અનુયાયીઓ

મંગળવાર, 17 નવેમ્બર, 2015

ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત

જેતપુર તાલુકાના ખીરસરા ગામના ૨ આહીર પિત્રાઈ ભાઈઓ 
ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત 
મામાનો દીકરો એવો ભાઈ અજય બચી ગયો, પગ લપસતા સર્જાઈ કરુણાંતિકા, ગામમાં શોક સાથે ગમગીની 

જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા આહીર પરિવારના બે પિત્રાઈ ભાઈઓ આજે પોતના ગામ નજીકના સુરવો ડેમમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાની કરુણાંતિકાથી ખીરસરા ગામમાં શોક સાથે અરેરાટી અને ગમગીની ફેલાઈ છે.

મામાના દીકરા એવા અજયભાઈ(રહે.ગમા પીપળીયા, તા.બાબરા) સામેજ બનેલી કરુણાંતિકાની વિગતો જોઈએ તો જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા હરસુખભાઈ ભીખાભાઈ ભૂતૈયાનો પુત્ર સુરજીત(ઉ.વ.૧૭), હેવીન બાલુભાઈ ભૂતૈયા(ઉ.વ.૧૫) આજે સાંજે ખીરસરથી ચારેક કિમી દુર આવેલ સુરવો ડેમ પાસે ફરવા ગયા હતા. એક સાથે આનંદ કિલ્લોલ કરતા આ ત્રણેય યુવાનોના આનંદની જાણે ઈશ્વરને ઈર્ષા થઇ હોય તેમ અચાનક સુરજીતનો સુરવો ડેમમાં પાળે પગ લપસતા હેવીને તેમને બચાવવાના લાખ પ્રયાશ કર્યા હતા. પણ આ સમયે હેવીન પણ ડેમમાં ગબડી પડતા બંને જોત જોતામાં ડેમના પાણીમાં ગરક થઇ ગયા હતા.

બનાવ સમયે હાજર હેવીનના મામાનો દીકરો અજય આભો બની દોડતો ખીરસરા ગામમાં પહોંચ્યો હતો અને પરિવારજનો ઉપરાંત ગ્રામજનોને સુરજીત અને હેવીન ડૂબી ગયાની કરુણાંતિકા વર્ણવી હતી. બીજીબાજુ ગામના બે જુવાનજોધ પિત્રાઈ ભાઈઓને સુરવો ડેમના પાણી ગળી ગયાની જાણ થતાજ ગામના બે અચ્છા તરવૈયાઓ કિશોરભાઈ કનુભાઈ ચૌહાણ અને દીપક રવજીભાઈ મોરી સહિતના ગ્રામજનો સુરવો ડેમમાં કુદી પડી, પાણી ફંફોસવા લાગતા આશરે બે થી અઢી કલાકે બંને પિત્રાઈ ભાઈઓ સુરજીત અને હેવીન નશ્વર દેહે પરીવાજનોના હાથ લાગતા ડેમ વિસ્તારમાં પરિવારજનોએ કરેલા હૈયાફાટ રૂદનની જાણે ડેમના પાણી થંભી જાય તેવી કરુણાંતિકા ખડી થઇ હતી.

બોક્સ: બંને તેજસ્વી સાયન્સના છાત્રો હતા !
જેતપુર : જેતપુરની સરકારી હોસ્પીટલે સુરજીત અને હેવીનના મૃતદેહ સાથે આવેલા પરિવારજનોએ ભાંગેલી અવસ્થામાં જણાવેલ કે સુરજીત જૂનાગઢની આલ્ફા સ્કુલમાં ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ કરતો હતો. જયારે હેનીલ ધો. ૧૧ સાયન્સમાં જુનાગઢના વડાલ નજીકની જ્ઞાનભરતી સ્કૂલનો વિદ્યાર્થી હતો. પરિવારજનોએ વધુ વિગતો આપતા જણાવેલ કે હેનીલ બે ભાઈઓમાનો મોટો ભાઈ હતો. અને નાનો ભાઈ જયદીપ હવે એકલો અટૂલો પડી ગયો છે. જ્યારે સુરજીત પોતાના પિતાનો એકનોએક દીકરો અને કોમલ નામની બેનડીને શોકાવાસ્થામાં છોડી અચાનક લાંબી અનંતની યાત્રાએ નીકળી જતા બંને ખેડૂત પિતાઓ અને સગા ભાઈઓ હરુસુખભાઈ ભીખાભાઈ ભૂતૈયા અને બાલાભાઈ ભીખાભાઈ ભૂતૈયાના પરિવારો પર મોતરૂપી વીજળીઓએ ત્રાટકી બે જુવાનજોધ દીકરાઓને છીનવી ગઈ છે.

બોક્સ: શાળા સંચાલકો અને ગ્રામજનો શોકમાં ગરક
જેતપુર : આ લખાય છે ત્યારે રાત્રીના સુરજીત અને હેનીલના મૃતદેહો પીએમ માટે સરકારી દવાખાને લવાયા ત્યારે ખીરસરાના મોટા ભાગના સેવાભાવી આગેવાનો, ચિરાગભાઈ અમૃતિયા સહિતના પડોશીઓ, ગ્રામજનો અને શાળા સંચાલકોમાં શોક વ્યાપી ગયો હતો. બંને શાળા સંચાલકોએ પોત પોતાની શાળાના તેજસ્વી બાળકો ગુમાવ્યાનો સખેદ વસવસો વ્યક્ત કર્યો હતો.

બોક્સ: બબ્બે જુવાનજોધ પિતરાઈ ભાઈના મોતથી ગામમાં ગમગીની 
જેતપુર : ખીરસરા ગામમાં જ્યારે લટાર મરાઈ ત્યારે સુરજીત અને હેનીલના અવસાનની કરુણાંતિકાએ સમસ્ત ગામમાં શોક વ્યાપી દીધો હતો. કોઈ કોઈને કશું કહેવા તૈયાર નહોતું. બધા ગ્રામજનો બસ એકજ ઉત્તર વાળતા હતા કે ખેડૂતપુત્રોના વહાલસોયા એકીસાથે અનંતની યાત્રાએ નીકળી પરીવારજનોને બેબાકળા બનાવી દે તેનાથી વિશેષ કરુણાંતિકા કઈ હોઈ શકે. દરમિયાન હોસ્પિટલસુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે બને તેટલું વહેલું બંને મૃતદેહોનું પીએમ કરી ખીરસરા રવાના કરાશે. સવારના સમયે બંને મૃતક ભાઈઓની સ્મશાન યાત્રા નીકળશે, જેમાં સમસ્ત ગામના લોકો ડાઘુના રૂપમાં જોડાશે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર દ્વારા)

: જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે

ખારચિયાની યુવતી ભેદી સંજોગોમાં ગુમ..

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના ખારચિયા ગામમાંથી રમેશભાઈ મોહનભાઈ ભેડાની ૧૯ વર્ષની સંગીતા ૮ મી નવેમ્બરે કોઈને કહ્યા વગર ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. જે આજ દિન સુધી નહિ મળતા તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે.

જેતપુરમાંથી બાઈકની ઉઠાંતરી

જેતપુર તા.૧૭

જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાંથી જિજે૩ સી જે ૪૬૯૯ નંબરનું હોન્ડા કોઈ ચોરી કરી લઇ ગયાની મોહનભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપુરમાંથી જુગાર રમતા ૪ પકડાયા

જેતપુર તા.૧૭

ચોક્કસ બાતમીના આધારે જેતપુર પોલીસે અહીના ગોપાવાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા સાહિલ મધુસુદન, હરસુખ ભોવાન, જયેશ નરોત્તમ અને દીપક મનું એમ ચારેયને રોકડ રૂપિયા ૧૦૯૯૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે

જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)

આવતીકાલ જગ વિખ્યાત સંત પૂજ્ય જલારામબાપાની ૨૧૬ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવા જેતપુરના લોહાણા સમાજ થનગની રહ્યો છે. આ માટે તમામ લોહાણા જ્ઞાતિજનોએ પોતપોતાના રહેણાંક મકાનોના પ્રાંગણમાં જલારામબાપા સહિતની વિવિધ રંગોળીઓ દોરી છે. અહીના જુનાગઢ રોડ પર આવેલ પુજ્ય જલારામબાપના મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. શહેરમાંથી શોભાયાત્રા પણ કઢાશે. સામુહિક પ્રસાદ પણ યોજાશે. અનેક લોહાણા પરિજનો જેતપુરમાં તેમજ વીરપુર ખાતે બાપાની જન્મજયંતી ઉજવવા ઉત્સાહી બન્યા છે.

સંત શિરોમણી જલારામ બાપના મુખ્ય મંદિર એવા વીરપુરની વાત કરીએ તો છેલ્લા ચારેક દિવસ થયા સૌરાષ્ટ્રના મોટા ભાગના રસ્તાઓ પરનો રાહદારીઓ ઉપરાંત વાહનોનો પ્રવાહ વીરપુર તરફ વળી રહ્યો છે. આજુબાજુના નાના મોટા શહેરો ઉપરાંત સુરત, બરોડા, અમદાવાદ ખાતેથી સેવકો અને ભક્તોનો સાગર વીરપુરમાં ઘુઘવાટા મારી રહ્યો છે. લાખો ભક્તો વીરપુરમાં ગોઠવાઈ ગયા છે. અહીના એકોએક આરામગૃહો હાઉસફુલ્લ થઇ ગયા છે. માણસોની કીડીયારું જેવી અવસ્થામાં કોઈ ગેરવ્યવસ્થા ના ઉભી થાય તે માટે મંદિર સંચાલકો, સ્થાનિક પોલીસ પ્રશાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોહાણા જ્ઞાતિજનોની ભાષામાં કહીએ તો તેઓ બધા બીજી દિવાળી જેવી પૂજ્ય બાપાની જન્મજયંતી માટે આનંદ વિભોર બન્યા છે.

''દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ'' જેવી કહાવાતથી વિશ્વભરમાં ભક્તો ધરાવતા પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા જેતપુર, વીરપુરવાસીઓ આવતીકાલ રીતસરના જલારામમય બની જશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

 


lokcharcha updates-17-11-2015

જેતપુરના રેશમડીગાલોલ ગામના વણકરવાસમાં ફેલાઈ રહેલી દારૂની બદી દુર કરવા વર્તમાન પંચાયત સભ્ય, માજી સરપંચ સહિતના લોકોની ઉગ્ર માંગ..

જેતપુરના રેશમડીગાલોલ ગામના વણકરવાસમાં ફેલાઈ રહેલી 

દારૂની બદી દુર કરવા વર્તમાન પંચાયત સભ્ય

માજી સરપંચ સહિતના લોકોની ઉગ્ર માંગ.. 

લાત્તાવાસીઓની દહેશત, તો બાળકો-યુવાનો નશીલા બની બરબાદીમાં ધકેલાઈ જશે !

 

જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામે વણકરવાસમાં અમુક ઈસમો દ્વારા ફેલાવાતી દારૂની બદી તાકીદે દુર કરવા ગામના માજી સરપંચ અને વર્તમાન પંચાયત સભ્ય સહિતના લત્તાવાસીઓએ જેતપુર તાલુકા પોલીસ, રાજકોટ જીલ્લા પોલીસવડા સહિતના સત્તાધીસોને લેખિત રજૂઆત કરી છે. 

 

આ બાબતે રેશમડીગાલોલના માજી સરપંચ સોમાભાઈ જીવાભાઈ બગડા, વર્તમાન પંચાયત સભ્ય ભલાભાઈ પીઠાભાઈ મકવાણા, અનીલ નાથા વેગડા, અશ્વિન લુહાર, મંજુલાબેન દાનાભાઈ, કલુબેન વેગડા, વિગેરે 40 લત્તાવાસીઓએ જેતપુર તાલુકા પોલીસને ઉદેસીને રજૂઆત કરતા જણાવેલ છે કે તેઓના વણકરવાસમાં લાંબા સમય થયા પાંચ થી છ શખ્શો દેશી દારુ બનાવવા ઉપરાંત બહારથી મંગાવી વેચાણ કરતા હોય, આ વિસ્તારના નાના મોટા યુવાનો આ ભયંકર દારૂની બદીમાં સપડાઈને પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.

 

લત્તાવાસીઓએ એક એવી દહેશત વ્યક્ત કરી છે કે જો જેતપુર તાલુકા પોલીસ આ તમામ શખ્શોને પકડી પાડી યોગ્ય કાર્યવાહી નહિ કરે તે દારુ દુષણના અજગર ભરડામાં ફસાઈ જઈ પોતાના પરિવારજનો અને બાળકો માટે બરબાદીનું કારણ બની જશે. રજૂઆતકર્તાઓએ એક એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગઈ તા.11.11.2015 ના રોજ આ અંગેની લિખિત ફરિયાદ જેતપુર તાલુકા પોલીસને રૂબરૂ કરાઈ હોવા છતાં આજદિન સુધી સંબંધિત પોલીસે કોઈ કાર્યવાહી નાં કરી હોય, દારુ બનાવતા અને વેંચતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે. 

 

કશ્યપ જે. જોશી જેતપુર