અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

હનુમાનજીનો જન્મ ગુજરાતમાં




હનુમાનજીનો જન્મ ગુજરાતમાં જ થયો હતો, આ રહ્યો પુરાવો

જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો
તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી

ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરી ધામ તરીકે વિકાસ પામ્યું છે.

શબરી ધામની સામે સાતેક કિ.મી.નાં અંતરે પૂણૉ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રૃતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાનાં મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે.

અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતાં બારેક કિ.મી.નાં અંતરે લીંગા ગામ આવેલું છે. ડાંગના પાંચ રાજવીઓ પૈકી લીંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીયે છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે. અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદુર હવામાં છોડીએ છીએ. આ સિંદુર પર્વત ઉપર હનુમાનજીનાં સ્થાનક પાસે જ જઇને ચોંટી જાય છે. જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિનાં દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઇ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે. અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે.

છેલ્લા ૬૨ વર્ષથી ડાંગના આદિવાસીઓની સેવા કરવા ધૂણી ધખાવીને બેઠેલા સ્વાતંત્રય સેનાની ઘેલુભાઇ નાયક જણાવે છે કે ડાંગની પ્રજા પોતાને રામાયણકાળ સાથે સાંકળતી આવી છે. તેઓ પોતાને શબરી માતાનાં વંશજો માને છે. આ પ્રજાના મોટાભાગના લોકોનાં નામ રામાયણનાં પાત્રોના નામ ઉપરથી પાડવામાં આવે છે. રામ, રામો, સીતા, જાનકી, ઝૂનખી, લક્ષુ, લક્ષ્મણ, ભરત, રઘુનાથ, રઘુ નામધારી લોકો પ્રત્યેક ગામમાં જોવા મળશે. આ પ્રજા હનુમાનજીની જેમ પોતાને રામના સેવક માને છે. હનુમાન પરથી અહીંના કેટલાક ગામોના નામ હનવતચૌંડ, નકટયા હનવત (ચપટાનાકવાળા હનુમાન) છે. રામાયણ અને રામાયણના પાત્રો અહીંના લોકજીવનમાં વણાઇ ગયેલા છે. પૌરાણિક કાળમાં અહીં યજ્ઞ કરવા માટે કુદરતી કુંડ બન્યા હતા. જે પૈકી અંજનીકુંડ પાસે અંજની પર્વતની ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો એવી આ પ્રજાની નિર્લેપ આસ્થા છે.

ડાંગ જિલ્લાના બીઆરસી કો-ઓર્ડિનેટર કૃષ્ણકાંત દેવજીભાઇ પટેલ જણાવે છે કે ડાંગ એટલે રામાયણકાળનું દંડકારણ્ય. ભગવાન રામ પંચવટી જતા અગાઉ અહીં ઋષિ-મુનિઓનો ઉદ્ધાર કરવા તથા દાનવોનો નાશ કરવા આવ્યા હતા. અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે જ્યાં રામનવમી તથા હનુમાન જયંતીએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરે છે. અંજની માતાએ તપ કરીને અહીં અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અહીં જ અંજની માતાએ હનુમાનજીનો ઉછેર કર્યો હતો. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીના મંદિરો જોવા મળશે. કોઇકે પથ્થરમાંથી તો કોઇએ સાગમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.

અંજની પર્વત સાથે સાત ડુંગરોની હારમાળા વચ્ચે અટાળા ડુંગર પર જય શ્રીરામ અટાળાધામ ઓમકાર ભૂમિ અંજની પર્વત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શિવરામભાઇ અવસુ જણાવે છે કે અટાળા ધામ તથા સાત ડુંગરો ઓમકાર આકારની ભૂમિ છે. આ સાત ડુંગરોની હારમાળામાં પ્રથમ અંજની પર્વત છે. એની લગોલગ ભીંતબારી, લુહાર ગઢ, ધાંધડા ડુંગર, માચ ડુંગર, અડબારી ડુંગર તથા હાંડી ડુંગર આવેલા છે. આ પ્રત્યેક ડુંગરની એક આગવી વિશેષતા હોવાની લોકવાયકા પ્રચલિત છે. અટાળા ધામ ખાતે ત્રેત્રીસ કરોડ દેવી દેવતાઓ તથા ૪૮ હજાર ઋષિઓનો વાસ છે. જેના પ્રતિકરૂપે આગવી કુદરતી કોતરણીવાળા પથ્થરો જોવા મળે છે.

રાવણ સાથેના યુદ્ધમાં મુર્છિત થયેલા લક્ષ્મણ માટે હનુમાનજી સંજીવની બુટ્ટી માટે દ્રોણગિરિ પર્વત ઉંચકી લાવેલા તે અહીં જ છે. યુદ્ધમાં ઘવાયેલાઓને અહીંથી સંજીવની બુટ્ટી અપાતી હતી. એ બટ્ટી તૈયાર કરવા વપરાયેલા પથ્થરો આજે પણ અહીં જ પડ્યા છે. દ્રોણાગિરિ પર્વત અહીં સ્વયંભૂ નાના સ્વરૂપમાં પ્રગટ થયો છે.

વરસોથી અંજની પર્વત અને અટાળા ધામના વિકાસ માટે કાર્યરત અર્જુનબાપુ જણાવે છે કે ઓમકારની આ ભૂમિ પર મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હનુમાનજીના દર્શન જયોતિ સ્વરૂપે થાય છે. અંજની માતાની હજારો વર્ષની સાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રેષ્ઠતમ પુત્રનું વરદાન આપ્યું. હનુમાનજીને જન્મ આપવા અંજની માતા અંજની ગુફામાં આવ્યા. હનુમાનજીના જન્મ પછી અટાળા ડુંગરના ભૂર્ગભમાં એક અખંડ જયોત પ્રજજવલિત થઇ છે જે આજે પણ ભૂગર્ભમાં છે. અંજની પર્વતની પાસે આવેલું ભીંતબારી ડુંગર દેવોએ વનસ્પતિથી ચણ્યું હતું. ઋષિ-મુનિઓને હેરાન કરતા દાનવોને દૂર રાખવા ત્રેતાયુગમાં ભીંતબારી ડુંગર બનાવ્યું હતું.

અંજનકુંડ ગામનો રહીશ સાંઠ વર્ષીય શૈલુ માવજુ બરડે જણાવે છે કે અમારા પૂર્વજો જણાવતા કે અહીંની અંજની ગુફામાં અંજનીમાતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની માતાની દાયણ ગુફાના ઉપરના ડુંગરમાં રહેતી હતી. દાયણ રોજ નીચે આવીને સાફસફાઇ કરતી. એ જે જગ્યાએ કચરો નાંખતી એ જગ્યાએ અંજની પર્વતની બાજુમાં બે નાના ડુંગરો બન્યા હતાં જે ઉકરડો ડુંગર તરીકે ઓળખાય છે.

અંજનકુંડ ગામનો જ શ્રમજીવી ઇંદર ગનીયાભાઇ પવાર જણાવે છે કે અંજનીમાતા ભારત ભ્રમણ કરતા કરતા અહીં આવી ચઢ્યા હતા. તેમને આ જગ્યા પસંદ પડી જતા અંજની પર્વત ઉપર મુકામ કર્યો હતો. અમારા વડીલો જણાવે છે કે હનુમાનજી માતાની કૂખમાંથી સીધા કુંડમાં પડ્યા હતા. અંજની માતાની દાયણનાં પગલાંના નિશાન અંજનીગુફાની ઉપરના ડુંગર પર આજે પણ જોવા મળે છે. ભગવાન રામ-લક્ષ્મણે પોતાના બાણ જે પથ્થરો પર ઘસ્યા હતા એ પથ્થરો પણ અહીં જોવા મળે છે. દર અમાસે અંજની પર્વત પરથી એક જયોતપિુંજ નીકળી સપ્તશ્રૃંગી ગઢ જઇને પરત આવે છે. વરસો અગાઉ અહીં દાવાનળ ફાટી નીકળ્યો હતો પરંતુ આ આગ અંજની પર્વત સુધી પહોંચી શકી ન હતી.

'શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર' એ દ્રષ્ટિએ અહીંના આદિવાસીઓની આ ભૂમિ હનુમાન જન્મભૂમિ હોવાની શ્રદ્ધા માટે કોઇના અભિપ્રાય કે અનુમોદનની જરૂર નથી. આ પાવનભૂમિની મુલાકાત લેતા માણસ રામાયણકાળ કે ત્રેતાયુગમાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ અવશ્ય થાય છે.

(તમામ તસ્વીર: પાંડુ ચૌધરી) Bhaskar News




 

સ્વાતંત્રય સેનાની ઘેલુભાઇ
 

અટાળા ધામ મુકામે ન્યાયાધીશ હનુમાન
 

શિવરામભાઇ અવશુ
 

તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ
 

તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ
 

સંજીવની બુટ્ટી જે પથ્થરો પર ઘસવામાં આવેલી તે પથ્થરો
 

અંજની પર્વત
 

અંજની પર્વત
 

અંજની પર્વત પાસે આવેલા બે ઉકરડો ડુંગર
 
અર્જુન બાપુ
 

સાત ડુંગરોની હારમાળાના બે ડુંગરો
 

અંજની પર્વતની બાજુમાં આવેલું ભીંતબારી ડુંગર
 

અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
 

અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
 
અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
 

શૈલુ માવજુ બરડે
 

ઇંદર ગનીયાભાઇ પવાર
 

અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ
 

અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ
 

KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: