ભુજ,શનિવારઃ કચ્છ જિલ્લાના જુદા-જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી માછીમારોને વાવાઝોડા, વરસાદની ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. માછીમારોને મે મહિનાથી દરિયામાં જવું વિશેષ જોખમરૂપ હોય છે. મત્સ્યોદ્યોગખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા મે માસથી માછીમારોને સમુદ્રમાં જવા પરવાનગી આપતું નથી. અનધિકૃત રીતે માછીમારો સમુદ્રમાં જાય તો જાનનું જોખમ ઊભું થવા સંભવ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. થેન્નારસને કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતએ તા. ૧૫/૮/૨૦૧૧ સુધીના સમય દરમિયાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં નહીં જવા અને કોઇપણ બોટની અવર-જવર નહીં કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી-અર્ધ લશ્કરી દળો, પોલીસદળની બોટોને આ હુકમ લાગુ પડશે નહીં.
પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું
ભુજ,શનિવારઃ ત્રાસવાદી કે અસામાજિક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવીને જાહેર સલામતી અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. થેન્નારસને તા. ૨૦/૬/૧૧ થી તા.૧૮/૮/૨૦૧૧ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો