અનુયાયીઓ

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2011

JETALSAR MA YOJAYEL RAKTDAN CAMPMA 191 LOKONU RAKTDAAN



સંસદમાં સૂચિત લોકપાલ કાયદાની સુસંગત રહીને ગુજરાત લોકાયુકત અધિનિયમમાં સુધારા કરવા માટે રાજ્ય સરકારે પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથ રચવાની પહેલ પણ કરી

હજુ તો રાજ્ય સરકારના સને ર૦૦ર-૦૩ના વર્ષ કેગના ઓડિટ રિપોર્ટની ચકાસણી થઇ રહી છે ત્યાં અનુમાનો આધારિત દ્વેષભાવ અને પૂર્વગ્રહ પ્રેરિત રાજકીય ઇરાદાવાળા અપપ્રચારથી જનતા ગેરમાર્ગે દોરાશે નહીં
ગુજરાતના અર્થતંત્રની ગતિશીલતા અને સાતત્યપૂર્ણ વિકાસના કેન્દ્રમાં રાજ્યની વર્તમાન સરકારનો પારદર્શી વહીવટ છે
કેગના ઓડિટ રિપોર્ટના કેટલાક મૂદાઓની તારવણી કરીને તેને રાજ્ય સરકારના કથિત ભ્રષ્ટાચાર તરીકે ચીતરવાના અપપ્રચારની આકરી આલોચના કરતા પ્રવકતા મંત્રીશ્રીઓ
કેગના ઓડિટ રિપોર્ટના તમામ મૂદાની તટસ્થ અને તલસ્પર્શી ચકાસણી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસોની સમિતિ દ્વારા થાય છે... જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષપદે તો વિપક્ષના ધારાસભ્યશ્રી જ હોય છે
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કેગના ડ્રાફટ ઓડિટ રિપોર્ટના કેટલાક ચોક્કસ મૂદાઓની તારવણી કરીને અખબારી અહેવાલ રૂપે તેને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર તરીકે રજૂ કરવાની પેરવીની આકરી આલોચના કરી છે અને જણાવ્યું છે કે આ સદંતર જૂઠાણા સાથેનો, સત્યથી સાવ વેગળા એવા ચોક્કસ દ્વેષભાવ પ્રેરિત રાજકીય ઇરાદા ધરાવતો નિંદનીય પ્રયાસ છે અને ગુજરાતની જનતા એનાથી ગેરમાર્ગે દોરાશે નહીં.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ) એ તો, ભારતના બંધારણ અન્વયે કેટલીક વિશિષ્ઠ સત્તાઅધિકારો ધરાવતી ઓડિટ અન્વેષણ સંવૈધાનિક એજન્સી છે અને સ્વતંત્ર રીતે રાજ્ય સરકારોના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબો તપાસે છે. આ ચકાસણી દરમિયાન જ્યાં તેઓને (કેગને) પ્રાથમિક દ્રષ્ટિએ વધુ વિગતો મેળવવી જરૂર જણાય ત્યાં ""ડ્રાફટ ઓડિટ પેરા'' તરીકે પ્રથમ સંબંધકર્તા સરકારી વિભાગ પાસે મોકલે છે ત્યારબાદ તેનો પ્રાથમિક અહેવાલ રાજ્ય વિધાનસભાને મોકલવામાં આવે છે.
આ અહેવાલ રાજ્યના વિધાનસભાગૃહ સમક્ષ રજૂ થયા બાદ તેની વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા વિગતવાર ચકાસણી કરીને જાહેર હિસાબ સમિતિ અથવા કોર્પોરેટ જાહેર સાહસ કંપનીના કિસ્સામાં જાહેર સાહસોની સમિતિને સોંપવામાં આવે છે. સંબંધિત વિભાગો આ અહેવાલની ચકાસણી કર્યા બાદ જાહેર હિસાબ સમિતિ અથવા જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષશ્રીઓનો પરામર્શ કરીને વિગતવાર વિશ્લેષણ કરીને કેટલા ઓડિટ પેરા લેવા તે નક્કી કરે છે ત્યારબાદ આ પેરેગ્રાફ સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે અને વિભાગના સંબંધિત અધિકારીને જે તે સમિતિ સમક્ષ ચકાસણી માટે રૂબરૂ બોલાવવામાં આવે છે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ કેગના ડ્રાફટ રિપોર્ટ અંગેની તબક્કાવાર સંવૈધાનિક પ્રક્રિયાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ સ્પષ્ટપણે એ હકિકતનો ઉલ્લેખ કર્યો હતો કે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિરોધપક્ષ દ્વારા નક્કી કરાયેલા ધારાસભ્યશ્રીની નિમણુંક થતી હોય છે જે ગુજરાતમાં સંસદીય લોકશાહીની ઉજ્જવળ પ્રણાલીરૂપે થાય છે. આમ, કેગના ડ્રાફટ પેરાની ચકાસણીની સંપૂર્ણપણે વૈધાનિક જોગવાઇઓ મુજબ પૂરેપૂરી પારદર્શક અને તટસ્થતાથી થાય છે એટલું જ નહીં, પણ જાહેર હિસાબ સમિતિ કે જાહેર સાહસોની સમિતિમાં પણ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તથા સરકારના નાણાં વિભાગના પ્રતિનિધિ આ સમિતિની મદદ માટે હાજર રહેતા હોય છે. આથી, વિધાનસભાગૃહે નિયુકત કરેલી આ સમિતિઓમાં થતી કાર્યવાહી, કોઇપણ પક્ષીય ધોરણે નહીં પરંતુ તટસ્થ અને સુચારૂ રીતે થતી રહી છે એમ જણાવી પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું કે આ સંવૈધાનિક સમિતિઓના અધ્યક્ષશ્રીઓને જરૂર જણાય તો બહારના અન્ય કોઇ નિષ્ણાંતને પણ સમિતિની તપાસણીમાં આમંત્રી શકે છે એટલું જ નહીં, આ પ્રકારના નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવી શકે છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યુ઼ કે આ પ્રકારની તટસ્થ ચકાસણીની તબક્કાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમિતિ કેટલાક પેરાગ્રાફ વિશે પોતાના અવલોકનો સાથે અહેવાલ તૈયાર કરીને સરકારને મોકલી આપે છે જેને પણ વિધાનગૃહમાં રજૂ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ જ તે અહેવાલ સ્વીકૃત અને આખરી ગણાય છે.
આમ, સંવૈધાનિક સમિતિઓની દ્વારા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડીયા (કેગ) દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા એકેએક મૂદાની તલસ્પર્શી, અત્યંત ઝીણવટભરી, તટસ્થ અને ચોકસાઇપૂર્વકની ચકાસણી થાય છે જ.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે વર્તમાન વિધાનસભા ગૃહની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિપક્ષ-કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્યશ્રી અને પૂર્વમંત્રીશ્રી મોહનસિંહજી રાઠવા પોતાનો પદભાર સંભાળી રહ્યા છે અને આ જ સમિતિમાં વિધાનસભામાં રાજકીય પક્ષના સંખ્યાબળ પ્રમાણે પ્રો-રેટા બધા જ પક્ષોનું પ્રતિનિધિત્વ રહેલું છે.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ અત્યારે સને ર૦૦ર-ર૦૦૩ના વર્ષના અહેવાલોની ચકાસણી થઇ છે ત્યારબાદ તે પછીના આગળના વર્ષોના અહેવાલોની ચકાસણી થવાની તો હજૂ બાકી છે, આ સંજોગોમાં સરકારના વિભાગોની ખર્ચની રકમો અને આઇટેમો અંગે આજના અખબારી અહેવાલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્રને માત્ર અનુમાન આધારિત, પૂર્વગ્રહ પ્રેરિત અને ગેરમાર્ગે દોરવાનો ઉદેશ ધરાવે છે તેમ કહેવું તેમાં કોઇ જ અતિશયોકિત નથી.
કેગના અહેવાલના ચોક્કસ મૂદા મનધડંત રીતે ઉપસ્થિત કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના ઉદેશનું દ્રષ્ટાંત આપતા પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની હાલની જાહેર હિસાબ સમિતિ (PAC) સમક્ષ હાલ ૧૯૯૭-૯૮ના ઓડિટ રિપોર્ટની કામગીરી ચાલી રહી છે તેમ કહેવું તે પણ સત્યથી તદ્ના વેગળું છે.
જે રીતે રાજ્ય સરકારના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે અનુમાનો આધારિત તારણો કાઢવા, પૂર્વગૃહ પ્રેરિત, દ્વેષભાવ અને રાજકીય ઇરાદાથી અનુમાનો બાંધીને હકિકતોનો વિકૃત રીતે અપપ્રચાર કરવાનો છેલ્લા કેટલાક સમયથી સાહજિક રીતે પણ સંપૂર્ણ રાજકીય ઇરાદા સાથેનો સીલસીલો ચાલી રહ્યો છે તે સંજોગોની ભૂમિકા આપી પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે આવા અપપ્રચારથી ગુજરાતની જનતા ગેરમાર્ગે દોરાશે નહીં પરંતુ રાજ્ય સરકારના વર્તમાન આખા દશકાના શાસનમાં વાસ્તવિકતા એ જ રહી છે કે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી વહીવટ કરતી રહી છે અને કયાંય કોઇપણ પ્રકારની ગેરરીતિ કે નાણાંકીય ગેરશિસ્ત ચલાવી લેતી નથી, તેના પરિણામે જ રાજ્યના અર્થતંત્રની ગતિશીલતા અને વિકાસનું સાતત્ય જળવાઇ રહ્યાં છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ એવી જાહેરાત પણ કરી હતી કે ભારત સરકાર દ્વારા સંસદમાં શ્રીયુત અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરૂધ્ધના અભિયાન સંદર્ભમાં જે લોકપાલનો સૂચિત કાયદો પસાર થાય ત્યારે તેની સાથે સુસંગત રહીને, રાજ્ય સરકારે (ગુજરાતમાં લોકાયુકત અધિનિયમ) અંગેના વર્તમાન કાયદામાં સુધારા-વધારા કરવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરી દીધી છે. આ પણ રાજ્ય સરકારના પારદર્શી શાસન માટેની પ્રતિબધ્ધતાનો વધુ એક પુરાવો છે, કારણ કે રાજ્યમાં લોકાયુકતની સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તેવો ઉમદા ઉદેશ ધરાવનારૂ પણ દેશમાં ગુજરાત જ પ્રથમ રાજ્ય છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
સંસદમાં સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત
ગુજરાતમાં લોકાયુકત કાયદામાં સુધારા સૂચવવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર અને શ્રીયુત અન્ના હજારેની સહમતિથી સંસદમાં જે સૂચિત લોકપાલના કાયદાના સંદર્ભમાં ચર્ચા થાય તથા તે પસાર થાય તેના આધારે ગુજરાત લોકાયુકત અધિનિયમ અને સંબંધકર્તા કાયદાઓમાં સુસંગત સુધારા વધારા કરવાની આગવી પહેલ ગુજરાત સરકારે જ કરી છે, અને આ હેતુસર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં લોકાયુકત (લોકપાલ)નો સુધારેલો કાયદો અમલમાં લાવવા અને લોકાયુકતની સંવૈધાનિક સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તે માટે, સંસદના સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત રહીને ગુજરાતમાં સુધારા સૂચવવાના રાજ્ય મંત્રીમંડળના પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરવામાં આવી છે.
આ અભ્યાસ જૂથના અધ્યક્ષસ્થાને નાણાં મંત્રીશ્રી વજૂભાઇ વાળા રહેશે, જ્યારે સભ્ય તરીકે આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, કાયદામંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી, કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અને આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિતભાઇ ગિલીટવાલા રહેશે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે વહીવટમાં પારદર્શી અને જનહિતનું વિકાસલક્ષી શાસન આપવા ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે તેનો આ એક વધુ પુરાવો છે.


ચોમાસું-ર૦૧૧
રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ નવ જિલ્લા વરસાદ વિહોણા
વલસાડમાં છ ઇંચ, ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ

ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને પોરબંદર મળી કુલ નવ જિલ્લા વરસાદ વિહોણા રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૪-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વલસાડમાં ૧૬૩ મી.મી. એટલે કે છ ઇંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૧૧ મી.મી. એટલે કે ચાર ઇંચ, અને પંચમહાલ જિલ્લાના જાંબુધોડામાં ૮૯ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૭૩ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોરમાં ૮૬ મી.મી., નવસારીમાં ૮૧ મી.મી. અને વલસાડ જિલ્લાના પારડીમાં ૮૭ મી.મી. મળી કુલ પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના રાણપુરમાં ૪૮ મી.મી, તાપી જિલ્લાના નીઝરમાં ૭૦ મી.મી એટલેકે બે ઇંચ અને ધોધંબા, ઉપલેટા, ખાંભા, પાલીતાણા, વાલોડ, પલસાણા, મહુવા, ચીખલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇૈચથી વધુ , અન્ય ૧૪ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૩૮ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૧૩ મીટર


૬૪ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૮ જળાશયો માટે એલર્ટ અને ૧૬ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૪-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૮ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૧, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૧૩ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૬ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૧૦૧.૨૭ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.

રાજકોટ જીલ્‍લાના પડધરી, ટંકારા અને જસદણ ખાતે કૃષિ અને જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ‘ચલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે

રાજકોટ :ગુજરાતની વિકાસ યાત્રાની ગતિને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા છેક ગ્રામ્‍ય સ્‍તર સુધી વિકાસનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા ચલો તાલુકે અભિયાનથી સાર્થક કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્‍લાના પડધરી, ટંકારા અને જસદણ ખાતે ચલો તાલુકે કાર્યક્રમ કૃષિ અને જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે.

આગામી તા. ર૬/૮ થી તા. ર૮/૮/૧૧ ના ત્રણ દિવસ દરમીયાન સવારના ૯-૦૦ કલાકે યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમ અંતર્ગત તા. ર૬ને શુક્રવારે પડધરી તાલુકાના ખામટા કન્‍યાશાળા ખાતે, તા. ર૭ને શનીવારે ટંકારા ખાતેની ઓરપાટ કન્‍યા વિદ્યાલય તથા તા. ર૮ના જસદણ નવા માર્કેટીંગ યાર્ડના ખેડુત સભા હોલમાં યોજાશે.

ચલો તાલુકેના ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાય તેમજ જિલ્‍લાની જુદી જુદી કચેરીઓના જિલ્‍લાના વરિષ્‍ઠ અધીકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાન બનાવાતી મૂર્તિઓમાં કેમીકલયુકત રંગો અને પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ વાપરી શકાશે નહિ

રાજકોટ રાજકોટ શહેરમાં દર વર્ષે ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્‍યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવે છે અને સ્‍થાપના બાદ ધાર્મિક રીત-રીવાજ મુજબ પ્રસંગ વિત્‍યા બાદ મૂર્તિઓની ખોખડદડ ન્‍યારી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્‍યારી ડેમ, તથા અન્‍ય તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. પ્‍લાટર ઓફ પેરીસની મૂર્તિઓની બનાવટમાં કેમીકલ યુક્ત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓને નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે જે(પી.ઓ.પી.) મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણીજન્‍ય જીવો, માછલીઓ વિગેરેનું મૃત્‍યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. જે બાબતોને ધ્‍યાન રાખી રાજકોટ શહેર તથા સેવાભાવી સંસ્‍થાઓ સાથે મળી ખોખડદડ નદી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્‍યારી ડેમ વિગેરે તળાવોનું શુધ્‍ધિ કરણ તથા પર્યાવરણની જાળવણીના અભીયાનને વેગ આપવા સહભાગી થયેલ છે.

જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નર હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ધાર્મિક પ્રસંગો દરમ્‍યાન દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી તા. રપ/૮/૧૧ થી તા. ૧૫/૯/૧૧ના કલાક ર૪-૦૦ સુધી નીચે મુજબના કૃત્‍યો કરવા પર પ્રતિબંધક ફરમાવ્‍યો છે.

મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્‍તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્‍લાસ્‍ટર ઓફ પેરીસ (પી.ઓ.પી)નો ઉપયોગ કરવો નહિ, મૂર્તિઓની બનાવટમાં મૂર્તીઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગ નો જ ઉપયોગ કરવો જેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહીં, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુ ને બાધ આપવામાં આવે છે, મૂર્તિઓની ઉંચાઇ બેઠક સહિત ૯ ફુટ કરતા વધારે હોવી જોઇએ નહિ, મૂર્તિકારો જે જગ્‍યાએ બનાવે છે તે જગ્‍યા વેચાણની જગ્‍યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં, મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહીં, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્‍હો કે નિશાનીઓ રાખવી નહીં, રાજકોટ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકાર/વેપારીઓને પણ આ નીયમો લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્‍લધંન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦નીકલમ ૧૮૮ હેઠળ બીન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.


તરણેતર મેળાના ઘનિષ્‍ઠ આયોજન અંગે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

સુરેન્‍દ્રનગર,

-સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તરણેતર ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૩૧ મી ઓગષ્‍ટ થી તા. ૩, સપ્‍ટેમ્‍બર-૨૦૧૧ સુધી યોજાશે. આ મેળાના વિશેષ આયોજન સંદર્ભે તા. ૨૩, ઓગષ્‍ટના રોજ તરણેતર ગ્રામ પંચાયત ખાતે સુરેન્‍દ્રનગર જિલ્‍લા કલેકટરશ્રી પ્રદિપ શાહના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક મળી હતી.

આ બેઠકમાં ઉપસ્‍થિત અધિકારશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા- વિચારણા કરતા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે પ્રત્‍યેક વિભાગના અધિકારીશ્રીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. આ લોકમેળા દરમિયાન કોઇપણ જાતનો અનિચ્‍છનિય બનાવ બનવા ન પામે તથા મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે સંબંધિત અધિકારી- કર્મચારીઓએ પણ સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે.

તેમણે આ તકે તરણેતરને જોડતા રસ્‍તા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા, કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્‍પિકસ, પશુમેળો, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા, પ્રદર્શન સ્‍ટોલ વગેરે સંદર્ભે રચાયેલી વિવિધ કમિટીની કામગીરીની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્‍લા પોલિસ અધિક્ષકશ્રી રાઘવેન્‍દ્ર વત્‍સ, નિવાસ અધિક કલેકટરશ્રી એમ. બી. પટેલ, તરણેતર સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અગ્રણીશ્રી રામકુભાઇ ખાચર સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્‍યો ઉપસ્‍થિત રહયાં હતા.


લાઠી તાલુકામાં તા.૩૧/૦૮/૨૦૧૧ પહેલા બોગસ રેશનકાર્ડ જમા કરાવવાના રહેશે

અમરેલી

નવા બારકોડેડ રેશનકાર્ડ માટેના ફોર્મ ભરેલ વ્‍યક્તિઓ હાલ લાઠી તાલુકામાં રહેતા ન હોય, મતદાર યાદીમાં નામ ધરાવતા ન હોય અથવા કાર્ડધારકનું રેશનકાર્ડ નજીકના સગા-સંબંધીઓ રાખી રેશનકાર્ડનો જથ્થો અનઅધિકૃત રીતે મેળવતાં હોય અથવા તો કોઇ દુકાનદાર આવા રેશનકાર્ડનો જથ્થો રેકર્ડ પર ખતવી બિનકાયદેસર નિકાલ કરતાં હોય તેવા બોગસ રેશનકાર્ડ આગામી તા.૩૧/૦૮/૧૧ પહેલા જાહેર રજાના દિવસો સિવાય લાઠી મામલતદાર કચેરી-પુરવઠા શાખામાં જમા કરાવવાના રહેશે. જો બોગસ રેશનકાર્ડ જમા નહિ કરાવવામાં આવે તો દોષિત વ્‍યક્તિ/ઇસમ/દુકાનદાર પર નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મામલતદાર-લાઠીની યાદીમાં જણાવાયુ છે.

બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે મધ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી કરવા અંગે

અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે સામાન્‍ય કેટેગરીના ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

આ કેન્દ્રમાં માનદ વેતનથી સંચાલકની જગ્યા ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી, મધ્‍યાહન ભોજન યોજના-અમરેલી અથવા મામલતદાર કચેરી-બગસરા ખાતેથી નિયત ફી ભરી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૦૫/૦૯/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ મામલતદારશ્રી-બગસરાને પહોંચાડવાનું રહેશે. અરજીપત્રક સાથે રહેઠાણના આધાર અંગે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે.

અરજી કરનાઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની વય ધરાવતાં હોવા જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે.

ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્‍થળે બોલાવવામાં આવે તે સમયે અને સ્‍થળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-બગસરાની યાદીમાં જણાવાયું છે.

રોજગાર કચેરી દ્વારા લશ્‍કરી ભરતી માટે યોજાનાર પૂર્વતાલીમ વર્ગો

ખાંભા તથા લાઠી તાલુકાના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ ઉપસ્‍થિત રહેવું

અમરેલી

રોજગાર કચેરી-અમરેલી દ્વારા ભાવનગર ખાતેના લશ્‍કરી ભરતી મેળામાં જવા ઇચ્છતાં યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વેનો તાલીમ વર્ગ શરૂ થનાર છે. આથી તાલીમ લેવા ઇચ્‍છુક ઉમેદવારોએ શારીરિક ક્ષમતાની ચકાસણી-પ્રિસ્‍ક્રુટીની માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત લશ્કરી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્‍છતા ખાંભા અને લાઠી તાલુકાના ઉમેદવારોએ શારીરિક ચકાસણી-પ્રિસ્‍ક્રુટીની કેમ્પમાં ભાગ લેવા અંગેના સંમતિપત્રક માટે તા.૨૬/૦૮ના રોજ મામલતદાર કચેરી-ખાંભા અને તા.૨૯/૦૮ના રોજ મામલતદાર કચેરી-લાઠી ખાતે રોજગાર કચેરીના પ્રતિનિધિનો રૂબરૂમાં સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.

કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી

રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૨૫ના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૨૫-૦૮-૧૧ ના રોજ ૧૪.૩૦ કલાકે અમરેલી જિલ્‍લા મધ્‍યસ્થ સહકારી બેંક ખાતે બેઠક અને ૧૫-૩૦ કલાકે રોકડીયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને દફતર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.


મુન્‍દ્રા-ભુજ રોડ ઉપર માર્ગ મરામતને કારણે ડાયવર્ઝન

ભુજ, મુન્‍દ્રા-ભુજ રોડ ઉપર ભારાપર, બળદીયા, અને કેરા ગામમાંથી પસાર થતા રસ્‍તામાં સી.સી.રોડની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી અવર-જવર કરતા વાહનોનું નિયમન આવશ્‍યક લાગતા અધિક કલેકટરશ્રી સી.પી.નેમાએ જાહેરનામું બહાર પાડી રોડનું કામ ચાલે ત્‍યાં સુધી ૨૦મી ઓકટો અથવા તો તે પહેલાં જે વહેલું હોય તે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્‍યું છે. આ ડાયવર્ઝનમાં જાહેરનામા મુજબ ભુજ તરફથી આવતા વાહનો ભારાપર, બળદીયા, ગંગાજી નારાણપર કેરા થઇ મુન્‍દ્રા જશે જયારે મુન્‍દ્રા તરફથી આવતા વાહનો કેરા, નારાણપર ગંગાજી બળદીયા ભારાપર થઇ ભુજ જશે.

સુવર્ણપ્રાસના ટીપા પીવડાવાશે

ભુજ, સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ સરપટ ગેટ, ભુજ ખાતે તા.૨૭/૮/૧૧ શનિવાર (પુષ્‍પ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી વિનામૂલ્‍યે પીવડાવવામાં આવશે.

રાજય રમતગમત મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

ભુજ, ગુજરાતના રાજયકક્ષાના મંત્રીશ્રી ઈશ્‍વરસિંહ પટેલ ૨૬મીએ શુક્રવારે સવારે ૯ વાગે ગાંધીધામ ખાતે ઈફકો હોલ, ઉદયનગર મુકામે યોજાનારા ચલો તાલુકે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

.