અનુયાયીઓ

શુક્રવાર, 30 નવેમ્બર, 2018

ગાયકવાડીમાં રાજન આણી મંડળીનો આતંક સિંધી પરિવારનાં 4 સભ્યો પર કર્યો હુમલો



સિંધી પરિવારે પ્ર.નગર પોલીસમાં અરજી કરી : રાજનનાં ત્રાસ વિરૂઘ્ધ પોલીસને આવેદનપત્ર આપવાની થતી તૈયારીઓ


શહેરનાં ગાયકવાડી વિસ્તારમાં પોતાના ઘરેથી મંદિર તરફ જઇ રહેલા સિંધી પરિવારનાં એક મહિલા સહિત 4 સભ્યો ઉપર હુમલો કરનાર રાજન અને તેમના સાગ્રીતો વિરૂઘ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં અરજી કરી છે. આ સિવાય સિંધી સમાજના આગેવાનો આગામી દિવસોમાં રાજન આણી મંડળીનાં ત્રાસ સામે પોલીસ કમિશ્નર સહિતનાં પોલીસ તંત્રને આવેદનો આપવા તૈયારીઓ કરતાં હોવાની વિગતો મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગાયકવાડી વિસ્તારની શેરી નં.પમાં રહેતા અંજનાબેન હરીદાસભાઇ વાઘવાણી ગઇકાલે પોતાના ઘરેથી પોતાના પરિવારજનો પતિ હરીદાસ જવાહરભાઇ વાઘવાણી, પુત્ર વિનિતભાઇ, ભાઇ સચ્ચાનંદભાઇ વિ. સાથે મંદિર તરફ જતા હતા. ત્યારે ગેબનશા પીરની દરગાહ પાસે, કોલસાવાડી વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યાએ આ વિસ્તારનાં રાજન, સિકંદર અને બે અજાણ્યા મળી કુલ 4 શખ્સોએ તેઓને આંતરી ખોટી વાતો ઉપજાવી, ઝગડો કરી હુમલો કર્યો હતો.


બનાવ બાબતે અંજનાબેને જણાવેલ કે રાજન નામનો શખ્સ ખોટી રીતે તેમની પાછળ પડયો હોય, તેમજ તેમના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાલતા ચાલતા આતંક મચાવે છે. અંજનાબેને જણાવ્યું હોય કે ભૂતકાળનાં કોઇ વેરઝેર કે મનદુ:ખ વગર રાજન સહિતનાં શખ્સો તેઓના પરિવારજનોને ત્રાસ આપી રહ્યા હોય સંબંધીત પોલીસે તપાસ કરવી જોઇએ. બીજી બાજુ રાજન સહિતનાં સાગરીતોના ખોટા આતંક/ત્રાસ સામે સિંધી સમાજનાં આગેવાનોએ એકઝૂટ થવાનો નિર્ણય કરી, ગુરૂ ગુલરાઝ કુટીયા સાહેબ, શ્રી ઝુલેલાલ મંદિર પાસે એકત્ર થઇને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ કમિશ્નરને આવેદન આપવાની તૈયારીઓ આરંભી હોવાનું સિંધી સમાજનાં આગેવાનો જણાવે છે. ત્યારે પોલીસ આ બાબતે સિંધી પરિવારે કરેલી અરજી અંગે ગુનો નોંધશે કે કેમ? તે સમય જ બતાવશે.

ટિપ્પણીઓ નથી: