દ્વારકામાં મંદિરને સીસીટીવીરૂપી સુરક્ષા ચક્ર : નવા ૩૫ આધુનિક કેમેરા લગાવાશે
જામનગર ઃ કૃષ્ણ ભૂમિ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશનું મંદિર પણ આતંકવાદીઓના લિસ્ટમાં હોવાની સમયાંતરે બહાર આવતી વિગતો વચ્ચે આ મંદિરને નવી ટેકનોલોજીના સહારે વધુ સુરક્ષિત બનાવવાનું સરકારે બીડું ઝડપ્યું છે. આ માટે રૂા. ૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ તે જૂના હોવાથી અને પરિસરમાં નવીનીકરણ કરાતા નવા કેમેરા લગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. તમામ જૂના કેમેરા હટાવી તેના સ્થાને પાંત્રીસ જેટલા નવા આધુનિક સીસી ટીવી કેમેરા લાગશે. મંદિર સંકુલ તથા તેની બહારનો વિસ્તાર પણ કેમેરાની નજરમાં કેદ થશે એમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, તેના મોનીટરીંગ માટે કન્ટ્રોલરૂમ સ્થાપવામાં આવશે. કેમેરામાં કેદ થતા દશ્યોનું, ઈન્ટરનેટના માધ્યમથી જામનગર જિલ્લા પોલીસ વડા તથા ગાંધીનગરમાં ગૃહ વિભાગ દ્વારા સીધું નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ છે. હવે પુરાતત્ત્વ વિભાગ તેના પર મંજૂરીની મહોર મારશે ત્યારબાદ તરત પ્રોજેક્ટનું કાર્ય શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં આવેલા દેવાધિદેવ સોમનાથના મંદિરમાં પણ સેંકડો કેમેરા લગાવી તેની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.