શ્રી હોરમસજી એન. કામા પી.ટી.આઇ ના નવા ચેરમેન બન્યા
નવી દિલ્હી: 'મુંબઈ સમાચાર'ના ડાયરેક્ટર શ્રી હોરમસજી એન. કામા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)ના ચેરમેનપદે અને 'મલયાલા મનોરમા'ના ડાયરેક્ટર શ્રી રિયાદ મેથ્યુ પીટીઆઇના વાઇસ ચેરમેન તરીકે સોમવારે સર્વાનુમતે ચૂંટાયા હતા. શ્રી હોરમસજી કામા જાગરણ પ્રકાશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર મોહન ગુપ્તાના અનુગામી બન્યા છે. શ્રી મેથ્યુ વાઇસ ચેરમેનપદે તેમના અનુગામી બન્યા છે. અત્રે કંપનીની યોજાયેલી ૬૭મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં આ ચૂંટણી યોજાઇ હતી. શ્રી કામાએ ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (આઇએનએસ)ના પ્રમુખ તરીકે બે મુદત સુધી સેવા આપી છે અને હાલમાં તેઓ રીડરશિપ સ્ટડીઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. આ ઉપરાંત ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના તથા કાઉન્સિલ ઓફ ફેર બિઝનેસ પ્રેક્ટિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેમણે પ્રેસ કાઉન્સિલના સભ્યપદે બે મુદતથી સેવા આપી હતી અને તેઓ ગયા વર્ષે ફરીથી એમાં નિમાયા હતા. શ્રી મેથ્યુ મલયાલા મનોરમાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર પણ છે અને 'વીક' પણ સંભાળે છે. 'વીક' ભારતનું એક અગ્રગણ્ય ન્યૂઝ મેગેઝિન છે. તેઓએ યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડમાંથી જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી)ના સંવાદદાતા તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. શ્રી કામા, શ્રી મેથ્યુ અને શ્રી ગુપ્તા ઉપરાંત પીટીઆઇ બોર્ડના સભ્યોમાં શ્રી કે. એન. શાંત કુમાર (ડેક્કન હેરલ્ડ), શ્રી વિવેક ગોએન્કા (ઈન્ડિયન એક્સપ્રેસ), શ્રી વિનીત જૈન (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), શ્રી અવીક કુમાર સરકાર (આનંદ બઝાર પત્રિકા), શ્રી એન. રવિ (ધ હિન્દુ), શ્રી એમ. પી. વીરેન્દ્ર કુમાર (માતૃભૂમિ), શ્રી સંજોય નારાયણ (હિન્દુસ્તાન ટાઈમ્સ), શ્રી વિજય કુમાર ચોપરા (હિન્દ સમાચાર) અને શ્રી આર. લક્ષ્મીપતિ (દિનામલાર)નો સમાવેશ થાય છે. આ અગાઉ શેરહોલ્ડરોને સંબોધતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે પીટીઆઇની ન્યૂઝ સર્વિસ અને ફોટો સર્વિસે વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વ્યાપક રીતે ફેલાયેલ પીટીઆઇના ફોરેન કોરોસપોન્ડેન્ટ્સ નેટવર્કનું એજન્સીમાં મોટું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વેજ બોર્ડ એવૉર્ડની પીટીઆઇ ઉપર ગયા વર્ષે થયેલી વિપરીત અસરની પણ તેમણે યાદ દેવડાવી હતી તથા એનો બોજ સતત ચાલુ જ રહેલો છે. અલબત્ત, પરિસ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. (Courtesy : Mumbai Samachar)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો