સૂરત
ગુજરાત શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અન્વયે સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હીડોલીયા, ભુવાસણ, વડોલી, કુવાડીયા અને છીત્રા ગામોની શાળાઓમાં ૩૪ કુમાર અને ૨૭ કન્યાઓ મળીને કુલ ૬૧ બાળકોનું નામાંકન રાજયકક્ષાના ગ્રામવિકાસ મંત્રીશ્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે સંપન્ન થવા પામ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણના વ્યાપમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેને લઇ આજની હાજરી જોતા શિક્ષણ પ્રત્યે વાલીઓ અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ જાગ્રત થાય તે માટે શરૂઆતથી જ જ્યારે બાળક શાળામાં પ્રવેશ કરે ત્યારે હસતો રમતો હોય તેવો રાજય સરકારનો આશય છે. મુખ્યમંત્રીશ્રીએ કન્યાઓના વિકાસ માટે પોતાને મળતી ભેટસોગાદોની જાહેર હરાજી કરીને તે નાણા કન્યા કેળવણી પેટે વાપરીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. ત્યારે દરેક બાળકો શિક્ષણ લે તે માટે તમામ સ્તરેથી સહિયારા પ્રયાસો થાય તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતના ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની છે. તેમ જણાવીને ગામનું એક પણ બાળક શિક્ષણથી વચિંત રહી ન જાય તે અંગેની જવાબદારી શિક્ષકો ઉપડી લેવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સના કારણે આજે ૨ ટકા સુધીનો ડ્રોપ આઉટ રેસીયો નીચો લાવી શકીયા છીએ. ત્યારે શિક્ષકો, આચાર્યશ્રીઓને બાળકો ભણીગણીને આગળ નામના મેળવે તેવા સંસ્કારોનું સિંચન કરવાનું આહ્વવાન મંખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા ગરીબમાં ગરીબ બાળકોના આરોગ્યની તપાસ કરીને સંપૂર્ણ રોગમુકત કરવાનું કાર્ય સરકારે કર્યું છે. મંત્રીશ્રી કુંડારીયાએ બાળકોને દફતર, રમકડા તેમજ સાયકલો આપીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે બારડોલીના મામલતદાર શ્રી કે.એમ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.બી.વદર, માજી વનમંત્રીશ્રી પ્રવિણભાઈ રાઠોડ , તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભારતીબેન, સરપંચ સર્વશ્રી વસંતભાઈ, રણસીંગભાઈ તેમજ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો