અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

કચ્છના નાના રણમાં ફસાયેલા રાપર તાલુકાના દસ માલધારીઓના બચાવ માટે રાજય સરકારની ત્વરિત કામગીરી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા એર ફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇને માલધારીઓને બચાવી લેવાયા

આપત્ત્િાના સમયે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ત્વરિત અને યોગ્ય પગલાં
ભરવામાં આવે તો આપત્ત્િાનો સામનો કરી શકાય છે અને મોટું નુકશાન થતું ટાળી
શકાય છે. રાજ્યના વહિવટી તંત્રે કચ્છના નાના રણમાં ફસાયેલાં દસ
માલધારીઓને સમયસર અને આયોજનબદ્ધ નક્કર પગલાં ભરીને માત્ર ત્રણ જ કલાકમાં
બચાવી લીધા હતા.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, ગયા ગુરુવારે કચ્છના કલેક્ટરે બપોરના ચાર
વાગ્યાને એકવીસ મીનિટે રાહત કમિશનરશ્રીને ફોન કરી જાણ કરી હતી કે, તા.
૨૭/૦૬/૧૨ની રાત્રે ૧૦ લોકો પલાસવા ટીકર રણમાં ખોવાઇ ગયા છે તેમજ રણમાં
પાણી ભરાઇ ગયેલું હોઇ પોલીસને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. આ
ઉપરાંત રણમાં દલદલને કારણે તેમની પાસે પહોંચવામાં મુશ્કેલી હોઇ
હેલીકોપ્ટર દ્વારા રાહત બચાવની કામગીરી થાય તેવું સુચન કર્યુ હતું. કચ્છ
પૂર્વ વિભાગની પોલીસ દ્વારા આ અંગે શોધખોળ કરાવતાં અસરગ્રસ્ત પૈકી એક
વ્યકિત દવારા મોબાઇલ સંપર્ક કરેલ હોવાથી તે આધારે તપાસતાં સંભવિત જગ્યા
હળવદ તાલુકાના એંજાર ગામ (જિ.સુરેન્દ્રનગર) ની હદમાં જણાતાં, કલેકટરશ્રી
સુરેન્દ્રનગરને પણ બચાવ કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું. બંન્ને
કલેકટરશ્રીઓએ સ્થાનિક મામલતદાર, પોલીસ, અને લોકોનો સહકાર મેળવી શોધખોળ
ચાલુ રાખી હતી.
દરમ્યાનમાં એક વ્યક્તિની ભાળ મળતા તેમની સાથે પાણી, ખોરાક લઈ પગપાળા શોધ
ટીમ રવાના કરવામાં આવી હતી. પરંતુ તેઓને અન્ય વ્યક્તિઓને શોધી શક્યા ન
હતાં. રાહત કમિશ્નરશ્રી દવારા ૧૬.૨૭ કલાકે ઈન્ડિયન એરફોર્સ ના વિંગ
કમાન્ડર શ્રી દિનેશ વાસવાણીનો સંપર્ક કરી હેલિકોપ્ટરની તૈયારી રાખવા
જણાવેલું હતું. દરમ્યાન મોબાઈલ સંદેશા દ્વારા સ્થળના અક્ષાંશ-રેખાંશ
મેળવી વિંગ કમાન્ડરશ્રીને આપવામાં આવ્યાં. દોઢ કલાકની શોધ બાદ સમિક્ષા
કરતા સફળતા મળી ન હોવાથી બંન્ને કલેકટરશ્રીઓ દ્વારા હેલિકોપ્ટોરની માંગણી
થતા રેસ્ક્યુ માટે બે હેલિકોપ્ટર એમઆઇ-૮ અને ચેતક ૧૭.૩૦ કલાકે જામનગરથી
રવાના કરી સંધ્યા પહેલા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હેલિકોપ્ટરની માંગણી કરેલ ૯ અસરગ્રસ્તોને ખોડ ગામ નજીકના રણ માંથી એરીયલ
શોધ બાદ બચાવી લેવામાં આવ્યા હતાં એટલું જ નહીં પરંતુ આ શખ્સોની શોધમાં
ગયેલાં અન્ય ૫ વ્યક્તિઓ જે રણમાં ચાલી ચાલીને ખુબ થાકી ગયેલા હોવાથી તથા
વધુ ચાલી શકે તેમ ન હોવાથી તેમને પણ હેલિકોપ્ટર દ્વારા ૧૯.૧૯ કલાકે બચાવી
લેવામાં આવ્યા હતાં આ ૯ વ્યક્તિઓ પૈકી એકની તબિયત બગડેલી હોઈ તેને અને
તમામ અસરગ્રસ્તોને હળવદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરી પ્રાથમિક
સારવાર આપી રજા આપવામાં આવી હતી ફસાયેલી આ વ્યક્તિઓમાં આધોઇ, પલાસવા અને
લખપત ગામના રહીશોમાં સવજી પાંચા ભરવાડ, રામજી વિરમ ભરવાડ,મહાદેવા દેવશી
ભરવાડ,લખમણ પબા ભરવાડ, ટપુ ગણેશા ભરવાડ, રામા ગણેશા ભરવાડ, બબા દેવા
ભરવાડ, રામા વિભા ભરવાડ, લક્ષ્મણ પબા ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે
અસરગ્રસ્તોની શોધમાં ગયેલા અને ચાલીને ખૂબ થાકી ગયેલા અધોઇ અને વેણું
ગામના પાંચ વ્યક્તિઓ હિન્દુભાઈ ડાહ્યાભાઈ ભરવાડ,મેરાભાઈ વાલાભાઈ ભરવાડ,
ભાબુભાઈ દેવાભાઈ ભરવાડ, જગાભાઈ ગણેસભાઈ ભરવાડ, સત્તાભાઈ દેવાભાઈ ભરવાડને
પણ હેલીકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યા હતા.
આમ મોબાઈલ સંદેશા ના આધારે પ્રાપ્ત થયેલ અક્ષાંશ, રેખાંશની જાણકારી,
ભારતીય હવાઈ દળના બે હેલીકોપ્ટરની તાત્કાલીક મદદ, તથા સ્થાનીક વહીવટી અને
પોલીસ તંત્ર તથા બંન્ને જિલ્લાનાં કલેક્ટરશ્રીઓ અને રાજયના રાહત
કમિશ્નરશ્રીની સતત દેખરેખ અને દોરવણી હેઠળ કચ્છના નાના રણમાં ફસાયેલ
ઈસમોને બચાવી રાજય સરકારે નાગરીકોની સુરક્ષા માટે ખડે પગે સતત જાગ્રત અને
અસરકારક હોવાનું સેવાકીય ઉદાહરણ પુરુ પાડયુ હતું. રાજયના
મુખ્યમંત્રીશ્રી, રાજયના મહેસૂલ મંત્રીશ્રી, મુખ્યસચિવશ્રી વગેરે એ બચાવ
કામગીરીની સતત દેખરેખ રાખી તંત્રને સજાગ રાખ્યુ હતું.

ટિપ્પણીઓ નથી: