જેતપુર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્યની
શહેરમાં આકાંતરા પાણી વિતરણ ના
કરાય તો આંદોલનની ચીમકી
જેતપુર તા.27
જેતપુર શહેરમાં આગામી 31 મી ઓગસ્ટ સુધીમાં એકાંતરા પાણી વિતરણ ના શરુ કરાય તો આંદોલનની ચીમકી પાલિકા સદસ્ય મંગલાણીએ ઉચ્ચારી છે.મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના વોર્ડ નંબર 6 ના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ આજે ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ શહેરમાં ત્રણ થી ચાર દિવસે પાણી વિતરણ થઇ રહ્યું હોય, શહેરીજનોમાં બોકાસો બોલી રહ્યો છે. રજુઆત કરનાર સદસ્યનું કહેવું છે કે ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં પાણી વિતરણમાં કેમ સંકલનનો અભાવ જોવા મળે છે ? જો તા.31-8 સુધીમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ શરુ નહિ કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)
જેતપુરના 2 યુવાનો રેલવે ટ્રેકને નુકશાન કરતા ઝડપાયા
જેતપુર તા.27
ગઈકાલે ગુજરાત બંધ એલાનના દિવસે જેતપુરમાં આંદોલનમાં જોડાયેલા 2 પટેલ યુવાનોએ રેલ્વે ટ્રેક પર નુકશાન કરવાની ફિરાક દરમિયાન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ પાટીદાર અનામત માટે ગઈકાલે ગુજરાત બંધના એલાનના દિવસે જેતપુરમાં પણ અમુક પાટીદાર મિત્રો બંધને સફળ બનાવવા પોત પોતાની તાકાત કામે લગાડી હતી. અમુક આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ બંધ રહે તે માટેની જહેમત ઉઠાવી હતી. તો અમુક સરકારી મિલકતોને નુકશાન કરવાની ફિરાકમાં હતા.
આવી જ વાતમાં એટલેકે અહીના ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક પાસે પહોચીને શહેરના ડોબરિયા વાડી વિસ્તારના બે યુવાનો ભાવેશ જસમત પટેલ તથા કેતન હારી દુધાત્રા એમ બંને રેલ્વે ટ્રેકને નુકશાન કરવાની વેંતરણમાં હતા ત્યાજ શહેર પોલીસે બંનેને ઝાલી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812)

