શહેરના બાળકો સાથે ગ્રામ્ય બાળકોનું આદાન-પ્રદાન, વંચિત જૂથ વિસ્તારની શાળાઓમાં સમર કેમ્પનું આયોજન, પ્રવેશપાત્ર બાળકોની માતાઓનું સંમેલન, શાળા સફાઇ અંગે પ્રભાતફેરી દ્વારા જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનું આયોજન, પચાસ કે તેથી વર્ષ પૂર્ણ કરનાર શાળાઓમાં વિશિષ્ટ ઉજવણીના કાર્યક્રમો વગેરે આ વર્ષના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આગવા પાસાંઓ છે. ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્તારમાં તા. ર૩ થી રપ જુન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે, જેમાં રાજય સરકારના અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ભણતર અધૂરૂં મુકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ(ડ્રોપ આઉટ રેશીયો) ઘટાડવા અને પ્રાથમિક શિક્ષણની ટકાવારી વધારવાની દિશામાં આ એક અસરકારક પગલું છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૩૧૭ અને માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭૧૨ છે, જેમાં ૭૭૬૫ તાલીમી શિક્ષકો સેવાઓ પ્રદાન કરી રહયા છે. આ તમામ શાળાઓમાં હાલમાં ૨,૨૧,૬૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જયારે જુન-૨૦૧૧ની પ્રારંભ થનારા શૈક્ષણિક સત્રમાં ૫૭ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત ૨૭,૯૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તથા શહેરી વિસ્તારની ગરીબી રેખા હેઠળના પરિવારોની ૩૪૭ બાળાઓ સહિત ૩૬૬૨ બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવશે.
આ વર્ષના શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાના ૧૪ તાલુકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા અન્ય જાતિ ના ૧૪૯૨૦ કુમારો અને ૧૩૦૬૫ કન્યાઓ મળી કુલ ૨૭,૯૯૦ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવશે. તથા ૩૫ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ૧૨૨ ગામોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટેના ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્ચે અભ્યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ, શાળા પ્રવેશોત્સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું પ્રથમ સોપાન છે.
(((સંકલન-સોનલ જોષીપુરા, રાજકોટ)))
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો