રાજકોટ તા. ૧૭ જુનઃ જેતપુર તાલુકાની બાવાપીપળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી જસુમતીબેન કોરાટે ૯ કુમાર અને ૫ કન્યા સહિત ૧૪ ભૂલકાઓને વિદ્યામંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો.
બાવા પીપળિયા પ્રાથમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જસુમતીબેન કોરાટે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ ત્રણ દિવસ દરમિયાન ૬ વર્ષના બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવે છે. તમામ બાળકોનું નામાંકન કરવામાં આવે તેવા સરકારના પ્રયત્નો છે અને એમાં સફળતા પણ મળી છે. આ યુગ બાળકોને ભણાવવાનો છે. બાળકોમાં પણ શિક્ષણની ભૂખ જોવા મળે છે. ત્યારે વાલીઓની ફરજ બને છે કે તે પોતાના બાળકોને શાળાએ મોકલે અને તેને ભણાવે.
તેમણે ઉમેર્યું હતું કે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના કારણે સ્ત્રી સાક્ષરતા દરમાં ૧૪ ટકાનો વધારો થયો છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. એક લાખ એકવીસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા પ્રાથમિક શાળાને પૂરી પાડે છે.
બાળકોને દાતાઓના સહકારથી શૈક્ષણિક કિટ્સ આપવામાં આવી હતી. વાલીઓ પોતાના બાળકો ભણાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો