વડોદરા.
ચાલુ વર્ષમાં ચોમાસાના આગમનની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ખેડૂતો પણ ખરીફ
ઋતુનાં વાવેતરની તૈયારી માટે બિયારણની ખરીદી કરી રહેલ છે. બિયારણની ખરીદી
ખેડૂતોએ સાવચેતીપૂર્વક કરવાની જરૂર છે. ખેડૂતોએ સુધારેલ/પ્રમાણિત
(સર્ટીફાઇડ,ભુરા લેબલવાળુ) બિયારણનો ઉપયોગ કરવો તથા લોભામણી જાહેરાતોમાં
લોભાઇ જઇ છૂટક (લુઝ પેકીંગ) બિયારણો ખરીદવા નહીં. અર્ધ સરકારી
સંસ્થા/સહકારી સંસ્થા/નિગમો/પ્રતિષ્ઠિત વેપારીઓ કે જેઓએ બિયારણ કાયદા
હેઠળની પરવાનગી (લાઇસન્સ) મેળવેલ હોય તેવી જગ્યાએથી પ્રમાણિત બિયારણ
ખરીદવું. બિયારણની સીલબંધ થેલી, લેબલ અને લેબલ પરની માહિતીની ખાત્રી
કરીને જ બિયારણ ખરીદવું. પ્રમાણિત બિયારણ સીલ બંધ થેલીના લેબલ ઉપર પાકનું
નામ, જાત, ભૌતિક આનુવાંશિક શુધ્ધતા, ઉગવાના ટકા, લોટ નં., ઉત્પાદન વર્ષ,
ચકાસણી તારીખ, બિયારણના કાયદેસરપણાની મુદત, ઉત્પાદક તેમજ વિતરકના નામ
વગેરેની બરાબર ચકાસણી કરીને જ બિયારણ ખરીદવું. બી.ટી. કપાસમાં સરકારશ્રી
દ્વારા માન્ય થયેલ જાતોનું જ બિયારણ ખરીદવું. બિયારણ ખરીદી વખતે ખેડૂતોએ
વિતરક પાસેથી ખરીદીનું પાકુ બીલ અવશ્ય લેવું અને તેમાં બિયારણની જાત, લોટ
નં., ઉત્પાદન વર્ષ, જથ્થો વગેરે વિગતોનું સમાવેશનું ખાસ ધ્યાન રાખવું તથા
બિયારણની થેલી ઉપર પ્રીન્ટ થયેલ ચોક્કસ કિંમત પ્રમાણે જ કિંમતની ચુકવણી
કરવી, તેનાથી વધારે કિંમતની ચુકવણી કરવી નહી અને જે તે કિંમત, પાકા બીલ
સાથે સરખાવી લેવી. ખેડૂતોએ બિયારણનું પાકું બીલ તથા બિયારણની થેલી/પેકીંગ
(ટેગ સહિત) પાકની કાપણી પુરી ન થાય ત્યાં સુધી સાચવી રાખવું. બિયારણના
કાયદેસરપણાની મુદત વિતી ગઇ હોય તેવું બિયારણ વાવેતર માટે ખરીદવું નહી.
બિયારણની ગુણવત્તા અને કિંમત બાબતે માર્ગદર્શન અથવા રજુઆત કરવા આપના
વિસ્તારનાં ગુણવત્તા નિયંત્રણ હેઠળના ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક
(વિસ્તરણ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો