અનુયાયીઓ

બુધવાર, 26 ડિસેમ્બર, 2018

વીજચોરો પકડતા નથી ને ખેડૂતોને હેરાન કરે છે ધ્રોલમાં વીજકંપની સુત્રોની ખોટી કનડગત સામે ડેપ્યુટી કલેકટરને ખેડૂતોની રજુઆતો

તંત્રના માણસો અને જુનિયર એન્જીનીયર સામે આક્ષેપો : તાત્કાલિક પગલા ભરવા માંગ

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬
ધ્રોલ વીજતંત્ર દ્વારા અમુક ગ્રાહકોને જાણીજોઇને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સાથે ગઈકાલે ધ્રોલના ખેડૂતો ડેપ્યુટી કલેકટર કચેરી પર દોડી જઈને આવેદન આપ્યું હતું. અહી મૌખિક ફરિયાદો થઇ હતી કે, સાચા વીજચોરોને પકડવા વીજતંત્ર વામણું સાબિત થાય છે અને જે ખેડૂતો નીતિમતાથી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને કનડગત કરાય છે. આવેદનમાં વીજતંત્રનો સ્ટાફ અને જુનિયર એન્જીનીયર રાજા સામે વાણી વિલાસના આક્ષેપો થયા છે.

વિગતો મુજબ ધ્રોલ વાડી વિસ્તારમાં રહેતા નિશાબેન ભરતભાઈ પરમાર આજથી એકાદ મહિના પહેલા તેમના ઘરે એકલા હતા ત્યારે વીજ કંપનીના બે ત્રણ માણસો ચેકિંગના બહાને ઘરમાં ઘુસી જઈને સત્તાનો રોફ બતાવ્યો હતો.





આ બાબતે રજુઆતો કરવામાં આવે છે તો જુનિયર એન્જીનીયર રાજા દ્વારા ખેડૂતો સાથે વાણીવિલાસ કરીને ધમકાવાય છે. ખેડૂતોએ ઉગ્રાવેશે આક્ષેપ કર્યો હતો કે, આ જુનિયર એન્જીનીયરના ત્રાસથી મહિલાઓને એકલી ઘરે મુકીને ખેતીકામે જી શકાતું નથી. તેમની સામે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતોએ બુલંદ માંગણી કરી હતી.
સંતાનોના લગ્નની અને કર્જની ચિંતામાં ડૂબેલા
મોટા ઈટાળા ગામના પ્રોઢ ખેડૂતનો આપઘાત

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામના એક પ્રોઢ ખેડૂતે  ગઈકાલે દેવાના કરજમાં ડૂબી ગયો હોય, સંતાનોના લગ્ન કેમ કરી શકીશ ? તેવી ચિંતામાં આવેશમાં આવી જઈને ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં શોક ફેલાયો છે. ધ્રોલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશ પીએમ માટે દવાખાને ખસેડાવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ધ્રોલ પંથકના મોટા ઈટાળા ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના ૫૦ વર્ષીય પ્રોઢે ગઈકાલે પોતાની વાડીએ પીપરના વૃક્ષ સાથે દોરડું ભરાવી ગળાફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર જાગી હતી.

બનાવ સ્થળે પહોચેલી ધ્રોલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, રમેશભાઈ કરજમાં ડૂબી ગયા હતા. અને સંતાનોના લગ્નની સતત ચિંતામાં રહેતા હોય તેમણે આવું પગલું ભરી લીધાનું મનાય છે. પોલીસે રમેશભાઈના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો. પોલીસના કહેવા મુજબ રમેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી છે પણ તેમાં પણ દેવું અને સંતાનોના લગ્ન પ્રશ્નનો ઉલ્લેખ કરાયો છે. બનાવે નાના એવા મોટા ઈટાળા ગામમાં શોક સાથે ચકચાર જગાવી છે.

ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સામે વિરોધ વંટોળ સરપંચો સામે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપો

જો પરિસ્થિતિ ના સુધરે તો આંદોલન છેડાશે : રાજભા જાડેજા

(સંજય ડાંગર) ધ્રોલ તા.૨૬

ધ્રોલ તાલુકા પંચાયત કચેરીમાં જ્યારથી ભીમજીભાઈ મકવાણાએ પ્રમુખનું સુકાન સંભાળ્યું છે ત્યારથી તેમની નીતિ, રીતી અને કાર્યશૈલી સામે વ્યાપક વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. રાઘવજીભાઈ ના કહ્યાગરા એવા આ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા યેનકેન પ્રકારે વિકાસના કામોમાં આડો પગ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

સરપંચોના આક્ષેપો છે કે તેઓની સાથે આ પ્રમુખ મહાશય ભેદભાવ ભરેલી નીતિ રાખે છે. મનરેગાના કામો લઈને આવતા સરપંચોના બીલો અટકાવાય છે. આ બાબતે ભૂતકાળમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆતો કરાતા કહેવાય છે કે જામનગર નિયામક દ્વારા ટીડીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. રાજભાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખે માત્ર ને માત્ર ભાજપના સરપંચોને હેરાન કરવાને બદલે વિકાસના કામોમાં ધ્યાન આપવું જોઈએ. એટલુજ નહિ કોઈનો હાથો પણ નાં બનવું જોઈએ.

જો ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખની આવી નીતિ અને રોજ બરોજના વિવાદની પરિસ્થિતિ હલ નહિ થાય તો, તેઓ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી સામે આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી રાજભા જાડેજાએ ચીમકી આપી છે.