવાઓ લઈને રાજેશની સારવાર કરતા  જતા હતા. જેમાં હરિદ્વારની દવાએ યુવાનના શરીરમાં ફેલાતા ઉપરોક્ત રોગના ફેલાવાને અટકાવવામાં મહદઅંશે ભાગ ભજવ્યો હોવાનું તેમના પરિવારજનોએ  જણાવ્યું હતું, જો કે હાલના દિવસોમાં રાજેશ પોતાની રીતે કઈ પણ કરવા અસમર્થ બની ગયો છે.

 

બોક્સ: બહેને આપ્યું અભ્યાસનું બલિદાન !!

જેતલસર : રાજેશથી મોટી બહેન નીમીષાએ લખનારને જણાવેલ કે, તેણીએ એસવાયબીકોમ સુધી અભ્યાસ કરી બાકીનો અભ્યાસ છોડી દીધો, એક એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી ભયલો રાજેશ પુનઃ ચાલવા ના લાગે, દોડવા નાં માંડે ત્યાં સુધી અભ્યાસ તો શું લગ્ન પણ નહિ કરે !  તો માતા ઇલાબહેને રડમસ અવાજે જણાવેલ કે તેઓની વયોવૃદ્ધ અવસ્થામાં મદદ માટે લાકડી સમાન દીકરો સાજો નરવો થઇ જાય તેનાથી વિશેષ એક માતાની શું અપેક્ષા  હોય ? જ્યારે નાનો અમથો ધંધો ધરાવતા રાજેશના પિતા સતીશભાઈએ જણાવેલ કે દવા અને દુઆઓ સાથે રાખી પુત્રની સારવાર માટે આમથી તેમ ભટકી રહ્યા છીએ. કોઈ આવા રોગમાંથી છુટકારો મેળવી ચુક્યું હોય તો બસ એકવાર આવા દર્દીઓએ મળવા અનુરોધ કર્યો છે.

 

બોક્સ:  રોગના ક્યાં ક્યાં લક્ષણો છે ?

જેતલસર :મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રો ગમાં સપડાયેલ દર્ધીની શારીરિક તાકાત દિન પ્રતિદિન ખતમ થતી જાય છે.  દર્દી પોતે સેલ્ફ કોઈ પણ કાર્ય, હલન ચલન માટે મજબુર થઇ જાય છે. રોગના રક્તકણો એટલી બધી માત્રામાં શરીરમાં ફેલાઈ જાય છે કે આપના મૂળભૂત રક્તકણોને વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તાવ-શરદીથી કાયમ દર્દી ઘેરાયેલો રહે છે. 5 થી 15 વર્ષના પુરુષ જાતિમાં રોગ વધારે વળગી જતો હોવાનું જાણકાર તબીબોનું કહેવું છે. અમુક તબીબોએ એવા પણ તારનો રજુ કર્યા કે તેઓની સમાજ અને જાણકારી મુજબ આજથી વર્ષો પહેલા રોગ 7500 વ્યક્તિઓમાં એક માં જોવા મળતો, આજે રોગનો ફેલાવો 3500 વ્યક્તિઓમાં એક માં જોવા મળે છે. સમયસરની સારવાર ના મળે તો દર્દીને જીવનથી હાથ ધોવા પડે એટલેકે દર્દી મોતને પણ ભેટે તેવી દહેશત તબીબી વર્તુળોએ વ્યક્ત કરી છે.

 

બોક્સ: કેટલા પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ??

જેતલસર: દર્દીને શારીરિક રીતે ભાંગી નાંખનાર અને બેદરકારી દાખવાય તો દર્દીને મોતના મુખમાં ધકેલી દેનાર આ રોગ દસ પ્રકારે થઇ છે તેમાં ડસેન, બેકર, માયોટોનીક, કોન્જેનાઈટલ માયોપેથી , મેટાબોલિક માયોપેથી, હાઈપેર કેલેમિક પીડીયોટ્રીક, પેરમાયોટોનીયા કોન્જેનાઇટા, અને એક્વાયર્ડ માયોપેથી વિગેરે 10 પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે.


બોક્સ: સ્ટેમસેલ થેરાપી અસરકારક ?!

જેતલસર: ઉપરોક્ત રોગનો ભોગ બનનાર રાજેશના પિતા તથા બહેન સહિતના પરીવારજનોએ જણાવેલ કે, આવા પ્રકારના રોગની સારવારમાં સ્ટેમસેલ થેરાપી અસરકારક હોવાનું સાંભળવા મળ્યું છે પણ  કોઈ આવા દર્દીનો ભેટો ના થયો હોય આવી ખર્ચાળ સારવારનો અમારે લાભ લેવો કે કેમ ? તેની ચિંતા કોઈ દુર કરી  શકે તેમ હોય તો 9998266937 ઉપર રાજેશ ભાટિયાનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.


ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર)

ફોટો લાઈન : ગંભીર માંદગીમાં પટકાયેલ રાજેશ માતા અને બહેન સાથે નજરે પડે છે.