અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

જ્ઞાન અને માહિતીના યુગમાં શિક્ષણ અને માવન વિકાસ સૂચકાંકના માધ્‍યમથી ગુજરાતને શકિતશાળી બનાવવા પ્રતિજ્ઞાબધ્‍ધ - આરોગ્‍યમંત્રીશ્રી ધંધુકા તાલુકાના ગૂંદી, અરણેજ અને ગણપતિપુરા ગામે શાળા પ્રવેશોત્‍સવ મહોત્‍સવ ઉજવાયો

અમદાવાદ :
આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે અમદાવાદ જિલ્લાના ભાલપ્રદેશમાં ધંધુકા તાલુકાના ગુંદી, અરણેજ અને ગણપતિપુરા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહીને સરસ્‍વતિના નવા બાળપૂજારીઓ તરીકે બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્‍યો હતો.
ગામના મહાજન, જિલ્લાના આગેવાનો અને ગ્રામજનોના ઉત્‍સાહ ભર્યા વાતાવરણમાં યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવમાં સંબોધન કરતાં આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, છેલ્લા નવ વર્ષથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્‍સવે નવુ સ્‍વરૂપ ધારણ કર્યું છે. રાજ્‍યના શાળાએ જવા લાયક દરેક બાળકને શોધી કાઢીને, ઘેર ઘેર જઇને નિશાળે પ્રવેશ અપાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. કોઇ બાળક નિરક્ષર કે ભણતર વગરનું રહી ન જાય તેવા ધ્‍યેયને સાકાર કરવા મંત્રીશ્રીઓ સહિત સરકારના ઉચ્‍ચ અધિકારીઓ ગામે-ગામ ખૂંદીવળીને તમામ ગામે ખૂણે-ખૂણે પહોંચી જઇને આ કાર્ય હાથ ધર્યું છે.
ગુજરાત માત્ર વેપાર કે ઔદ્યોગિક વિકાસમાં જ નહિ પણ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરીને દેશના જ નહિ પણ વિશ્વના વિકસિત દેશોમાં અગ્રિમ સ્‍થાન ભોગવે તેવા વિશ્વાસ સાથે મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરીને મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, સમયના તકાજાને આોળખીને મુખ્‍યમંત્રીશ્રીએ આ જ્ઞાન અને માહિતીના યુગમાં શિક્ષણ અને હ્યુમન ડેવલપમેન્‍ટ ઇન્‍ડેક્ષમાં સુધારો લાવીને ગુજરાતને શકિતશાળી બનાવવાના સરકાર મક્કમ પગાલં ભરી રહી છે.
શાળા પ્રવેશોત્‍સવ શરૂ કર્યા પહેલાં રાજ્‍યમાં 34 ટકા બાળકો ચોથા ધોરણ સુધીમાં અભ્‍યાસ છોડી દેતા હતા અને સાતમા ધોરણ સુધીમાં 50 ટકાથી વધુ બાળકો અભ્‍યાસમાંથી ઉઠી જતા હતા તે વાતનો ઉલ્લેખ કરીને મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસે કહ્યું હતું કે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના માધ્‍યમથી રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રોપઆઉટ રેશિયો ધોરણ-1 થી 5 માં ઘટીને બે ટકા જેટલો થયો છે. ગામના આગેવાનો-મહાજનોની હાજરમાં બાળકો ખુશી-ખુશીથી તૈયાર થઇ વડીલોના આર્શીવાદ સાથે ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં શાળામાં દાખલ થાય છે. ગામ આખુ તેમાં જોડાય છે અને સહભાગી બને છે.
મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસના વરદ્‌હસ્‍તે ગુંદી ગામના 51 અને અરણેજ ગામના 20 બાળકોને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે શાળામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ગામની સૌથી વધુ શિક્ષણ મેળવનાર મહિલાનું અને શિક્ષણ દાતાઓનું મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસના વરદ્‌હસ્‍તે બહુમાન કરવામાં આવ્‍યું હતું. તેમજ શિષ્‍યવૃત્તિની રકમ એનાયત કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિજ્ઞશેભાઇ પટેલ, ધોળકા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી પ્રવીણસિંહજી, ધંધુકા તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જસુભાઇ સોલંકી, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન શ્રી કાંતિભાઇ, આચાર્યશ્રી ઇશ્વરભાઇ, સરપંચ શ્રી કાળુભાઇ રોઠોડ, મોમણભાઇ ગમારા સહિત આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગ્રામજનો, વાલીઓએ આ કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સભા સરઘસ પર પ્રતિબંધ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર હકુમત વિસ્‍તારમાં જાહેર વ્‍યવસ્‍થા જાળવવા તા.18-6-11થી તા.2-7-11 સુધી ચાર કરતાં વધુ માણસોના ભેગા થવા પર કે સભા સરઘસ કાઢવા પર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરી તેમજ હોમગાર્ડઝની ફરજ હોય તેમને તથા સ્‍મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડતો નથી, એમ શહેર પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્‍હાએ જાહેરનામામાં જણાવ્‍યું છે.

ટિપ્પણીઓ નથી: