મુખ્યમંત્રીશ્રીના હસ્તે સમાજશકિત માટે યોગદાન આપનારાનું સન્માન
બક્ષીપંચની વિકસતી જાતિના ર૭ ટકા અનામતના લાભોમાંથી ચાર ટકા છીનવી લઇને
કેન્દ્ર સરકારે ગરીબોની આંતરડી કકળાવી છે - નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બક્ષીપંચની સામાજિક-શૈક્ષણિક પછાત
જાતિઓને માટેના ર૭ ટકાના અનામત લાભો છીનવી લઇને લધુમતીઓને આપી દેવાનો
કેન્દ્ર સરકારનો નિર્ણય વિકસતી જાતિઓની આંતરડી કકળાવનારો ગણાવ્યો છે-જે
સમાજ શિક્ષણને પ્રાથમિકતા આપે છે તેનો વિકાસ સમાજની શકિત બની જશે એમ પણ
તેમણે જણાવ્યું હતું.
રાવળ યોગી સમાજ જે બક્ષીપંચ વિકસતી જાતિમાં સમાવિષ્ઠ છે તેણે કેન્દ્ર
સરકારે બક્ષીપંચ-સામાજિક-શૈક્ષણિક પછાત સમાજના ર૭ ટકા અનામતના લાભોમાંથી
ચાર ટકા લધુમતી માટે છીનવી લીધા તેનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો તે
સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબોના હક્કનું છીનવી લઇને પછાત
સમાજોની આંતરડી કેન્દ્રની સરકારે કકળાવી છે તે સત્તાસુખ કઇ રીતે ભોગવી
શકશે?
ગુજરાતના બક્ષીપંચમાં સમાવિષ્ઠ વિચરતી-વિકસતી જાતિ રાવળ યોગી સમાજનું
સંમેલન આજે ગાંધીનગરમાં યોજવામાં આવ્યું હતું, જેમાં રાવળ સમાજના ઉત્કર્ષ
માટે યોગદાન આપનારા ૧૦ મહાનુભાવોનું સન્માન અને અન્ય ર૧ વ્યકિતઓનું
અભિવાદન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. આ ઉપરાંત રાવળ યોગી સમાજની
પુસ્તિકા 'આપણો રાવળ સમાજ'નું આલેખન શ્રી રાજેન્દ્ર રાવળે કર્યું છે
તેનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
રાવળ સમાજના વિકાસમાં સંગઠ્ઠન શકિતને એકત્ર કરવાના પ્રયાસને તેમણે
બિરદાવ્યો હતો. પોતાના ધડતરમાં રાવળ સમાજનો ફાળો મહત્વનો છે તેમ જણાવી
નરેન્દ્રભાઇ મોદીએ રાવળ યોગી કેશુભાઇ-શંભુભાઇ-ગંગારામ ભાઇ જેવા શિક્ષકોનો
ઋણસ્વીકાર આ પ્રસંગે કર્યો હતો.
શિક્ષણ દ્વારા વ્યસનથી દૂર રહેવાની જાગૃતિ કઇ રીતે આવે અને કુરિવાજોને
તિલાંજલિ અપાય તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રાવળ સમાજ વિચરતી જાતિ છે અને સરનામા વગરના સમાજે પણ સ્થાયી પ્રગતિનો પથ
અપનાવ્યો છે તેનો આનંદ વ્યકત કરીને મુખ્યમંત્રીશ્રીએ સમાજની આ શકિતને
મહેનતકશ, સાત્વિકતાના ધોરણે આગળ વધવાના અનેક સૂચનો કર્યા હતાં. ગુજરાતનો
વિકાસ એકાંગી નહી પણ સૌ સમાજસમૂહોને સ્વસ્થ રાખીને, સર્વાંગીણ વિકાસનો
સંકલ્પ રાજ્ય સરકારનો રહ્યો છે.
સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર સાકાર કરવા પ્રતિબધ્ધ મુખ્યમંત્રીશ્રીએ
વિચરતી જાતિની સ્થાયી વસાહતો ઉભી કરીને વાદી-મદારી, નટ બજાણીયા જેવી
વિચરતી કોમોને વસાવી અને પોતાના બાળકોને ભણાવી રહ્યા છે તેની ફલશ્રુતિ
વ્યકત કરી હતી.
પછાત સમાજના યુવાનોને હુન્નર કૌશલ્યની તાલીમ પ્રાપ્ત કરવા તેમણે રાજ્ય
સરકારના આઇ.ટી.આઇ-કૌશલ્ય વર્ધનના અભ્યાસો ઉપાડી લેવા તેમણે અપીલ કરી હતી.
પછાત સમાજોને શિક્ષણ દ્વારા વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા રાજ્ય સરકારે
અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેનો પણ લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ
કર્યો હતો.
આ સમારંભમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષશ્રી જયંતિભાઇ બારોટ, ગુજરાત
ઠાકોર અને કોળી વિકાસ નિગમના અધ્યક્ષશ્રી પુંજાજી ઠાકોર, ગુજરાત પ્રદેશ
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ભગવાનદાસ પંચાલ, ગુજરાત પ્રદેશ ભાજપ
બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્ર રાવળ, લાભ ઇન્ફ્રાસ્ટ્રકચરના
શ્રી લક્ષ્મણભાઇ એસ. રાવળ સહિત મોટીસંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા
હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો