વરિષ્ઠ અને તેમ છતાં પ્રમાણિક પત્રકાર અને ઉંચા દરજ્જાના લેખક-કવિ અનિલ
દેવપુરકરે આકાશને 'રડાવવા' એક લેખ લખ્યો..જે ફેસબુકના માધ્યમથી વાચકો
વચ્ચે ફરતો થયો. શબ્દેશબ્દ પર ગૌર ફરમાવવા જેવું છે. કારણ આવા
સાહિત્યસભર લેખ હવે જવલ્લે જ વાંચવા મળે છે. પ્રિન્ટ મીડિયા જે ગુમાવે છે
એ સોશિયલ મીડિયા મેળવી શકે છે એ સારી નિશાની છે. અનિલ દેવપુરકરના લેખનું
શિર્ષક છે : કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો..
મંગળવારે સવારથી વડોદરાના આકાશમાં છવાયેલા વરસાદી વાદળો સુધી આ શબ્દો
પહોંચ્યા હોત તો જાતે જ રડી પડ્યા હોત !!!
ખેડાઈને નિષ્પ્રાણ પડેલાં ખેતરો, આકાશમાંથી લૂ વરસાવતી ગરમી,ધુળના ઢગ
ઊડાડતાં ઉષ્ણ પવનની થપાટો અને વવાઈને ભરચક ડૂંડા થવાનું શમણું આંખોમાં
આંજીને પ્લાસ્ટીકની થેલીઓમાં ગૂંગળાઈ રહેલાં બિયારણો….
આકાશની છાતી ફાડીને અનંત વાદળોની ફોજે જ્યારે ધરતી પર મુશળધાર વરસાદરુપે
તૂટી પડવાનું હોય ત્યારે અષાઢના આ દિવસોમાં પણ આ સ્થિતી છે. જગતના તાતથી
માંડી તાજા જન્મેલાં નવજાત સુધીના તમામ જ્યારે ભીની માટીની સુગંઘ માણવા
ટળવળી રહ્યાં છે ત્યારે આકાશ આખું વિધવાની સેંથી જેવુ કોરુ ધાક્કોડ છે….
કાનના પડદા ફાટી જાય એવા વાદળોના ગડગડાટ અને ક્ષણ માટે પણઆંખો અંજાઈ જાય
એવા વીજળીના ચમકારાઓની જુગલબંધીની મોસમમાં રિસાઈને બેઠેલી ઋતુએ મેઘમલ્હાર
ગાવાનું માંડવાળ કર્યું છે…
વિકાસની આંધળી દોટે સર્જલી પર્યાવરણીય સમસ્યાનું આ તો હજી ટ્રેલર
છે.સુખસગવડોનાં સાધનોની સહજ અને સસ્તી ઉપલબ્ધીથી માનવીય જીવનનાં કષ્ટોમાં
કદાચ કપાત આવશે પરંતુ,સમૃધ્ધિના શિખરો પર બેસીને પણ કુદરતી મહેરબાની જેવા
વરસાદ માટે લાચારીથી જોયા કરવાનું તો માનવીના લલાટે લખાયેલું રહેશે.
વિકાસના સિક્કાની આ બીજી બાજુ છે.
ઋતુચક્ર ખોટકાઈ જાય અને કુદરતી સમતોલપણું ખોરવાઈ જાય એવી અનેક પ્રવ્રુતિઓ
કરીને આપણે સરજેલી આ સ્થિતીનીકિંમત આપણે જ ચૂકવી રહ્યા છીએ- અને આપણને એ
પરવડે એવી નથી એ એટલું જ સત્ય છે.
ઉષ્ણતામાનમાં વધારાથી બરફીલા પહાડો ઓગળી રહ્યા છે.રાસાયણિક ખાતરોના અણઘડ
અને અમાપઉપયોગને લીધે ધરતી એનું સત્વ ખોઈ રહી છે.રાસાયણિક પ્રક્રિયાના
ભાગરુપે વાતાવરણમાં ભળી રહેલાં ઝેરી વાયુઓએ કુદરતી શુધ્ધ વાયુઓને પણ
અભડાવી મુક્યાં છે.ગંદકી અને દૂષિત પાણીના નિકાલ કરીને કુદરતી
જળસ્ત્રોતોને પણ ગૂંગળાવી માર્યા છે અને ઈંધણરુપીઅ અગ્નિના ઉપયોગનો
અતિરેક કરી નાંખ્યો છે. પંચતત્વનાં ચાર-ચાર તત્વોનાં મુળમાં જ જ્યારે
કૂઠારાઘાત થયાં હોય ત્યારે પાંચમુ આકાશતત્વ વિલાપ ન કરે તો શું કર? અને
આકાશ જ્યારે વિલાપ કરે છે ત્યારે એની આંખના આંસુ સુકાઈ જાય છે.આકાશ
જ્યારે સુખ અનુભવે છે-આનંદિત થાય છે-હસે છે ત્યારે એની આંખોથી મુશળધાર
વરસાદ તૂટી પડે છે.
આવો આપણે આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવીએ.
-અનિલ દેવપુરકર.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 3 જુલાઈ, 2012
કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો
કોઈ આકાશને ધ્રુસકે ધ્રુસકે રડાવો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો