અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

સાક્ષરતાદર વધારવાની દિશામાં શાળા પ્રવેશોત્‍સવને મહત્‍વનું પગલું ગણાવતા રાજયસભા સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી મોરબી તાલુકાનાં લાલપર, મકનસર, રફાળેશ્વર, લીલાપર અને રવાપર ગામોના ૩૪૬ બાળકોને શાળા પ્રવેશ કરાવાયો

રાજકોટ તા. ૧૭ જુનઃ રાજયભરમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે રાજયસભાના સાંસદશ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબી તાલુકાનાં વિવિધ ગામોએ કૂલ ૩૪૬ બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ કરાવ્‍યો હતો અને જણાવ્‍યુ હતું કે સાક્ષરતાદર વધારવાની દીશામાં શાળા પ્રવેશોત્‍સવ ખૂબ મહત્‍વનું પગલું છે. આથી વાલીઓએ પોતાના બાળકોને અચૂક ભણાવવા જોઇએ.
લાલપર ગામે ર૩ કુમારો અને ૧૭ કન્‍યાઓ મળી કૂલ ૪૦ બાળકોને શાળા પ્રવેશ કરાવતાં સાંસદશ્રી રૂપાણીએ જણાવ્‍યુ હતું કે શિક્ષણએ વિકાસનું અભિન્ન અંગ છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આ વાતને સુપેરે સમજે છે. આથી જ છેલ્‍લા નવ વર્ષથી પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણીના કાર્યક્રમો યોજાય છે. બાળકોને ભણાવવા અને તેમને વચ્‍ચેથી ભણતર પડતુ ન મુકાવવા તેમણે વાલીઓને હાર્દિક અનુરોધ કર્યો હતો. જયારે મકનસર ગામે શ્રી રૂપાણીએ શિક્ષણમાં દીકરા-દીકરી વચ્‍ચે ભેદભાવ ન રાખવા અને તેમને સુચારૂ અભ્‍યાસપૂર્ણ વાતાવરણ પુરુ પાડવા અનુરોધ કર્યો હતો.
સાંસદશ્રી રૂપાણીએ મકનસર ખાતે ૯૪ બાળકોને, રફાળેશ્વર ખાતે ૩૮ બાળકોને, લીલાપર ખાતે પ૪ બાળકોને અને રવાપર ખાતે ૧૨૦ બાળકો મળી કૂલ ૩૪૬ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. મોરબીના આસીસ્‍ટન્‍ટ કલેકટર સુશ્રી એસ. છાકછુંવાક, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારઘી, જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખશ્રી દેવિકાબેન મહેતા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો આપ્‍યા હતા.

ટિપ્પણીઓ નથી: