અનુયાયીઓ

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ 
જેતલસર તા.15
જેતપુરથી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી બિલકુલ બિસ્માર બન્યો હોય તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.
આ અંગેની વિગતો મુજબ જેતપુર થી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી ખખડધજ બન્યો હોય, વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ વાત સરકારી તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરતું ના હોય વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા જણાવે છે કે જેતપુર થી જેતલસર સુધીના જુનાગઢ રોડ પર કોલેજ, સ્વમીનાયારણ મંદિર, જલારામ મંદિર તેમજ શાળાઓ આવેલી હોય, ટ્રાફિક ખુબ રહેતો હોય જર્જરિત રોડથી સૌ કોઈ ત્રાસી ગયા છે. રોજ બરોજ અનેક અકસ્માતો બન્યા હો પણ બની ગયા છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતલસર થી જેતપુર કે જેતપુરથી જેતલસર સુધીના રોડ પર જો કોઈ સગર્ભા મહિલાને લઇ જવાય તો રસ્તામાંજ પ્રસુતિની ઘટનાં બની જાય તેટલી હદે આ રોડ ખરાબ થયો છે. લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક આ રોડ રીપેર કરાવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર 
શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત 
શહેરમાં માઝા મૂકતી ગંદકી, ગોબરા બગીચાની હાલત સુધારવા, પાણી લીકેજીંગ બંધ કરવા, રોડ રસ્તા સુધારવા, અને બંધ લાઈટો ચાલુ કરવા માંગ.

જેતપુર તા.15
જેતપુર શહેરમાં અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણીએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે.
અરજદારે રજુઆતમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલા મોટાભાગના બાગ બગીચાની માવજત માટે તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ બગીચામાં કોઈ સાફ સફાઈ થતી નથી, ઘાંસ કપાતું નથી, તૂટેલા બાંકડા રીપેર કરતા નથી, પાણીના ફુવારા બંધ છે તો લાઈટો લબુક ઝબુક થયા કરે છે.

શહેરમાં 300 જગ્યાએ પાણીની પાઈપલાઈનોમાં લીકેજીંગ હોય, લાખો ગેલન પાણીનો બગાડ થતો હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. એક તો ત્રણ ચાર દિવસે પાણી વિતરણ કરાય છે અને લીકેજીંગ રીપેર કરવા તંત્ર સમજતું નથી..આ વાત સામે તંત્ર જૂની કેસેટ વગાડે છે કે માણસો નથી, તો તાજેતરમાં 60 થી 70 માણસોને છુટા કરવાનું શું કારણ ? તેવો અરજદારનો અણીયારો પ્રશ્ન છે.

પાલિકાની બાંધકામ શાખા ઘોર નિંદ્રામાં પડી હોઈ તેમ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પર નાના મોટા ખાડા બુરવા કોઈ દિવસ પ્રયાસ હાથ ધરાતો નથી. ઘણા સમય થયા આ શાખામાં નાનું મોટું પરચુરણ કામો કરી રહેલા અમુક મજુરોને છુટા કરી તંત્રે હાથે કરીને રોડ રસ્તાની હાલત ના સુધારવી હોય તેવી નીતિ અખત્યાર કરી છે.

હેરના મતવા શેરીની સામે આવેલ મુતરડી સહીત અનેક જગ્યાએ ખદબદતી ગંદકીથી પ્રજા ત્રાસી ગઈ છે. કચરાનો કોન્ટ્રાક્ટ શહેરમાં અમલી છે કે નહિ ? તે અરજદારને સમજાતું નથી. સફાઈ બાબતે જેતપુર પાલિકાને એવોર્ડ મળેલ છે, પણ આ એવોર્ડની આબરૂ વધારવાને બદલે સંબંધિતો કોઈ બીજા જ વહીવટમાં પડ્યા હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. પ્રજાને સફાઈ કર ભરવાનું માથે પડે છે કારણ રહેણાંક મકાનોના અને દુકાનોના આસામીઓ તો પોત પોતાના આંગણા જાતેજ સાફ કરે છે.

શહેરની એવી કોઈ ગલી કે નાકું નથી કે જ્યાં ખોદાયેલા રોડ ના હોય, તંત્રને જયારે રજુઆત કરાય છે ત્યારે જવાબ મળે છે કે તે ભૂગર્ભ ગટર બનાવતા તંત્રે કર્યું છે ! તો શું આવી કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખનાર સંબંધિતોને શહેરના રોડ રસ્તાઓની આવી હાલત કરી દેવાની છૂટ અપાઈ હશે કે શું ? પાલિકા તંત્ર તેઓને કાઈ કહી ના શકે ? તેવો રાજુઆતકર્તાનો પ્રશ્ન છે. 

શહેરના મોટાભાગના રોડ રસ્તા પર સોડીયમ લેમ્પ ઉતારી એલઈડી લાઈટો લગાવાઈ છે, પણ આ લાઈટો પુરતો પ્રકાશ નાં આપતી હોય રોડ પર અંધારા ઉતરી આવ્યા છે. તંત્રે આ બાબતે તાત્કાલિક કોઈ બીજો નિર્ણય લઈને પુરતી લાઈટ વ્યવસ્થા કરવી જોઈએ.

બોક્સ: સૌથી વધુ કરવેરા ભરતા સાડી ઉદ્યોગને સુવિધામાં મીંડું !
જેતપુર : અરજદાર પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણી સૌથી મહત્વના અને પાલિકા તંત્રને નીચાજોણું થાય તેવો પ્રશ્ન રજુ કરતા જણાવેલ છે કે રહેણાંક વિસ્તારમાં તો ઠીક કોઈ સુવિધાના ઠેકાણા નથી પણ સૌથી વધુ હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ અંને દીવાબત્તી સહીત તમામ કરવેરા ભરનાર જેતપુર સાડી  ઉદ્યોગના કારખાના સુધી પહોંચવા પાલિકા તંત્રએ કોઈ દિવસ કોઈ રોડ રસ્તા બનાવ્યા નથી.

બોક્સ: તો..આત્મવિલોપન કરતા પણ અચકાઈશ નહિ !!
જેતપુર: જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે જેતપુર શહેરને કોરી ખાતા ઉપરોક્ત પ્રશ્નો પરત્વે તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત રજુઆતો કરી છે પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરતુ હોય જો તેઓના પ્રશ્નો તાત્કાલિક હલ નહિ કરાય તો તેઓ આંદોલન અને આત્મવિલોપન કરતા પણ અચકાશે નહિ !
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

પોરબંદરના સાંસદ રાદડિયાની નવમી વખત રકતતુલા કરાશે

સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા 
પોરબંદરના સાંસદ રાદડિયાની 
નવમી વખત રકતતુલા કરાશે
જેતપુર તા.15
જેતપુર નવાગઢમાં અગાઉ 86 વખત સફળ રક્તદાન કેમ્પોના આયોજનો કરનાર સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા આગામી 27-9-2015 ના રોજ, પટેલ સમાજની વાડી નવાગઢ ખાતે સાંજે 6 : 00 કલાકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની નવમી વખત રક્ત,  સાકર અને ધન તુલા કરવાનું આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટ પ્રમુખ અનીલ કાછડિયા( જેતપુર પાલિકા સદસ્ય) જણાવે છે.
તેઓએ વધુમાં જણાવેલ કે તેઓના ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુ, જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરીયા, જસુબેન કોરાટ, લાલજીભાઈ સાવલિયા વિગેરેની રક્ત્તુલાના સફળ કેમ્પના આયોજનો થયા હતા. આગામી રક્તદાન કેમ્પમાં પણ રકતદાતાઓ રક્તદાન માટે ઉમટી પડે તેવી હાકલ કરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન

12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા 
સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન 
45 દિવસમાં ઘટતું નાં કરાય તો આ વાતને કોર્ટમાં લઇ જવા અને આંદોલન છેડવાની સરપંચની ચીમકી 

જેતલસર તા.15
ભેંસાણ પુરવઠા તંત્રના અમુક આળસુ સ્ટાફે આશરે 12000 નવા બારકોડેડ રેશનકાર્ડમાં તુકારા અને તોછડાઈભર્યા કાર્ડધારકોના નામ લખ્યા હોય, તાકીદે કોઈ પણ સુધારા અરજી વગર દિવસ 45 માં રેશન કાર્ડ નહિ સુધારાય તો આ વાતને કોર્ટમાં પડકારીને ઉપવાસ આંદોલન છેડવાની સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ચીમકી ઉચ્ચારતું એક આવેદન ગઈ કાલે ભેંસાણના મામલતદારને સુપ્રત કર્યું હતું.

મળતી વિગતો મુજબ ભેંસાણ તાલુકાની પુરવઠા કચેરીના સંબંધિત અને નવાણીયા સ્ટાફે ભેંસાણ તાલુકાના મોટાભાગના જુનામાંથી નવા બારકોડેડ રેશનકાર્ડ બનાવવાની સુંદર કામગીરી બજાવી તે પ્રશંસનીય છે. પણ લાગતા વળગતા સ્ટાફે રેશન કાર્ડઘારાકના નામો પાછળ ભાઈ અને બહેન જેવા શબ્દો કાપી નાખી, ઘોર આળસ વ્યક્ત કરી તુકારભાર્યા અને તોછડાઈભર્યા નામો લખીને મોકલી દેતા આ વાતનો કાર્ડધારકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે. 
આ વાતને હાથમાં લઈને સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ગઈકાલે પરેશભાઈ પંડયા, ભેસાણીયા જગદીશભાઈ, જયદીપભાઈ  ભુવા, વિનુભાઈ વઘાસીયા વિગેરે ગ્રામજનોને સાથે રાખી ભેંસાણના મામલતદારને એક આવેદન આપી આવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભેસાણ તાલુકાના આશરે 12000 નવા રેશન કાર્ડમાં કાર્ડધારકોના નામો 45 દિવસમાં સુધારવામાં નહિ આવે તો ગ્રાહકોના અપમાન સમાન આ વાતને કોર્ટમાં પડકારાશે, એટલુજ નહિ ન્યાય માટે ભેંસાણની મામલતદાર કચેરી સામે હજારો લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલન પણ છેડાશે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

પોલીસ કર્મચારીઓ પર નજર

ઈ - બીટ પેટ્રોલિંગ સિસ્ટમ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે

વડોદરા :  શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે ચોરી, લૂંટ કે ધાડ જેવા બનાવો મોડીરાતે જ બનતાં હોય છે. પોલીસ અસરકાર પેટ્રોલીંગ નહીં કરતી હોવાથી ઘણીવાર તસ્કરો અને લૂંટારૂઓ ખેલ પાડવામાં સફળ થતાં હોય છે. પરંતુ હવે પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં પોલ નહીં મારી શકે. કારણ કે, પોલીસ કર્મીઓની પોલને પકડી પાડે, તેવી ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમ પોલીસ તંત્રએ વસાવી છે. દરેક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ક્યુ.આર.કોડ આવે છે. આ કોડનો ઉપયોગ કરી ક્યુ.આર. કોડ પ્લેટ બનાવવામાં આવી છે. જેને ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમમાં નામ આપવામાં આવ્યું છે. આ ક્યુ.આર.કોડ પ્લેટ પોલીસ સ્ટેશન દીઠ નક્કી કરેલા ૧૦ પોઈન્ટો પર લાગશેે. નાઈટ પેટ્રોલીંગ કરનાર પોલીસ કર્મચારી આખી સોસાયટીમાં ફરે તે માટે પ્લેટ છેલ્લા મકાન પાસે લગાવાશે. આ પ્લેટ પર પોલીસ કર્મી પોતાની પાસેનો એન્ડ્રોઈડ ફોન મુકશે, એટલે તરત જ મોબાઈલ ફોનના ડેટા કેપ્ચર કરી લેશે. ત્યારબાદ પોલીસ કર્મીએ મોબાઈલ ફોનમાં પોતાનો ફોટો પાડવો પડશે, જે સોફ્ટવેર થકી સીધો જ પોલીસ સ્ટેશનમાં મુકેલા સર્વરમાં જતો રહેશે. તેથી નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને ફાળવેલા પોઈન્ટો પર દર કલાકે જવું પડશે. જો, નહીં જાય તો આ ઈ-બીટ સિસ્ટમ તેમની ચાડી ખાશે. આ સિસ્ટમ એવી પણ ખાસિયત છે કે, પોલીસ કર્મચારી કોઈ ઝાડ નીચે પોલીસ વાન પાર્ક કરીને લાંબી તાણી દે અને હોમગાર્ડના જવાનને મોબાઈલ ફોન આપી પોઈન્ટો ચેક કરવા મોકલશે તો પણ ઝડપાઈ જશે. બીજા દિવસે સવારે પી.આઈ. પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે તેમને હાર્ડ કોપી મળી જશે. જેમાં નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓના નામ અને તેમણે ક્યો પોઈન્ટ કેટલા વાગે ચેક કર્યો હતો.? તેની માહિતી આવી જશે. આ સિસ્ટમથી નાઈટ ડયુટીમાં પોલીસ પોલ નહીં મારી શકે. ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં પોલીસ તંભ પણ હાઈટેક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. વાયરલેસની જેમ ઈ-બીટ સિસ્ટમ માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછા ૫ થી ૬ એન્ડ્રોઈડ ફોન સુરક્ષા સેતુ અંતર્ગત ખરીદશે. આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં ઈ-બીટ સિસ્ટમ બનાવનાર કંપની દ્વારા પ્રતાપનગર હેડ ક્વોર્ટર ખાતે ડેમો રાખવામાં આવ્યો હતો, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર ડી.જે.પટેલે જણાવ્યું હતું. (Courtesy : Sandesh)

પી.ટી.આઇ ના નવા ચેરમેન

શ્રી હોરમસજી એન. કામા પી.ટી.આઇ ના નવા ચેરમેન બન્યા



નવી દિલ્હી: 'મુંબઈ સમાચાર'ના ડાયરેક્ટર શ્રી હોરમસજી એન. કામા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)ના ચેરમેનપદે અને 'મલયાલા મનોરમા'ના ડાયરેક્ટર શ્રી રિયાદ મેથ્યુ પીટીઆઇના વાઇસ ચેરમેન તરીકે સોમવારે સર્વાનુમતે ચૂંટાયા હતા. શ્રી હોરમસજી કામા જાગરણ પ્રકાશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર મોહન ગુપ્તાના અનુગામી બન્યા છે. શ્રી મેથ્યુ વાઇસ ચેરમેનપદે તેમના અનુગામી બન્યા છે. અત્રે કંપનીની યોજાયેલી ૬૭મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં આ ચૂંટણી યોજાઇ હતી. શ્રી કામાએ ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (આઇએનએસ)ના પ્રમુખ તરીકે બે મુદત સુધી સેવા આપી છે અને હાલમાં તેઓ રીડરશિપ સ્ટડીઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. આ ઉપરાંત ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના તથા કાઉન્સિલ ઓફ ફેર બિઝનેસ પ્રેક્ટિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેમણે પ્રેસ કાઉન્સિલના સભ્યપદે બે મુદતથી સેવા આપી હતી અને તેઓ ગયા વર્ષે ફરીથી એમાં નિમાયા હતા. શ્રી મેથ્યુ મલયાલા મનોરમાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર પણ છે અને 'વીક' પણ સંભાળે છે. 'વીક' ભારતનું એક અગ્રગણ્ય ન્યૂઝ મેગેઝિન છે. તેઓએ યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડમાંથી જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી)ના સંવાદદાતા તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. શ્રી કામા, શ્રી મેથ્યુ અને શ્રી ગુપ્તા ઉપરાંત પીટીઆઇ બોર્ડના સભ્યોમાં શ્રી કે. એન. શાંત કુમાર (ડેક્કન હેરલ્ડ), શ્રી વિવેક ગોએન્કા (ઈન્ડિયન એક્સપ્રેસ), શ્રી વિનીત જૈન (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), શ્રી અવીક કુમાર સરકાર (આનંદ બઝાર પત્રિકા), શ્રી એન. રવિ (ધ હિન્દુ), શ્રી એમ. પી. વીરેન્દ્ર કુમાર (માતૃભૂમિ), શ્રી સંજોય નારાયણ (હિન્દુસ્તાન ટાઈમ્સ), શ્રી વિજય કુમાર ચોપરા (હિન્દ સમાચાર) અને શ્રી આર. લક્ષ્મીપતિ (દિનામલાર)નો સમાવેશ થાય છે. આ અગાઉ શેરહોલ્ડરોને સંબોધતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે પીટીઆઇની ન્યૂઝ સર્વિસ અને ફોટો સર્વિસે વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વ્યાપક રીતે ફેલાયેલ પીટીઆઇના ફોરેન કોરોસપોન્ડેન્ટ્સ નેટવર્કનું એજન્સીમાં મોટું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વેજ બોર્ડ એવૉર્ડની પીટીઆઇ ઉપર ગયા વર્ષે થયેલી વિપરીત અસરની પણ તેમણે યાદ દેવડાવી હતી તથા એનો બોજ સતત ચાલુ જ રહેલો છે. અલબત્ત, પરિસ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  (Courtesy : Mumbai Samachar)

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ
જેતલસર તા.15
જેતલસરના ગાયત્રી નગરમાં શ્રી સુર્યમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનું માનસ (ગૌ)કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.6 થી 13 સુધી શાસ્ત્રી હાર્દિક પંડ્યાના વ્યાસાસને ચાલેલી આ કથાના સાતેય દિવસો દરમિયાન રાત્રીના ધૂન, ભજન, કીર્તન અને લોકડાયરાના આયોજનોને ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં હાજરી આપી વધાવ્યા હતા. જેતપુરના અગ્રણી દાતાઓ બળવંતભાઈ ધામી, જગદીશભાઈ પાંભર, રાજકોટના મનહરલાલ વૃજલાલ ભટ્ટ (કોઠી કંપાઉંડ) સહીત જેતપુર બ્રહ્મસમાજના આગેવાનોએ,  ગાયત્રીનગર વાસીઓ, સમસ્ત જેતલસરના ધર્મપ્રેમી પ્રજાજનો, ગાયત્રીનગર મહિલા સત્સંગ મંડળ, રાધેકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ વિગેરે એ ડાયરાની મોજ માણી મંદિર માટે યથા શક્તિ નોંધપાત્ર ફાળા નોંધાવ્યા હતા. ભજનીકો કાળુભાઈ રાણીંગા, રાજુભાઈ કાપડી, પુનમબેન રાઠોડ, શાંતાબેન પરમાર, હાર્દિક પંડ્યા, કરિશ્મા દેશાણી, મનહર દેશાણી, કેશુભાઈ ઝાલા, ગીરધરબાપુ વિગેરી નિશ્વાર્થ ભાવે દેવાધિદેવના મંદિર નિર્માણ માટે પોત પોતાની ભજન, સાહિત્યની કળા પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખતજ ધેનુંમાનસ(ગૌ કથા) કથાનું જેતલસર ખાતે આયોજન કરનાર મુખ્ય યજમાન જીતુભાઈ જોશી, કુલદીપ જોશી સહીત જીતુભાઈ મકવાણા, તુલસીભાઈ તેજાણી, રવિ ભડલીયા, અજય તેજાણી વી કથા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં કથા પુર્ણાહુતીના દિવસે ગાયત્રીનગરની ધર્મ પ્રેમી મહિલાઓએ ભવ્ય દીપમાળા યોજી ભોળાનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો તે દેખાય છે. 
(ફોટો-સમાચાર : કશ્યપ જોશી જેતલસર-9974262812)