અનુયાયીઓ

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

પડધરી પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો ખાખડાબેલા ગામે ૪ દિવસના પૌત્રને ઝાડાની તકલીફ દુર કરવા દાદીએ પેટે ધગધગતા સળીયાના દામ દીધાં



બાળક કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં સારવાર હેઠળ : કુદરતી
તકલીફને દુર કરવા આજે બાળક પર ઓપરેશન ક્રિયા

રાજકોટ તા.૨૫

રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા ૪ દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધાની ઘટના બહાર આવતા જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. જો કે નવજાત બાળકને કુદરતી તકલીફ હોય આજે તેના પર કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં ઓપરેશન ક્રિયા હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની બાદિયે રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને ચારેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાલકા ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના ૪ દિવસના બાળકને દાદી ગજરબેને ધગધગતા સળીયાના ડામ દેતા બાળકે કાળો કજીયો કરી સીમખેતર વિસ્તાર ગુંજાવી દીધો હતો.

બીજીબાજુ બાળકને આફરો ચડે તો બાળકને ડામ દઈએ તો આફરો ઉતરી જાય તેવી પોતાના પરપ્રાંતીય વિસ્તારની અંધશ્રદ્ધામાં, રીવાજમાં રાચતા દાદીએ અહી પણ આવી અંધશ્રદ્ધા સાથે માત્ર ૪ દિવસના બાળકને દામ દીધાની ઘટના જાણી ગયેલા લોકોમાં હાયકારા સાથે અરેરાટી વ્યાપી હતી. આ બાળકને સારવાર માટે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં લઇ અવાતા આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર આજે ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરવા તબીબો જહેમત ઉઠાવશે તેવું જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે. આ બનાવમાં દાદી સામે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ ? તે સમય જ બતાવશે.

જેતપુરને બાનમાં લેતી ભિક્ષુક મહિલાઓની ટોળકી માર્કેટિંગની ઓફિસમાંથી રૂ.૭૪ હજાર ચોરી પલાયન


૧૫ દિવસ થયા જેતપુરમાં મહિલાની ચોર ટોળકીનું સામ્રાજ્ય : પોલીસને સીસી ફૂટેજ આપ્યા હોવા છતાં આ
છેલ્લા ૧૫ દિવસ થયા જેતપુર શહેરમાં આંટાફેરા કરી રહેલી ભિક્ષુક મહિલાઓની ટોળકીએ શહેરના વેપારીઓને બાનમાં લીધા છે. બે દિવસ પહેલા આ ભિક્ષુક મહિલાઓની ચોર ટોળકીના પોલીસને સીસી ફૂટેજ અપાયા હોવા છતાં પોલીસે કઈ નહિ ઉકાળતા ગઈકાલે એક માર્કેટિંગના વેપારી આ ટોળકીનો ભોગ બની રૂપિયા ૭૪ હજાર ગુમાવ્યા હોવાની પોલીસ દફતરે જાણ કરાઈ છે. પોલીસે છરા ગેંગ જેવી લાગતી મહિલા ટોળકી સામે ગુનો નોંધવા કવાયત આદરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૧૫ દિવસ થયા ભિક્ષુક જેવી લાગતી વૃદ્ધા, યુવાન મહિલાઓ અને બાળકો સહિતની એક ગેંગે શહેરના વેપારીઓને રીતસરના બાનમાં લીધ હોય તેમ રોજ બરોજ કોઈને કોઈ દુકાનમાં ઘુસી જાય છે. ગેંગની બે ત્રણ મહિલાઓ ખરીદીના બહાને વેપારીને ધંધે લગાડે છે, બાકીની મહિલાઓ હાથફેરો કરી જતી રહે છે. જો આ ટોળકીની મહિલાઓને વાજબી જવાબ ના દેવાય તો તે વેપારીઓને ગાળો ભાંડવા લાગે છે.

બે દિવસ પહેલા શહેરના અમરનગર રોડ પર એક મહાદેવ મોબાઈલ નામની દુકાનો સહીત અમુક ઓફિસોમાં ઘુસેલી આ ગેંગે તસ્કરીનો પ્રયાસ કર્યો હતો પણ કોઈ રકમ કે વસ્તુ હાથ લાગી નહોતી. બીજીબાજુ અહીના વેપારીઓએ તેમના સીસી ફૂટેજમાં પકડાયેલા મહિલા ગેન્ગના ફોટા પોલીસને આપ્યા હતા. પોલીસ હજુ તો આ બાબતે તપાસ કરે ત્યાં આ ભિક્ષુક જેવી મહિલા ગેંગે ગઈકાલે ખોડપરા વિસ્તારમાં આવેલ આયુષી માર્કેટિંગ નામની દુકાનમાં ઘુસી ટેબલના ખાનામાંથી ૭૪ હજારની રોકડ ચોરી નાશી છૂટી હતી.

બનાવ સમયે ઓફીસ માલિક મુર્તુઝાભાઈ પોટા કુરાન શરીફ પઢતા હતા ત્યારે આ વાતનો મોકો જોઇને મહિલા ચોર ગેંગ પોતાના ઈરાદો સફળ બનાવી નાશી છૂટી હતી. જુનાગઢ રોડ, અમરનગર રોડ, નવાગઢ, સરદાર ચોક વિગેરે વિસ્તારોમાં દુકાનો ઓફિસોમાં ઘુસી જતી ભિક્ષુક મહિલા ગેંગને પોલીસ તાત્કાલિક નહિ પકડે તો આ ટોળકી હજુ અનેક વેપારીઓને શિકાર બનાવશે તેવી વેપારીઓમાં દહેશત છે.

જેતપુરના પેઢલા નજીક ટેન્કર હડફેટે જેતપુરના આશાશ્પદ તબીબનું મૃત્યુ






ગઈકાલે જેતપુરના પેઢલા ચોકડી પાસે ટેન્કર હડફેટે ચડી ગયેલા સ્કુટર ચાલક એવા જેતપુરના આશાસ્પદ ડો. કમલેશ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થતા પરમાર પરિવારમાં શોક વ્યાપ્યો હતો.

મળતી વિગતો મુજબ જેતપુરમાં દાસી જીવણ પરામાં રહેતા અને મોટી મારડ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા  કમલેશભાઈ પરમાર ગઈકાલે પોતાની ફરજ પર હાજર થવા જેતપુરથી નીકળ્યા હતા. ત્યારે તેમના સ્કુટરને પેઢલા ચોકડી પાસે એક ટેન્કર ચાલકે હડફેટે લેતા કમલેશભાઈ બુરી દશામાં ડિવાઈડર સાથ અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાશી છૂટ્યો હતો.


બનાવની જાણ કરાતા સંબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તબીબના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતો. બનાવ બાબતે વધુ મળતી વિગતો મુજબ કમલેશભાઈ(ઉ.વ.૨૩) એ થોડા સમય પહેલાજ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી મોટી મારડ ગામે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતા. તેઓ ત્રણ ભાઈમાના બીજા નંબરના ભાઈ હતા. તેમજ તેમના પિતા ભજન સંગીત ક્ષેત્રે જાણીતા છે. એક એવી પણ વિગત જાણવા મળી હતી કે કમલેશભાઈએ માથા પર હેલ્મેટ પહેરી હતી. પણ ટેન્કરની ટક્કરમાં તેઓ ઉછળીને ડિવાઈડર પર પટકાતા હેલ્મેટ પણ તૂટી જતા માથામાં ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા હતા. બનાવથી પરમાર પરિવાર અને દાસીજીવણ પરા વિસ્તારમાં શોક ફેલાયો છે

નાફેડના ચેરમેનના સિરામિક એક પર GSTના દરોડા - પ્રાથમિક તબક્કે રૂા.50 લાખની કરચોરી બહાર આવી

નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ચેરમેન વાઘજી બોડાના મોરબી ખાતે આવેલા બે સિરામિક એકમો પર તાજેતરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બે-ત્રણ દિવસ સુધી તપાસ કર્યા બાદ પ્રાથમિક તબક્કે રૂપિયા 50 લાખની ટેક્સ રીકવરી કરવામાં આવી હતી. હજુ તપાસ ચાલુ છે અને વધુ કરચોરી બહાર આવવાની આશંકા છે.


દરોડા પાડ્યા બાદ તપાસનીશ અધિકારીઓએ હિસાબી સાહિત્ય કબજે કર્યું હતું અને તેની સઘન ચકાસણી હાથ ધરી હતી. જ્યારે વેટ અને એક્સાઇઝ બે અલગ-અલગ કર હતા ત્યારે સિરામિક એકમોમાં બેફામ કરચોરી થતી હતી. તેના સાથે એક જ કર જીએસટી આવી જતા કરચોરી પર લગામ લાગશે એવી આશા હતી, પરંતુ તેવું કશું થયું નથી.

હજુ પણ સિરામિક ઉદ્યોગોમાં બેફામ કરચોરીનો સિલસિલો ચાલુ છે. તેની સામે લગામ લગાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. વાઘજી બોડાના એકમ પર દરોડા પડ્યા બાદ અન્ય કરચોર ઉદ્યોગકારોમાં પણ ભયનું મોજું ફેલાયું હતું.

સૌરાષ્ટ્રના મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે

માતા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં તેમજ શુભ પ્રસંગોમાં રાસ રમતી વખતે ઉપયોગમાં લેવાતા મહુવાના દાંડિયાની દેશ-વિદેશમાં બોલબાલા છે. બ્રહ્મક્ષત્રિય સમાજે પરંપરાગત વ્યવસાય સાચવી રાખતા આજે પણ મહુવાના ડિસ્કો સ્ટેપના જમાનામાં પણ સંઘેડા પર બનેલા લાકડાના દાંડિયાની ડિમાન્ડ યથાવત રહીં છે તે બાબત આપણી કલા સંસ્કૃતિનો વારસો જળવાય રહ્યા જેવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓનો વેપાર મોટા પાયે પથરાયેલો છે. દાંડિયાથી લઈ કોઈપણ લાકડાની વસ્તુ સંઘેડા પર ચઢાવીને બનાવાતી હોય બજારનું નામ સંઘેડીયા બજાર છે. મહુવા સંઘેડીયા બજારની કલા કારીગરી એટલી ખ્યાતનામ છે કે અહીં બનતી વસ્તુઓ માત્ર ભારતના મોટા શહેરોમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ થઈ રહીં છે. મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે. લાકડાના દાંડીયા પર લાખના કલરથી ફેન્સી લૂક આપવામાં આવે છે.


આધુનિકતા તરફ આગળ વળતા યુગમાં મશીનરી પર લાકડાની વસ્તુઓ બનાવવાનું શરૂ થતા ઘણા બ્રહ્મક્ષત્રિય વેપારીઓ પોતાનો પરંપરાગત વેપાર છોડી અન્ય વેપાર તરફ પણ વળી ગયા છે. જો કે હજુ પણ મહુવા સંઘેડીયા બજારની રોનક જળવાઈ રહીં છે અને ત્યાં બનતી વસ્તુઓની માગ પણ યથાવત રહીં છે. જેનો સંપૂર્ણ શ્રેય બ્રહ્મક્ષત્રિય વેપારીઓના ફાળે જાય છે. મહુવાથી માત્ર વિદેશમાં દાંડિયાની નિકાસ થાય છે તેવુ જ નથી. ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા એનઆરઆઈ અને વિદેશી પ્રવાસીઓ સૌરાષ્ટ્રના કાશ્મીર એવા મહુવાની સુંદરતા જોવા અચૂક પહોંચે છે અને તેઓ પણ સંઘેડીયા બજારમાંથી ખરીદી કરવાની તક ગૂમાવતા નથી. (સૌજન્ય : ગુજરાત સમાચાર)