મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાનાં સમરસ સરપંચોનું અભિવાદન કરશે
૨૨૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૫,૫૬,૩૧,૨૫૦ નાં પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કરવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શુક્રવારનાં રોજ દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓમાં સર્વસંમતિથી ચૂંટાયેલી ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોને અને ૫ કરોડ ૫૬ લાખ ૩૧ હજાર ૨૫૦ રૂપિયાનાં પ્રોત્સાહક પુરસ્કારો પ્રદાન કરશે.
સુરતનાં ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર શાનદાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓ– સુરત, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગનાં સમરસ સરપંચોનું અભિવાદન કરશે.
સુરત જિલ્લાની ૮૮ ગ્રામ પંચાયતોને રૂપિયા ૨,૨૭,૬૨,૫૦૦, ભરુચ જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયતોને રૂપિયા ૧,૪૨,૮૭,૫૦૦, નવસારીની ૩૯ ગ્રામ પંચાયતોને રૂપિયા ૯૯,૫૬,૨૫૦, વલસાડની ૨૨ ગ્રામ પંચાયતોને રૂપિયા ૪૮,૬૨,૫૦૦, તાપીની ૧૧ ગ્રામ પંચાયતોને ૨૯,૧૨,૫૦૦, નર્મદા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોને રૂપિયા ૬,૫૦,૦૦૦ અને ડાંગની એક સમરસ ગ્રામ પંચાયતને બે લાખ રૂપિયાનાં રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
આ પ્રસંગે મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા, પંચાયતમંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ, પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરબતભાઈ પટેલ આ પ્રસંગે સરપંચોને સંબોધન કરશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ ઉપર એક આકર્ષક પ્રદર્શનનું પણ આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સમરસ ગામની યોજનાને કારણે ગામનાં લોકો ચૂંટણીનાં વેર-ઝેર મિટાવીને ગામનાં વિકાસમાં લાગી ગયા છે, જે લોકશાહીની સૌથી ઉત્તમ અને અસરકારક વિભાવના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો