અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

અનીડા ખાતે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન અધિક સચિવશ્રી જયપાલસિંઘના હસ્‍તે ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો

અમરેલી તા.૧૭ જૂન કુકાવાવ તાલુકાના અનીડા ખાતે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં નર્મદા વોટર રીસોર્સ અને વાસ્‍મો, ગાંધીનગરના અધિક સચિવશ્રી જયપાલસિંઘે પ્રાથમિક શાળામાં ૧૩ કુમાર અને ૪ કન્‍યા તેમજ આંગણવાડીમાં ૮ કુમાર અને ૫ કન્‍યાઓનું નામાંકન કરી પ્રવેશ કરાવ્‍યો હતો.
પ્રાથમિક શિક્ષણના સ્‍તરને ઉંચુ લાવવા રાજય સરકારના સરાહનીય પ્રયાસોની માહિતી આપતાં અધિક સચિવશ્રી જયપાલસિંઘે જણાવ્‍યું હતું કે, શાળાઓમાં ખૂટતાં ઓરડા, સેનીટેશન, વિજળીકરણ સહિતની માળખાકિય સુવિધા પુરી કરીને તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ વધુ સારી રીતે મળે તે હેતુસર ગુણોત્‍સવ જેવા કાર્યક્રમો અમલી બનાવ્‍યા છે. પરિણામ સ્‍વરૂપ આજે ખાનગી શાળામાં ન હોય તેવી તમામ સુવિધા સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ બની છે. ત્યારે ખાનગી શાળાઓમાં સારૂ શિક્ષણ મળે છે તેવી માનસિકતા ત્‍યજીને સરકારી શાળાઓમાં કવોલીફાઈડ અને તાલીમ પામેલા શિક્ષકો મારફત બાળકો શિક્ષણ મેળવે તેવો અનુરોધ કર્યો હતો. શિક્ષણ સાથે પ્રાથમિક શાળાઓમાં રમત-ગમત, યોગ અને વિવિધ સ્‍પર્ધાઓ યોજાતી હોય બાળકોના સર્વાંગી વિકાસ થકી ઉજ્જવળ કારકિર્દી મેળવે છે.
કાર્યક્રમમાં અધિક સચિવશ્રી જયપાલસિંઘના હસ્‍તે વિદ્યાર્થીઓનું સન્‍માન, આંગણવાડી સ્‍પર્ધાની વિજેતા બહેનોને ઈનામ વિતરણ, આંગણવાડીને સાયકલ વિતરણ, વૃક્ષારોપણ અને વાંચે ગુજરાત અંતર્ગત પુસ્‍તક તરતુ મૂકવા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
આજના પ્રસંગે સરપંચશ્રી સુખદેવભાઈ વાળા, સી.આર.સી.શ્રી શિવરાજભાઈ ધાધલ, બ્લોક રીસોર્સ પર્સનશ્રી દેવેન્‍દ્ર કોરાટ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: