અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

છેલ્લા દશ વર્ષમાં ગુજરાત સરકારે ૨૨ નવા વિશ્વ વિઘાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છેઃ પ્રાથમિક શિક્ષણ માટે ગુજરાતને કાણી કોડીની મદદ ન કરનાર કેન્દ્ર સરકારને ગુજરાત સરકારની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી - મંત્રી શ્રીમતી

વડોદરા, ૧૭ જૂન, (શુક્રવાર) છેલ્લા એક દશકા દરમિયાન ગુજરાત સરકારે માનવ વિકાસ સૂચકાંકને સુધારવા ફોરેન્સીક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી પહેલરૂપ યુનિવર્સિટીઓ તેમજ ઉઘોગની જરૂરીયાતોને અનુરુપ ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાયી છે. ભારત સરકાર દેશના અન્ય રાજયોને પ્રાથમિક શિક્ષણ માટે અનુદાન આપે છે. પરંતુ ગુજરાતને કાણી કોડી મળતી નથી. ગુજરાત પ્રાથમિક શિક્ષણનો ખર્ચ જાતે ઉઠાવે છે. ત્યારે ભારત સરકાર કે તેના શિક્ષણ મંત્રીને ગુજરાતની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. તેમ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું છે. તેમણે જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ કાયાવરોહણ અને ચાંદોદ તથા મંડાળા અને તેનતળાવ ગામોમાં નવો શાળા તેમજ આંગણવાડી પ્રવેશ મેળવનારા દિકરા - દિકરીઓને આવકાર્યા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગામેની અતિ ઉચ્ચ શિક્ષણ મેળવનારી દિકરીઓને પુસ્તક અને ચાંદીનો સિક્કો આપીને સન્માનીત કરવાની સાથે આંગણવાડીઓ માટે ટ્રાઇસીકલ તેમજ રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તમામ શાળાઓને પુસ્તક સંપુટ તેમજ શિક્ષણ સમિતિ અને પાઠયપુસ્તક મંડળ વતી પ્રવેશાર્થીઓને દફતર અને પાઠયપુસ્તક તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અતુલ પટેલ વતી રેઇનકોટસની ભેટ આપી હતી. પ્રત્યેક કાર્યક્રમનું સંચાલન તેજસ્વી દિકરીઓએ કર્યું હતું મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
શિક્ષકો બાળકોને મેડિકલ, ઇજનેરી, પોર્ટ મેનેજમેંટ હોટલ મેનેજમેંટ જેવા નવા અભ્યાસક્રમો અને શિક્ષણ સંસ્થાઓની માહિતી આપે તેવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ગુજરાતની શિક્ષણના ક્ષેત્રમાં નવી પહેલોને માર્ગદર્શક ગણાવીને, અન્ય રાજયોને તેને અનુસારવાની સલાહ આપે છે. પણ અન્ય રાજયોની માફક ગુજરાતને પાઠયપુસ્તકો કે શિક્ષક પગારની રકમ આપતી નથી. ધોર અન્યાય થવા છતાં ગુજરાતે શૈક્ષણિક વિકાસનો મક્કમ સંકલ્પ સાકાર કર્યો છે. જેના પગલે ૨૦૦૧ની સરખામાણીમાં ૨૦૧૧માં મહિલા સાક્ષરતાનો દર ૫૮ ટકા થી વધીને ૭૪ ટકા થયો છે. સન ૨૦૨૧ સુધીમાં ગુજરાત સરકાર ૧૦૦ ટકા મહિલા સાક્ષરતા સિધ્ધ કરવાનું ધ્યેય રાખે છે.
માજી ધારાસભ્યશ્રી સી.એમ.પટેલ તથા જિલ્લા પક્ષ અધ્યક્ષશ્રી બાળકૃષ્ણ ઢોલારે ઔઘોગિક વિકાસ, સાંસ્કૃતિક સંવર્ધન અને લોકભાગીદારીના નવા વાતાવરણની માહિતી આપી હતી. કાર્યક્રમોમાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓ માટેના પોષક આહારોની માહિતી આપવામાં આવી હતી. પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી અતુલ પટેલ, તાલુકા પંચાયત અધ્યક્ષ હરીશ પટેલ, સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો અને મહિલા અગ્રણીઓ પ્રવેશોત્સવમાં સામેલ થયાં હતા.

ટિપ્પણીઓ નથી: