અનુયાયીઓ

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ

વીરપુર નજીક વીજપોલ સાથે ટેન્કર અથડાયું 
બનાવ સ્થળેથી મળી અજાણ્યા યુવાનની લાશ 
જેતપુર તા.૩
આજે સવારે જેતપુરના વીરપુર જલારામ નજીક એક ખાલી ટેન્કર વીજપોલ સાથે અથડાયું ત્યારે બનાવ સ્થળેથી એક અજાણ્યા યુવાનની લાશ પણ મળતા વીરપુર પોલીસના ફોજદાર ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરથી વીરપુર જતા વચ્ચે આવતા શ્રી ગણપતિબાપાનાં મંદિર સામે આજે સવારે રાજકોટ થી જેતપુર તરફ આવતા જીજે૧૮ એક્સ ૩૮૬૫ નંબરનું એક ખાલી ટેન્કર રોડ નીચે ઉતારી જઈ ધડાકાભેર એક વીજપોલ સાથે અથડાતા આજુબાજુનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. અને ટેન્કર ચાલક નાશી છૂટ્યો હતો.
બીજીબાજુ બનાવની જાણ થતાજ ઘટના સ્થળે પહોચેલી વીરપુર પોલીસના ધ્યાને એક અજાણ્યા પુરુષની લાશ આવી હતી. બનાવ બાદ વીજશોકથી આ યુવાનનું મોત થયું છે કે ટેન્કર અકસ્માતથી ? મૃતક ટેન્કરનો ક્લીનર છે કે કોઈ રાહદારી ? વિગેરે બાબતોની તપાસ વીરપુર પોલીસના પીએસઆઈ ગોહિલે હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર અજાણ્યા મૃતકની લાશ હાલ વિરપુરના સરકારી દવાખાનામાં કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ છે. કોઈ વાલી વારસો હોય તો વીરપુર સરકારી દવાખાનાનો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ છે.

વીરપુરની પરિણીતાએ એસીડ પી લેતા ગંભીર 
જેતપુર તા.૩
વીરપુરની એક પરિણીતાએ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર વીરપુર અપાવી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટની સરકારી હોસ્પીટલે ખસેડાઈ હોવાનું વીરપુર પોલીસે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વિરપુરના દેવપરા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ બાબુભાઈ દેગામાની પત્ની ભારતીબેન(ઉ.વ.૨૮) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે વીરપુર સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. દરમિયાન ત્યાં ભારતીબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વર્ષનો લગ્ન ગાળો ધરાવતી ભારતીએ એસીડ પીવા પાછળ કોઈ ગૃહકંકાશ કારણભૂત છે કે બીજું કોઈ કારણ ? તે અંગે ફોજદાર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ કલબ રોયલ જેતપુર દ્વારા
પશુ રોગ નિદાન કેમ્પ યોજાયો 
જેતપુર તા.૩
લાયન્સ કલબ જેતપુર રોયલ દ્વારા તાલુકાના રેશમડી ગાલોળ ગામે પશુરોગ નિદાન અને સારવાર, શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થાના કાર્યવાહકોની જહેમત વચ્ચે ડો.રૂપાપરા, ડો.અસારી, ડો.સાવલિયા વી વેટરનરી તબીબોની સેવા દ્વારા ગામ તેમજ આજુબાજુના પશુ પાલકો પોત પોતાના બીમાર પશુની સારવાર તેમજ શસ્ત્રક્રિયા કરાવી હોવાનું પ્રમુખ રાણપરીયા, પ્રોજેક્ટ ચેરમેન આંબલીયા, ધીરુભાઈ રાણપરીયા વિગેરે જણાવ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 



અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬

અવસાન નોંધ : ૩-૨-૨૦૧૬
જેતપુર : દશા સોરઠિયા વણિક સ્વ.શાંતિલાલ જીવણરામ વિરાણીના પુત્રી દીનાબેન ભાનુરાય બાબરિયા (રાજકોટ-ઉ.વ.૬૪) તે દીપકભાઈ વીરની(સ્ટેટ બેંક-નવાગઢ), કલાબેન(ગોંડલ), અંજનાબેન, કવિતાબેન(મુંબઈ)ના બહેન તા.૨૯ ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા.૪ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, "શ્રીનાથજી", એ-૫૮, પંચવટી સોસાઈટી, ધોરાજી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતપુર : લાભુબેન તુલસીભાઈ માંડવીયા(ઉ.વ.૯૭) તે કાન્તીભાઈ, ગીરધરભાઈના માતા, જીતુભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈના દાદીમાં, ગીરીશભાઈ અને ગોપાલભાઈ હંસરાજભાઈ માંડવીયાના કાકી તા.૩ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૫ ને શુક્રવારે, સાંજના ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન, ડોબરિયવાડી, અમરનગર રોડ, હરીવીલા એપાર્ટમેન્ટની બાજુમાં, જેતપુર ખાતે રાખેલ છે.
                                                                                                 કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 




જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...

જેતપુરના કણકિયા પ્લોટમાં સત્સંગ હોલ વાળો રોડ 
બનાવવામાં તંત્રની વ્હાલાદવલાની નીતિ...
જેતપુર તા.૩(કશ્યપ જોશી દ્વારા) 
જેતપુરના કણકિયા પ્લોટનો એક રોડ બનાવવા પાલિકા તંત્ર વર્ષો થયા જાણે મુહુર્ત શોધતું હોય તેમ તે રોડ બનાવાતો જ ના હોય આ રોડ પરના વેપારીઓ રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના કણકિયા પ્લોટમાં બસસ્ટેન્ડ રોડને સંલગ્ન સત્સંગ હોલ વાળો રોડ લાંબા સમય થયા અત્યંત જર્જરિત ને ધૂળિયો બની ગયો હોય મેડીકલવાળા જીતુભાઈ સહિતના વેપારીઓએ અનેક વખત જેતપુર નગર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત, મૌખિક રજુઆતો કરી છે.
પણ સંબંધિત તંત્ર આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરતા હોવાનો વેપારીઓને આક્ષેપ છે. ફરિયાદી વેપારીઓ એમ પણ જણાવે છે કે આ રોડ સામેનો નાગરિક બેંકવાળો રોડ તાજેતરમાં બીજી વખત બનાવીને તંત્રએ સત્સંગ હોલ વાળા રોડ પરના વેપારીઓ, હોસ્પિટલસુત્રો અને ધંધાર્થીઓ  સાથે ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનું સાબિત થઇ રહ્યું છે. આ વાતના ફરિયાદી વેપારીઓએ એવી પણ ચીમકી ઉચારી છે પાલિકા તંત્ર આ બાબતે કઈ જલ્દી નિર્ણય નહિ લ્યે તો વેપારીઓને ના છુટકે  આંદોલન
છેડવું પડશે. પ્રસ્તુત તસ્વીરમાં સત્સંગ હોલ વાળો ધૂળિયો રોડ દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં પણ ઝળકી

૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલી 
નવાગઢની વિપ્ર વિદ્યાર્થીની 
ખેલ મહાકુંભમાં પણ ઝળકી 
કુ.આસ્થા જીલ્લા કક્ષાએ પણ દોડમાં મેદાન માર્યું !
જેતપુર તા.૩
જેતપુરના નવાગઢમાં રહેતી અને અહીની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કુ.આસ્થા હિતેશભાઈ રાવલે અગાઉ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં તેજસ્વી દેખાવ કર્યા  બાદ કેન્દ્રીય  વિદ્યાલય સંગઠન દ્વારા યોજાયેલ  દોડ સ્પર્ધામાં ૩૦૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી, ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રહ્મસમાજ, શાળા અને જેતપુર નવાગઢનું ગૌરવ વધાર્યું હતું.
તો તાજેતરમાં ગોંડલની એશિયાટિક કોલેજ ખાતે જીલ્લા કક્ષાની ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય નંબરો મેળવી પુનઃ આગામી ખેલમહાકુંભમાં જોડાવાની પાત્રતા હાંસલ કરતા કેન્દ્રીય વિદ્યાલય તેમજ જેતપુર-નવાગઢ શહેર અને બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. કુ.આસ્થા રાવલે દોડ સ્પર્ધા ક્ષેત્રે વખતો વખત પોતાની ચિત્તા સ્ટાઈલ દોડ સાબિત કરવાનું ચાલુ રાખતા જેતપુર બ્રહ્મસમાજના ભામાશા વી.આઈ.પંડ્યા, બ્રહ્મસમાજના આગેવાનો કમલેશભાઈ પંડ્યા, કાળુભાઈ જોશી, કશ્યપ જોશી વિગેરેએ આસ્થાને અભિનંદન પાઠવ્યા છે.
ફોટો : કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..

લ્હાવો દરિયાઈ પ્રજાતિઓનો..
પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ મરીન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.  જેમાં આ વર્ષે જેતપુરના પેઢલાની ધવલ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.અરબી સમુદ્રમાં ડની આઈલેન્ડ પોઈન્ટ પર રાખવામાં આવેલ આ કેમ્પ દરમિયાન વિવિધ દરિયાઈ પ્રજાતિઓ જેવી કે ઓક્ટોપસ, ડોલ્ફિન, કોરલ્સ, શંખ કરપ્સ, લાઈવ શટલફીશએગ અને પફર ફીશ વિગેરેનો નજરોનજર લહાવો લઈને અભ્યાસ કર્યો હતો.
આ  મરીન એક્સપર્ટ અને એનજીઓ ના મેનેજીંગ ડીરેક્ટર રવિ વાઢેરે દરિયાઈ વનસ્પતિ શેવાળ અને પરવાળા વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. (ફોટો : કશ્યપ જે. જોશી - જેતપુર )

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2016

ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !

જેતપુર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કામોનો વિરોધ કરનારા 
ભાજપના 13 સભ્યો વિરુદ્ધ ગાંધીનગર ખાતે મોવડી મંડળ સમક્ષ 
રીપોર્ટ કરતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપના આગેવાનો !
પક્ષની જે થાળીમાં સાથે જમવાનું હોય તેમાં પક્ષનોજ માણસ થુંકે તે વાત કેમ ચલાવી લેવાય ? પા.પ્રમુખ બારોટ 
જેતપુર તા.2
થોડા દિવસો પહેલા જેતપુર નવાગઢ નગર પાલિકાની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા સહિતના પ્રજા વિકાસના કામો સામે વિરોધ કરનારા ભાજપના 13 સભ્યો સામે સ્થાનિક ભાજપ પ્રમુખ અને જેતપુર પાલિકા પ્રમુખ શારદાબેન બારોટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના આગેવાનો(મોવડી મંડળ)ને રીપોર્ટ કર્યાની વાતથી પાલિકાના રાજકારણમાં ઠંડી ઉડાડતો ગરમાવો આવ્યો છે.

મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલીકાની તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડની બેઠક દરમિયાન બાર-તેર પ્રશ્નોનો ઉપસ્થિત સદસ્યોમાના 13 ભાજપના અને 2 અપક્ષો મળી 15 સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ભાજપના પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઇ બારોટે સમસમી જઈને શહેર ભાજપ કિશોરભાઈ શાહને આ વાત બતાવતા તેઓ પણ મનોમન " જે પક્ષની થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ અને પક્ષનો માણસ જ આ થાળીમાં થુંકે" ત્યારે આ વાત સહવી કઠણ સમજીને જેતપુર શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોને રૂબરૂ મળીને રીપોર્ટ કર્યાની વાત શહેરમાં ફરતી થતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મૌખિક સુચના છતાં સભ્યો વિરુધ્ધમાં ગયા !
જેતપુર : નગર પાલિકાના પ્રમુખે દુખ સાથે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની બેઠક પહેલા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સખીયા અને પોરબંદરના સાંસદ રાદડીયાએ ભાજપના પાલિકા સદસ્યોને મૌખિક સૂચનાઓ આપી હતી કે, કોઈ પ્રશ્નનો વિરોધ કરવાનો નથી, તમારા જે પ્રશ્નો હશે તે બેઠક બાદ વિચારશે અને હલ કરવા પ્રયાશો કરાશે.. આમ છતાં પાલિકાના 13 ભાજપના સભ્યોએ તેરેક પ્રશ્નનો વિરોધ કરી જે મતિનું પ્રદર્શન કર્યું તે ભાજપ માટે દુખદ હોવાનું  પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? મોવડી મંડળ જાણે !!
જેતપુર: જેતપુર પાલિકાના ભાજપના 13 સભ્યોએ વિકાસના કામોમાં આડો પગ કરી પક્ષની પ્રતિભા ખરડાવવા કરેલા પ્રયાસની વાતમાં વિરોધ કરનારા રાજેશ ઉસદડિયા, સુરેશ સખરેલીયા, અરવિંદ વણઝારા, અશોક મંગલાણી, બટુક સાકરિયા, ગોપાલ ડોબરિયા, દિલીપ વડાલીયા, મહેશ ભડેલીયા, રમાબેન મકવાણા, વિજયાબેન બરવાળીયા, પ્રભાબેન આંબલીયા, રમાબેન સરવૈયા, કંચનબેન વોરા, કંચનબેન લુણાગરિયા તથા ગીતાબેન રાઠોડ વિગેરે સામે શું શિસ્તભંગના પગલા તોળાશે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં પાલિકા પ્રમુખે જણાવેલ કે અમોએ આ વાત મોવડી મંડળને લેખિત અને મૌખિક બહુ સારી રીતે જણાવી દીધી છે. હવે શું નિર્ણય લેવો ? તે મોવડીમંડળના હાથમાં છે !!
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812 

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત..

ખજૂરીગુંદાળા ગામના વિદ્યાર્થીનો 
ગળાફાંસો ખાઈ આપઘાત..
જેતપુર તા.૧
જેતપુરની શાળામાં ભણતા અને તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા એક વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની ઘટનાથી નાનકડા એવા ગામમાં શોક વ્યાપ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજૂરીગુંદાળા ગામે રહેતા અને જેતપુરની શ્રીજી સ્કુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા જગદીશ કિશોર સાકરિયા ઉ.વ.૧૮ નામના વિદ્યાર્થીએ પોતાના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા, લાગી આવતા પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેતપુર તાલુકા પોલીસના જણાવ્યા ખેતીકામ કરતા કિશોરભાઈ ભીખુભાઈ સાકરીયાને ૨ સંતાનમાં એક જગદીશ મોટો અને એક ૧૫ વર્ષની પુત્રી છે. એકના એક ભાઈના આવા પગલાથી મૃતકની બહેન અને પરિવારજનોના વિલાપે ઉપસ્થીતોની આખો ભીની કરી દીધી હતી. જેતપુર તાલુકા પોલીસે બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

અમરનગરમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો

અમરનગરમાં કેન્સર

નિદાન કેમ્પ યોજાયો

જેતપુર તા.૧

જેતપુર તાલુકાના અમરનગર ગામના આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં રાજકોટ કેન્સર સોસાઈટી દ્વારા મુખ્ય મંત્રી અમૃત્તમ યોજના અને મુખ્ય મંત્રી વાત્સલ્ય યોજના હેઠળ કેન્સર નિંદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનગરના મેડીકલ ઓફિસર ડો.હેપ્પી અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને ડો.સવાણીના હસ્તે ઉદ્ઘાટિત થયેલ આ કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓનું નિદાનની સેવા ડો.ડી.કે.પીપળિયાની મળી હોવાનું ગામના સરપંચ જગદીશભાઈ અને આરોગ્ય કેન્દ્રના વાસુદેવભાઈ શીલુએ જણાવ્યું હતું.

                                        ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

“સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે” કહીને... જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

"સાહબ આપકા એટીએમ લોક હો ગયા હૈ, પાસવર્ડ દીજિયે" કહીને...

જેતપુરના મુસ્લિમ આધેડના બેંક ખાતામાંથી

રૂપિયા ૧૮ હજાર ઉપાડી લેતા ગઠીયાઓ !

પેટીયું રળવા મજુરી કરી બેંકમાં પૈસા રાખ્યા હતા.પણ હિન્દીભાષી ગઠિયાઓએ  ભોળવીને પૈસા સેરવી લીધા ! બેંકવાળા સતોષકારક જવાબ ના આપતા હોવાની પોલીસમાં રાવ......

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના એક મુસ્લિમ આધેડને ફોન ઉપર ભોળવીને પરપ્રાંતીય શખ્શોએ તેમના જેતપુર સ્થિત બેંક ખાતામાંથી રૂપિયા ૧૮ હજાર ઉપાડી લઇ છેત્તરપીંડી કરી હોવાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ખીરસરા રોડ પર રહેતા અને મજુરી કરતા હનીફભાઈ ઈસ્માઈલભાઈ શાહમદાર ગત ૨૭-૧-૧૬ ના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર એક અજાણ્યા હિન્દીભાસી યુવાનનો કોલ આવ્યો હતો કે "સાબ આપકા એટીએમ કાર્ડ લોક હો ગયા હૈ, પ્લીઝ આપકા એટીએમ કાર્ડ નંબર ઔર પાસવર્ડ દીજિયે, શુરુ કર દેતા હું" આવા સમયે જો એટીએમ કાર્ડ બંધ થઇ જાય તો ધંધે લાગી જઈએ તેવું મનોમન વિચારી હનીફભાઈએ હિન્દીભાષી યુવાનને તેમના એટીએમ કાર્ડ નંબર અને પાસવર્ડ આપી દીધા હતા.

દરમિયાન પાંચ જ મીનીટમાં હિન્દીભાસી શકશે એકવાર રૂપિયા ૯૦૦૦ અને બે વાર રૂપિયા ૫૦૦૦-૫૦૦૦ ઉપાડી લીધાના મેસેજ મળતા આ મુસ્લિમ આધેડ મૂંઝાયા હતા. બીજીબાજુ તેમને અહીના લાદી રોડ સ્થિત ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં તપાસ કરતા રૂપિયા ૧૮૦૦૦ ઉપડી ગયાનું અને આ બાબતે બેંકસુત્રોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા હનીફભાઈએ આ વાતની જેતપુર શહેર પોલીસ અને રાજકોટ જીલ્લા પોલીસેને લેખિત ફરિયાદ કરી છે. અમુક બેંકસુત્રોએ જણાવેલ કે હિન્દુસ્તાનની કોઈ પણ બેન્કમાંથી એટીએમ કાર્ડ લોક થઇ ગયું તેવો કોઈ દિવસ કોઈ ગ્રાહકને ફોન નથી કરાતો. એક વખત જે તે બેન્કમાંથી એટીએમ કાર્ડ ગ્રાહકને સોંપાઈ કે અપાઈ ગયા પછી એટીએમના નંબર અને પાસવર્ડ સુરક્ષીત રાખવા જે તે ગ્રાહકની જવાબદારી છે. જયારે બેન્કિંગ કામકાજ સાથે સંકળાયેલા અમુક આગેવાનાઓ જણાવે છે કે, હિન્દુસ્તાનમાંથી ગમે તે જગ્યાએથી કોઈ પણ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વહેવાર થાય એટલે સંબંધિત બેન્કને સો ટકા ખબર પડી જાય કે ક્યાંથી પૈસા ઉપડયા ? પણ કામગીરીઓના ભારણમાં કે આળસ નીચે દબાયેલા બેન્ક્સુત્રો આવી રીતે ઘણી વખત છેતરાયેલા ગ્રાહકો સાથે મનસ્વી-ઉડાઉ વર્તન કરતા હોય ઉપરી બેંકસુત્રોએ કોઈ કડક અમલવારી કરાવવી જોઈએ !

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર