રાજકોટ તા. ૧૭ જુનઃ દરેક વાલીઓએ શાળાની નીયમીત મુલાકાત લઇ બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિથી માહિતગાર થવું જોઇએ અને શાળા વિકાસમાં સહભાગી થવું તે આપણો સાચો વાલીધર્મ છે. તેમ પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષશ્રી જયપ્રકાશભાઇ દેસાઇએ જસદણ તાલુકાના ઇશ્વરીયા ખાતે જણાવ્યુ હતું.
પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષશ્રી જયપ્રકાશભાઇ દેસાઇ તથા અન્ય મહાનુભાવોએ મંગલદીપ પ્રગટાવીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ઉદધાટન કર્યુ હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રી દેસાઇએ તેમના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ગામનાં તમામ વિકાસલક્ષી કામો તથા શિક્ષણના કાર્યક્રમોમાં દરેક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લેવો જોઇએ આ તકે ગ્રામજનોની અને શિક્ષકોની શિક્ષણક્ષેત્રે જાગૃતિ બદલ તમામને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા અગ્રણીશ્રી દેવશીભાઇ ટાઢાણીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ગામનું કોઇ બાળક શિક્ષણ વગર ન રહે તે જોવાની સામુહિક જવાબદારી ગામના અગ્રણીઓ તથા શિક્ષકોની છે. શાળા પ્રવેશોત્સવ તે ગામનો મહાઉત્સવ હોવાથી તેમને દમદાર રીતે ઉજવવો જોઇએ.
જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ભીખાભાઇ રોકડે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. મામલતદારશ્રી મોરીએ મુખ્યમંત્રીશ્રીના સંદેશાનું વાંચન કર્યુ હતું અને પુસ્તક તરતું મુકયું હતું.
રાજકોટ જિલ્લા હેઠળના જસદણ તાલુકાનાં ઇશ્વરીયા અને કાનપર ગામે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષશ્રી જયપ્રકાશભાઇ દેસાઇ, અગ્રણીશ્રી દેવશીભાઇ ટાઢાણી તથા અન્ય મહાનુભાવોએ ૪૩ ભુલકાઓને શાળામાં પ્રવેશ ખૂબજ ઉત્સાહ અને આનંદમય વાતાવરણમાં કરાવ્યો હતો આ તમામ બાળકોને શિક્ષણ કિટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આંગણવાડીના બાળકોને લોકભાગીદારીથી મેળવવામાં આવેલ રમકડાનું વિતરણ કરી તેમને પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓનું ગૌરવપૂર્ણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધક બાળકો તથા માતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી વધારે ઉત્સાહિત કર્યા હતા. તેમજ બાળકોને શિષ્યવૃતિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ તકે કાનપર પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમનું, શૈક્ષણિક કૃતિ પ્રદર્શનનું અને વોટર ફલ્ટરનું મહાનુભાવોના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના નિયામકશ્રી પુરોહિત, જનરલ મેનેજરશ્રી એસ.કે.સોલંકી, પદાધિકારી સર્વશ્રી સહદેવભાઇ, શ્રી મનસુખભાઇ, શ્રી રમેશભાઇ સાકરીયા, અધિકારીઓ, આચાર્યશ્રી શિક્ષકો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ પ્રાર્થના, સ્વાગતગીત, યોગ, રંગારંગ કાર્યક્રમો રજુ કર્યા હતા. આ કાર્યક્રમના સમાપન બાદ શાળાના પટાંગણમાં તમામ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યુ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો