ગરવો ગિરનાર, તાલાળાની કેસર કેરી, અરબી સમુદ્ર જેનુ પાદ પ્રક્ષાલન કરે છે તે સોમનાથ દાદા અને અબાલ વૃધ્ધ સૌને નિરખવા માણવા ગમે તેવા સોરઠના વનરાજો જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. પણ સાવધાન હવે સોરઠના વનરાજો તા. ૧૬ જૂન થી વેકેશન ઉપર જાય છે. અર્થાત વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂન થી બીજો આદેશ ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. આમ પ્રવાસીઓને હવે સિંહદર્શન અને ગીર અભયારણ્યને માણવા માટે રાહ જોવી પડશે.
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્યુરો-જૂનાગઢ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો