બાળક કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં સારવાર હેઠળ : કુદરતી
તકલીફને દુર કરવા આજે બાળક પર ઓપરેશન ક્રિયા
રાજકોટ તા.૨૫
રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખખડાબેલા ગામે એક આદિવાસી વૃદ્ધાએ પોતાના રાજ્યની અંધશ્રદ્ધાને અહી પણ પુરવાર કરવા ૪ દિવસના પૌત્રને ધગધગતા સળીયાના ડામ દીધાની ઘટના બહાર આવતા જાણકારોમાં હાયકારા સાથે અરેરાટી ફેલાઈ છે. જો કે નવજાત બાળકને કુદરતી તકલીફ હોય આજે તેના પર કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં ઓપરેશન ક્રિયા હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ખાતે નંદુભાઈ અરવિંદસિંહ દરબારની બાદિયે રહીને ખેત મજુરી કરતા આદિવાસી પરિવારના લક્ષ્મીબેનને ચારેક દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ બાલકા ગુરુશંકા કરતો ના હોય, ઝાડાની તકલીફ હોવાનું માની લઈને ઇન્દરસિંગ સિંગલાસિંગ આદિવાસીના ૪ દિવસના બાળકને દાદી ગજરબેને ધગધગતા સળીયાના ડામ દેતા બાળકે કાળો કજીયો કરી સીમખેતર વિસ્તાર ગુંજાવી દીધો હતો.
બીજીબાજુ બાળકને આફરો ચડે તો બાળકને ડામ દઈએ તો આફરો ઉતરી જાય તેવી પોતાના પરપ્રાંતીય વિસ્તારની અંધશ્રદ્ધામાં, રીવાજમાં રાચતા દાદીએ અહી પણ આવી અંધશ્રદ્ધા સાથે માત્ર ૪ દિવસના બાળકને દામ દીધાની ઘટના જાણી ગયેલા લોકોમાં હાયકારા સાથે અરેરાટી વ્યાપી હતી. આ બાળકને સારવાર માટે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં લઇ અવાતા આ બાળક કુદરતી થપાટનો ભોગ બન્યો હોય તેમ ગુરુશંકાની જગ્યાજ ના હોવાની વાત બહાર આવતા તબીબી સુત્રો પણ ચોંકી ગયા હતા. હાલ આ બાળક પર આજે ઓપરેશન ક્રિયા કરી ગુરુશંકા માર્ગ ખુલ્લો કરવા તબીબો જહેમત ઉઠાવશે તેવું જાણવા મળે છે.
અત્રે એ નોંધનીય છે કે આજે દેશ અને રાજ્યમાં તેમજ રાજકોટ જીલ્લામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. સરકાર પણ કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો આપી અંધશ્રદ્ધાથી કાયમી દુર રહેવાની ચેતવણી આપતી હોય છે. પણ નીરક્ષર પરિવારો આવી જાહેરાતોથી બિલકુલ દુર હોય, અંધશ્રદ્ધાના બનાવો બનતા રહે છે. આ બનાવમાં દાદી સામે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ ? તે સમય જ બતાવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો