અનુયાયીઓ

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

રાજકોટમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી 8 વર્ષની બાળકી પૂજાનું ભેદી સંજોગોમાં અપહરણ : પોલીસ તપાસ શરુ



બાલાશ્રમ સંચાલકો ચિંતિત : છેલ્લા છ મહિના થયા જુનાગઢથી ટ્રાન્સફર થઈને પૂજા રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમમાં આવી હતી : પૂજા ત્રીજું ધોરણ ભણતી હતી : માલવિયાનગર  પોલીસ દ્વારા તપાસ શરુ

રાજકોટ તા.૩૦
ગઈકાલે રાજકોટમાંથી જસાણી સ્કુલ (બાલાશ્રમ)ના વિદ્યાર્થી એવા 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સાંજે સ્કુલ ખાતેથી જ ભેદી સંજોગોમાં અપહરણ થઇ ગયાની ઘટના બની જતા બાલાશ્રમ સંચાલકોમાં દોડધામ સાથે ચિંતા પ્રસરી છે. સૌ પ્રથમ પોલીસમાં પૂજા ગુમ થયાની જાણ કરાયા બાદ માલવિયાનગર પોલીસે આ બનાવમાં બાળકીના અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમ( એ.વી.જસાણી સ્કુલ)માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી પુજાબેન રતનભાઈ બાદી નામની 8 વર્ષની બાળકી ગઈકાલે બપોરના ૧૨-૩૦ થી સાંજના ૬-00 વાગ્યા દરમિયાન ભેદી સંજોગોમાં ગુમ થતા બાલાશ્રમ સંચાલકો સધન શોધખોળ કરી હતી. પણ પૂજા ક્યાય જોવા નાં મળતા માલવિયા નગર
પોલીસ સ્ટેશનમાં પૂજા ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

દરમિયાન રાત્રી સુધી પૂજાની તપાસમાં લાગેલા બાલાશ્રમ સંચાલકોની શોધખોળ બાદ પણ પૂજાનો પત્તો નહિ લાગતા બનાવની ગંભીરતા સમજીને કાઠીયાવાડ બાલાશ્રમના ભાનુબેન નામના મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં પુજાના અપહરણની ફરિયાદ નોંધાવતા માલવિયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એન.ચુડાસમાના જણાવ્યા અનુસાર રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા એ.વી.જસાણી સ્કુલ(કાઠીયાવાડ બાલાશ્રમ)માંથી ગુમ થયેલી પૂજાએ બ્લુ કલરનું ટીશર્ટ અને બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.

બોયકટ વાળ ધરાવતી પૂજે પગમાં સફેદ મોજા અને બંને કાનમાં ત્રિકોણાકાર પીળી ધાતુની બુટ્ટી પહેરેલી છે. કોઈને ભાળ મળે તો માલવિયા નગર પોલીસનો સંપર્ક સાધવા આ બનાવના તપાસનીસ પીએસઆઈ જે.એ.ખાચરે લોકોને અનુરોધ કર્યો છે.

માલવિયા નગર પોલીસને પૂજા ગુમ થઇ હોય અને તેણીનું અપહરણ થઇ ગયાની ફરિયાદ નોંધાવનાર ભાનુબેને જણાવેલ કે, સાંજે બાળકોના છૂટવાના સમયે કોઈ પૂજાને ભોળવીને લઇ ગયું હોય તેવું જણાય છે. તેઓએ એવું પણ જણાવેલ કે, ૬ મહિના પહેલા જ જુનાગઢ બાલાશ્રમ ખાતેથી ટ્રાન્સફર કરીને પૂજાને રાજકોટ લવાઈ હતી. જે ગઈકાલ સાંજથી ગુમ થયેલી જોવા મળતા તેના અપહરણની ફરિયાદ માલવિયા પોલીસમાં નોંધાવાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે આ જ બાલાશ્રમમાંથી અગાઉ પણ ધોળેદિવસે બાળકો વંડી ટપી બાલાશ્રમમાંથી ભાગી જવાની ઘટના બની હતી. ત્યારે સંબંધિત સંચાલકોએ બનાવની વિગતો આપવામાં રીતસરની સંતાકુકડી રમી હતી. આજે ફરી એક ધોરણ ૩ ની વિદ્યાર્થીની એવી પૂજા નામની 8 વર્ષની બાળકીનું અપહરણ થઇ જતા બાલાશ્રમ સંચાલકોએ બાળકોની સાર-સંભાળમાં થોડી વધુ જાગૃતતા અને તકેદારી રાખવી જોઈએ તેવું જાગૃત માણસો કહે છે.

બનાવની ફરિયાદ બાબતે માલવિયા નગર પોલીસના પીઆઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂજા નામની બાળકીનું કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરીને લઇ ગયો હોવાનો ગુનો નોંધ્યા બાદ પોલીસ તંત્રે બાલાશ્રમ ખાતે પહોચી જરૂરી વિગતો મેળવી છે. આજુબાજુના અને બાલાશ્રમના સીસી કેમેરા ચેક કરવા કવાયત આદરવામાં આવી છે. આ સિવાય ગોંડલ રોડ પર પોલીસે મુકેલા સીસી કેમના ફૂટેજો પણ તપાસાઈ રહ્યા છે. આ બાબતે જે હોય તે પણ રાજકોટમાંથી 8 વર્ષની વિદ્યાર્થીની બાળકીનું ગઈકાલે સમીસાંજે અપહરણ થઇ ગયાની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.

ટિપ્પણીઓ નથી: