અનુયાયીઓ

મંગળવાર, 30 એપ્રિલ, 2013

‘‘આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . સુકકા જળાશયોમાંથી માટી ખોદીને વિનામૂલ્‍યે ખેડૂતોને આપવી એટલે આફતને અવસરમાં પલટવાનો મોકો રાજયભરના જળાશયોનો અમૂલ્‍ય કાંપ મેળવીને ધન્‍ય થતા ધરતીપુત્રો

            ચાલુ વર્ષે રાજયના મોટાભાગના વિસ્‍તારોમાં અછતની સ્‍થિતિ પ્રવર્તે છે. પીવાના અને સિંચાઇના પાણી માટે વપરાશમાં લેવાતા મોટા ભાગના જળાશયોમાં કાંકરા ઉડે છે. ધરતીપુત્રો પાણી વગર શું પકવવું, એની ચિંતામાં અડધા થઇ રહયા છે. આવી વિપરિત પરિસ્‍થિતિમાંથી માર્ગ કરવા અને આવી પડેલ કુદરતી આફતને અવસરમાં પરિવર્તિત કરવા રાજય સરકારે અનોખું અભિયાન આદર્યુ છે- સુકાભઠ્ઠ પડેલા જળાશયોનું ખોદકામ કરી આ અમૂલ્‍ય કાંપવાળી માટી ખેડૂતોને વિના-મૂલ્‍યે આપવાનુ...

સિંચાઇ અને પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. ચાલુ વર્ષે જયારે રાજયભરના જળાશયો ખાલી પડયા છે, ત્‍યારે જળાશયોના તળિયે પડેલો આ અમૂલ્‍ય કુદરતી કાંપ રાજય સરકાર પોતાના ખર્ચે ખોદાવીને રાજય-ભરના ખેડૂતોને સાવ મફતમાં આપે છે. આમ કરવાથી એક કાંકરે ચાર પંખી મરે છે.

      ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની ક્રિયામાં ગામડાના માણસોને રોજી-રોટી મળે છે અને રોજગારીનું સર્જન થાય છે. ખેડૂતોને આ માટી નિઃશુલ્‍ક મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જશે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટાપાયે થશે એ લટકામાં ! ખોદકામ કરવાથી જળાશય ઉંડુ જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે.

રાજકોટ જિલ્‍લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી-૧ જળાશય ખાતે રાજય સરકાર દ્વારા રોજના ત્રણ ઘન મીટર લેખે માટી ખોદીને આજુબાજુના છત્તર, હરબટીયાળી, હરિપર, ગણેશપર, ભૂતકોટડા વગેરે ગામોના ખેડૂતોને આપવામાં આવી રહી છે. ૧૩મી માર્ચ-૨૦૧૩થી ચાર જેસીબી મશીન દ્વારા ડેમી-૧ના રીવરબેડ, વિસ્‍તારમાં ખોદકામ કરીને અત્‍યાર સુધીમાં કૂલ ૩૫ હજાર ઘન મીટર માટી ખેડૂતોને અપાઇ ચુકી છે.

ડેમી-૧ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જી.વી. ઉઘરેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ૧૯૫૬માં બનેલા ડેમી-૧ ડેમમાંથી ખોદકામ કરવા માટે નિયમ મુજબની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ રૂ. ૬૪ લાખના ખર્ચે ખોદકામ કરવાનો કોન્‍ટ્રેકટ અપાયો છે. સવારના સાત વાગ્‍યાથી રાતના આઠ વાગ્‍યા સુધી આ કામગીરી કરવામાં આવે છે. જે દરમિયાન આસપાસના ૧૩ ગામોના ખેડૂતો અંદાજે ટ્રેકટરના હજારેક ફેરા કરી ખોદેલી માટી લઇ જાય છે. શ્રી ઉઘરેજાના જણાવ્‍યા અનુસાર આ ખોદકામ પૂર્ણ થયા બાદ ડેમી-૧ સિંચાઇ યોજનાની જળસંગ્રહ શકિતમાં સાડા સાત મીટર ઘન ફુટનો વધારો થશે, જેનાથી ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકશે અને ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી ઉપલબ્‍ધ બનશે.

સ્‍થાનિક ખેડૂતોએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્‍યું હતું કે, અમારા માટે તો આ માટી કાચા સોના જેવી છે, જેને ખેતરમાં નાખવાથી ઊપજ પણ વધશે અને મોંઘા ભાવના ખાતરોનો ખર્ચ પણ ઘટી જશે.

જે ખેડૂતો સધ્‍ધર છે અને માટી ખોદવાનો ખર્ચ ઉઠાવી શકે છે, તેવા ખેડૂતોને ખાતેદારના પુરાવાની ઝેરોક્ષ નકલ રજૂ કરવાથી ખાનગી રીતે ખોદકામ કરવાની મંજૂરી પણ રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. ડેમી-૧ સિંચાઇ યોજના ખાતે હાલ ત્રણેક જગ્‍યાએ આવુ ખાનગી ખોદકામ ચાલી રહયું છે. ખાનગી ખોદકામ કરતા ખેડૂતો આ માટીનો ઉપયોગ ખેતી પૂરતો જ મર્યાદિત રાખે, અન્‍ય કોઇપણ પ્રકારના ઔદ્યોગિક હેતુ માટે આ માટી ન વાપરવામાં આવે તેની ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે.

ગાંઠના પૈસે માટી ખોદીને રાજયભરના ધરતીપુત્રોને આપી રાજય સરકાર ડેમોની સંગ્રહક્ષમતા વધારવા અને ખેડૂતોનું ઉત્‍પાદન વધારવા કૃતનિશ્ચયી છે. સાવ નકામી માટીનો બહુમૂલ્‍ય ઉપયોગ થવાથી એ વાતની ચોકકસ પ્રતીતિ થાય છે કે ''આમકે આમ- ગુટલીયોંકે ભી દામ. . .''

ટિપ્પણીઓ નથી: